Site icon Shri Nutan Saurashtra

Shravan માસનો પવિત્ર ઉત્સવ ‘શ્રાવણીપૂર્ણિમા’

જનોઈના ઉપર કહેલા નવ તંતુઓને ત્રણ ત્રણમાં ગૂંથી ‘ત્રિસૂત્રી’ બનાવવામાં આવે છે. અને એ સૂત્રો ઉપર અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદની સ્થાપના કરવામાં આવે છે. ત્યાર પછી આ ત્રણેયની ગાંઠ મારવામાં આવે છે. તેને ‘બ્રહ્મગાંઠ’ કહે છે 

રક્ષા-બંધન એટલે ભાઈએ લીધેલ બહેનના રક્ષણની જવાબદારી- વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતુ ઝરણું ! ભાઈ અને બહેન પરસ્પર, પોષક, પ્રેરક અને પૂરક છે આવે સંદેશો આપનાર આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે

શ્રાવણ માસનાં સુદ-પુનમના દિવસે આ ત્રણેય ઉત્સવો ભાવથી શુદ્ધમનોકામનાઓથી. ઇશ્વરનું સ્મરણ-પૂજન કરીને ઉજવવામાં આવે છે.

– જનોઈ બદલવાનો દિવસ : જનોઈ-યજ્ઞોપવિત ધારણ કરવાના ષોડશ- સંસ્કારમાં એક સંસ્કારતે  ઉપનનયન સંસ્કાર છે. ઉપ-એટલે પાસે અને નયન એટલે લઈ જવું. જે સંસ્કારથી શિષ્યને ગુરુની પાસે લઈ જવામાં આવે છે. તે સંસ્કાર એટલે ઉપનયન સંસ્કાર ગુરૂ પોતે વેદનિષ્ટ હોઈ તે શિષ્યને દિક્ષા અને જ્ઞાન બન્ને આપે છે. આને દિવ્ય સંસ્કાર કહે છે. તેના દ્વારા માનવને નવો જન્મ મળે છે. તે એનો સંસ્કાર જન્મ છે.

ઉપનયન સંસ્કાર એટલે તેજસ્વી જીવનની દીક્ષા.

જનોઈ એ વૈદિક જીવન-ધારણાનું પ્રતીક છે.

પહેલા તંતુ ઉપર ઁકાર, બીજા ઉપર અગ્નિ, ત્રીજા ઉપર નાગ, ચોથા તંતુ ઉપર ક્ષોભ, પછી અનુક્રમે પિતૃઓ, પ્રજાપતિ વાયુ, યમ અને નવમાતંતુ ઉપર વિશ્વદેવતાઓ. આ રીતે આ દેવોનું આવાહન કરી તેમની તેમાં પ્રસ્થાપના કરી હોય છે. જનોઈ હંમેશા દેવતાઓની યાદ અપાવે છે. કે મારા શરીર ઉપર દેવતા બેઠા છે. તે મારા જીવનને અંકુશમાં રાખે છે. ભગવાન હંમેશા મારી સાથે જ છે. જનોઈ હંમેશા તેજ શરીર ઉપર કાયમને માટે ધારણ કરાયેલી હોય છે. તે કર્તવ્યો અને સંકલ્પોની સ્મારક છે અને પ્રભુના સતત સાન્નિધ્યનું તે પ્રતીક છે. જનોઈ માનવને નમ્રતાનો પાઠ શીખવે છે. ‘ભગવાન તારી સાથે રહીને તારું જીવન ચલાવે છે. ‘તું તો નિમિત્તમાત્ર છે.’ એવું કહીને જનોઈ માણસને નમ્ર બનાવે છે. ગીતામાં ભગવાન અર્જુનને પણ આજ ઉપદેશ આપે છે. (ગીતા. અ.૧૫/૧૫/ એ કૃષ્ણનું આપણને મોટું આશ્વાસન છે.

જનોઈના ઉપર કહેલા નવ તંતુઓને ત્રણ ત્રણમાં ગૂંથી ‘ત્રિસૂત્રી’ બનાવવામાં આવે છે. અને એ સૂત્રો ઉપર અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદની સ્થાપના કરવામાં આવે છે. ત્યાર પછી આ ત્રણેયની ગાંઠ મારવામાં આવે છે. તેને ‘બ્રહ્મગાંઠ’ કહે છે. ત્યાં અથર્વવેદની સ્થાપના કરવામાં આવે છે.

આ આ જનોઈ માત્ર દોરો નથી પરંતુ આ ત્રિસૂત્રી, જ્ઞાન, ભક્તિ અને કર્મનું પ્રતીક છે. જે બ્રહ્મની અનુભૂતિ કરાવે છે. જનોઈ એટલે બુદ્ધિને પ્રજ્ઞામાં પરિવર્તન કરાવનાર આધ્યાત્મિક રસાયણ છે.

