Gondalના રો મટીરીયલનો ઓર્ડર તને મળ્યો એ ગમ્યું નથી… કહી કારખાનેદાર પર વિધર્મી શખ્સોનો હુમલો

 ટ્રક અટકાવી વિધર્મીઓએ કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી આપી

RAJKOT,તા,02
તાજેતરમાં સોમનાથ મંદિર નજીક ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર ટ્રસ્ટની માલિકીની જમીન પર ગેરકાયદે ખડકી દેવાયેલા નવ ધાર્મિક સ્થળો, મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જે બાદ ખાલી થયેલી જમીન પર ફેન્સીંગ કરવાનું નક્કી થયું હતું. જે ફેન્સીંગ માટેના રો મટીરીયલનો ઓર્ડર ગોંડલ સ્થિત એક કારખાનેદારને મળ્યો હતો. જે બાબતે વિધર્મી શખ્સોએ કારખાનેદાર પર હુમલો કર્યાનો બનાવ ગોંડલ સીટી પોલીસમાં નોંધાયો છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર સોમનાથ મંદિર ટ્રસ્ટની માલિકીની જગ્યામાં ગત સપ્તાહે ઐતિહાસિક ડિમોલીશન હાથ ધરીને વિશાળ જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. જે બાદ આ જમીન પર ફેન્સીંગ કરવા રો મટીરીયલનો ઓર્ડર ગોંડલ સ્થિત ગોકુલ સિમેન્ટ નામની ફેક્ટરીને આપવામાં આવ્યો હતો. ઓર્ડર મુજબનું રો મટીરીયલ ભરીને ગોકુલ સિમેન્ટનો ટ્રક ગત તા. 28 સપ્ટેમ્બરના રોજ રાત્રીના દસેક વાગ્યાં આસપાસ સોમનાથ જવા નીકળ્યો હતો. ત્યારે રફીક ઉર્ફે અપુ સુમરા (રહે રૂપાવટી, ગોંડલ) અને લાલો મુસ્લિમ નામના બે શખ્સોએ ટ્રક અટકાવી દીધો હતો.
આ બંને વિધર્મીઓએ ગોંડલના રેતી ચોક નજીક ટ્રક અટકાવી ફેક્ટરીના માલિકને સ્થળ પર બોલાવવા ટ્રક ડ્રાયવરને જણાવ્યું હતું. ડ્રાયવરે સમગ્ર ઘટનાની જાણ થતાં કારખાનેદાર ઘટનાસ્થળે દોડી ગયાં હતા. જ્યાં તને આ ફેન્સીંગ માટેના રો મટીરીયલનો ઓર્ડર મળ્યો છે તે અમને ગમ્યું નથી તેવું જણાવી વિધર્મીઓએ ઝપાઝપી કરી ઢીંકાપાટુનો માર માર્યો હતો.
ઝઘડો કરી બંને વિધર્મીઓએ કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયાં હતા. જે બાદ કારખાનેદારે ગોંડલ સીટી પોલીસ મથકમાં દોડી જઈ બંને વિધર્મીઓ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી બંને વિધર્મીઓની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, વિધર્મીઓને પોતે પણ બિલ્ડીંગ મટીરીયલનું કારખાનું હોય અને ઓર્ડર તેમને જોઈતો હોય પણ નહિ મળતા કારખાનેદાર પર હુમલો કરવામાં આવ્યો હોય તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

Leave a Comment