જનોઈ એટલે : સંધ્યાની દીક્ષા, પિતૃઓનું તેમજ ઋષિઓનું તર્પણ કરવાનું આપણને વિશ્વમાં લાવનાર તેમજ જીવનમાં સંસ્કાર આપનાર પિતૃઓનું ભાવપૂર્વક સ્મરણ કરવું. ઋષિઓએ નિ:સ્વાર્થ ભાવે, માનવજીવન સુખી થાય, અને ભવ્ય સંસ્કૃતિનું નિર્માણ કરી જીવની કૃતજ્ઞાતા પ્રગટ કરવા માટે આપણને આ સંસ્કાર આપ્યા છે. જનોઈ આપવાની વિધિ છે જે શાસ્ત્રિય છે. જે બ્રહ્મનિષ્ટ બ્રાહ્મણ દ્વારા અગ્નિની સાક્ષીએ કરવામાં આવે છે તે સ્વતંત્ર વિષય છે.

જનોઈ બદલવી : જનોઈ બદલતી વખતે સ્નાન-પૂજા ગાયત્રીમંત્રની માળા-સૂર્યને પ્રણામ કરી જનોઈને પત્ર ગાયત્રી સંસ્કાર આપી જૂની જનોઈ કાઢીને નવી જનોઈ પહેરવી. આ એક સંસ્કાર વિધાન છે. જૂની જનોઈ કાઢતી વખતે બોલવાનો મંત્ર.

એતાવદ્ દ દિને પર્યન્ત બ્રહ્મત્વંધારિત મયા ।

જીર્ણાત્વાત્વત્પરિત્યાગો : ગચ્ચ સૂત્ર યથા સુખમ્ ।।       (કર્મકાંડભાષ્કર)

આજ સુધી હે બ્રહ્મસૂત્ર ! તમે મારા બ્રહ્મત્વનું- આયુષ્યનું રક્ષણ કર્યું છે. પરંતુ જીર્ણે થવાથીતમારો ત્યાગ કરૂં છું ક્ષમા કરશો. નવી જનોઈ પહેરવાનો મંત્ર.

યજ્ઞાોપવીતં પરમં પવિત્રં, પ્રજાપતયેર્ય ત્ સહગં પુરેસ્તાત્ ।

આયુષ્યન ગ્રંથ પ્રતિમુચ્ચ શુભં,

યજ્ઞાોપવિત બલમસ્તુ તે જ: । (સૂત્ર-૨)

જનોઈ એ વૈદિક જીવન ધારણાનું પ્રતીક છે. સુર્ય ઉપાસનાનું પ્રતીક છે. જનોઈ આપ્યા પછી મેધા (બુદ્ધિ) સૂક્ત બોલાય છે. શ્રુતં મેમા પ્રણસી : મારો ઉત્સાહ અખંડ રહે. આ સૂર્ય મારા જ્ઞાનનું રક્ષણ કરે.

ડાબી બાજુ હૃદય-પ્રાણ હોવાથી તે ડાબા ખંભે ધારણ કરાય છે. અને વાયુ, ચંદ્ર, ઇન્દ્ર, અગ્નિ, મિત્ર તથા વરૂણએ બધા દેવતાઓ બ્રાહ્મણનાં જમણા કાને રહે છે. આ કારણે જમણા કાન ઉપર ચડાવવામાં આવે છે. (ગો.ગૃહ. ૨/૮૦)

ટૂંકમાં આપણા રાષ્ટ્રની દૃષ્ટિએ ત્રિરંગો-રાષ્ટ્રધ્વજનું જેટલું મહત્વ છે. તેટલું જ માનવી જીવન વિકાસની દૃષ્ટિએ યજ્ઞાોપવિત જનોઈનું છે. આ વૈદિક સંસ્કૃતિનું પ્રતિક છે.

– રક્ષાબંધન: શ્રાવણી પૂર્ણિમાનો આ બીજો ઉત્સવ છે, રક્ષાબંધન રક્ષાબંધન એટલે પ્રેમ બંધન. આજના દિવસે બહેન ભાઈની રક્ષા માટે તેના હાથે રાખડી બાંધે છે.

રક્ષાબંધનનો ઉત્સવ એટલે દૃષ્ટિ પરિવર્તનનો તહેવાર વિશ્વમાં સ્ત્રી-પુરૂષના સબંધો અનાદિ છે. અને અંત સુધી રહેશે. પતિ-પત્ની, માં-દિકરો, ભાઈ-બહેન વગેરે બધા સબંધોમાં માત્ર ભાઈ-બહેનનો સંબંધ જ નિરપેક્ષ છે. ભાઈને રાખડી બાંધતા પહેલાં બહેન તેના કપાળે તિલક કરે છે. આ ભાઈના વિચારો અને બુદ્ધિ પરનાં વિશ્વાસનું દર્શન છે.

ઇતિહાસ : વેદોમાં દેવાસૂર સંગ્રામમાં દેવોના વિજય  નિમિત્તે ઇંદ્રાણીએ હિમત હારી ગયેલા ઇંદ્રના હાથમાં રક્ષાબાંધી હતી. તેવો ઉલ્લેખ છે. અભિમન્યુની રક્ષા ઇચ્છતી કુંતામાતાએ તેને રાખડી બાંધી હતી. જ્યારે પોતાના રક્ષણ માટે રાણી કર્મમતીએ હૂમાયુને રાખડી મોકલી હતી. બલીરાજાને પણ લક્ષ્મીજીએ રક્ષાસૂત્ર બાંધ્યુ હતુ. રક્ષાબંધન એ તો બંધન-રક્ષાનું સ્મારક છે. બંધન એટલે ધ્યેય-રક્ષા.

દાનવોના મહાબલી રાજા બલિ જેને રક્ષાસૂત્ર બાંધી તેની રક્ષા થઈ હતી. હે રક્ષાસૂત્ર (રાખડી) તમે ચલાયમાન ચલાયમાન નહો… અમારી રક્ષા કરો.

ટૂંકમાં રક્ષા-બંધન એટલે ભાઈએ લીધેલ બહેનના રક્ષણની જવાબદારી- વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતુ ઝરણું ! ભાઈ અને બહેન પરસ્પર, પોષક, પ્રેરક અને પૂરક છે આવે સંદેશો આપનાર આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે.

સાગર પૂજન: આજ દિવસ સાગર-પૂજનનું પણ મહત્ત્વ છે. સમુદ્ર ઉપર સત્તા ચલાવનાર વરુણદેવ આ પૂજનથી પ્રસન્ન થઇ. માલ લાવતા- લઈ જતા વહાણોને નુકશાન ન પહોંચાડે એવો ભાવ આ સમય પૂજન પાછળ રહેલો છે. આ ઉત્ત્સવ દ્વાર પ્રાચી હિંદના વેપાર-ઉદ્યોગની સ્મૃતિ કરાવે છે.

… સરિતા(નદી) કરતા તેના સંગમ અને સંગમ કરતાય સાગર વધુ પવિત્ર છે.  એમ ઋષિઓએ કહ્યું છે. ગીતાકારે સ્થિત યજ્ઞાને સાગર સાથે સરખાવ્યો છે.

જે પ્રમાણે બધી બાજુથી ભરપુર, અચળ, પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે. તેજ પ્રમાણે સ્થિત યજ્ઞા પુરુષમાં સર્વભોગો કોઈ પણ વિકારો ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે. સાગર ભરતી તેમજ ઓટમાં એક સરખો જ પ્રસન્ન હોય છે. પ્રસન્ન મનુષ્ય જ બીજાને પ્રસન્નતા આપી શકે છે. વળી સમુદ્ર મુંગોદાની છે. એનું ગુપ્તદાન જીવનમાં પ્રેરણામય છે. તે રત્નોનો ભંડાર છે. સમુદ્રનું પાણી ખારૂં છે. છતા અનેક જીવજંતુઓ તે પીને તૃપ્ત થાય છે. આપણને નમક-મીઠું આપે છે જેને આપણે સબરસ કહીએ છીએ. તેથી તે ખારૂં હોવા છતાંય આપણે તેની મીઠું કહેએ છીએ. સાગર નદીઓને શોધવા નીકળતો નથી. પણ નદીઓ સ્વયં આવીને સાગરને મળે છે. તે રીતે સ્થિતપ્રજ્ઞા કામનાઓની પાછળ દોડતો નથી પણ કામનાઓ સ્વયં એને શોધતી આવે છે. આ રીતે વેદનિષ્ઠા અને વેદ રક્ષણની પ્રતિજ્ઞાની યાદ આપતો, ધ્યેયનું સ્મરણ કરાવતો. ભાવ જીવને પુષ્ટ બનાવતો સંપતિ ઇશ્વરને અર્પણ કરવાનું. સૂયવતો આ શ્રાવણી પૂણિમાનો ઉત્સવ ભારતીય જનતા માટે ગૌરવ લેવા જેવા છે. વેદનિષ્ટાથી સૃષ્ટિનું, સંસ્કાર, સ્વાસ્થ્ય તેમજ બ્રહ્મત્વ ને જાગૃતિ કરનારો દિવસ યજ્ઞાપવિત સંસ્કારનો, તેમજ સાગર પૂજનથી વૈક્તિક જીવનની મહાનતાનાં શિખરોનું દર્શન કરાવતો ત્રિવેણી સંગમ સમો આ ઉત્સવ આપણને સહુને પાવન કરે એ જ અભ્યર્થના સંસ્કૃતિ પૂજન.

 

Exit mobile version