Site icon Shri Nutan Saurashtra

નવરાત્રી ૫ર્વે યુવાવર્ગને….Swami Vivekanandaનો ”શક્તિ-પ્રેરણા સંદેશ”

વીર ગર્જનાથી ભારતવર્ષને ચેતનવંતો કરી મૂકનાર, રાષ્ટ્રવીર સ્વામી વિવેકાનંદનું, શક્તિ-સામર્થ્ય આપનાર, પ્રાણવાન સાહિત્ય, જીવન ઘડતર માટે, પ્રેરણાનો અખૂટ ભંડાર છે. તેના વાચન-મનનથી જીવન ઘડતરના પાયા સુદૃઢ બની શકશે. અચલ આત્મેશ્રધ્ધા સંપન્ન બનાવશે. આજની યુવા પેઢીના ચારિત્ર્ય નિર્માણ માટે શક્તિમાન બની શકશે. શક્તિ અને સામર્થ્યનો અનુભવ કરાવનાર પ્રેરક સાહિત્યના થોડાક અંશોનો અંત:કરણ પૂર્વક સ્પર્શ કરીએ.

”મહાન પુરુષાર્થ વિના, ”મહાનકાર્યો” કદાપિ સાધી શકાતાં નથી. નિરાશ ન થશો. કર્મમાં તમારો અધિકાર છે. ફળમાં નહિ. કટિબધ્ધ થાઓ… જગત, ”મનોબળ” કેળવવાની શાળા છે.”

યુગોથી ભારત ઉપર જમા થયેલા વિપત્તિઓના ડુંગરોને સળગાવી મૂકો. પરિસ્થિતિનો સામનો કરો. આપણે પરમાત્માનાં સંતાનો છીયે. જવલંત શ્રધ્ધા… જવલંત સહાનુભૂતિની જરૂર છે. આગળ વધો. પ્રભુ આપણો સેનાપતિ છે. દીન, દુ:ખી, દલિતો પ્રત્યે પ્રેમ રાખજો. ઈશ્વરના આશિર્વાદ તમારા ઉપર ઊતરશે. કેવળ ધન કંઈ, ખરી શક્તિ નથી. સૌજન્ય અને પવિત્રતા એજ ખરી શક્તિ છે.

મારા વગર પણ, તમે કાર્યો કરવાનો પ્રયત્ન કરો. કોઈપણ વ્યક્તિની સહાયની અપેક્ષા ન રાખો. સર્વ પ્રત્યે પ્રેમની ભાવના કેળવો. વિશ્વાસ રાખો. ભયને…ડરને તિલાંજલિ આપો. ભય એજ મોટું પાપ છે.

મૃત્યુની ઘડી સુધી નિ:સ્વાર્થી રહેજો. બહાદુર યુવકો! કાર્યનો આરંભ કરીદો. ઈર્ષાથી દૂર રહો. તમારા મિત્રોના અભિપ્રાય સાથે બાંધછોડ કરવા હમેશાં તત્પર રહો. સર્વદા સમાધાન ભર્યું વલણ દાખવવાનો પ્રયત્ન કરવો. વીરતાપૂર્વક ઝઝૂમો. વિકાસ સાધવાનો પ્રયાસ કરો. ગતિ અને વિકાસ એજ જીવનનું માત્ર લક્ષણ છે. વ્યવસ્થિત બનીને સમિતિઓની રચના કરો. કુરકુરિયાંના ભસવાથી ડરશો નહિ. આકાશના વજ્રપાતથી પણ ભયભીત થશો નહિ.

સાચા સિદ્ધાંતોને પહેલાં સમજી લઈ, ત્યાર બાદ એ સિદ્ધાંતોને આપણા સમાજમાં લાગુ પાડીને કાર્ય કરવાનું છે, ધીરે ધીરે… પણ અચૂક રીતે કાર્ય કરવાનું છે. ધર્મને આચરણમાં ઊતારો. તમારા કાર્યમાં સ્વતંત્રતાપૂર્વક આગળ વધો. સંપીને કાર્ય કરો. તમારે સિંહ જેવા બનવાનું છે. આપણે ભારતવર્ષને અને સમસ્ત જગતને જાગૃત કરવાનાં છે. હું તમારી ‘નાં’ સાંભળવાનો જ નથી. આગેકૂચ કરો.

લોકો સાથે વાદવિવાદમાં ઊતરો નહિ. કોઈ શત્રુ બનાવશો નહિ. વિવિધ મતો પ્રત્યે સહિષ્ણુ બનો. ધૈર્ય-પવિત્રતા અને ખંતનો સદા જય થવાનો છે. ચારિત્ર્યનું…. પવિત્રતાનું, સત્યનું વ્યક્તિત્વનું બળ જ પ્રભાવનું કારણ બને છે. આ સદ્ગુણો વિદ્યમાન છે ત્યાં સુધી, કોઈપણ તમારો વાળ વાંકો કરી શકે તેમ નથી. લોક હૃદયનેે હલાવી દે તેવું કંઈ હોય તો, તે આપણું દિવ્યજીવન છે. બીજાના ઉપર પ્રભુત્વ જમાવવાનો… ઉપરીપણું બતાવવાનો પ્રયત્ન કરશો નહિ. સૌના ‘સેવક’ બનજો.

નિષ્ઠાથી કર્તવ્ય બજાવજો… બાકીનું ઈશ્વર ઉપર છોડજો. ઈર્ષા-અભિમાનનો ત્યાગ કરજો. સંપીને કાર્ય કરવાનું શીખજો. સફળતા પ્રાપ્ત કરવી હોય તો અભિમાન છોડજો. મનુષ્યમાંથી ”સિંહ” સર્જનારી વસ્તુ શ્રધ્ધા છે. શું રાષ્ટ્ર કે શું વ્યક્તિ, સૌએ ”સ્વાશ્રયી” થવું પડશે. એનું જ નામ ‘દેશપ્રેમ’. ‘ના’ શબ્દનો ઉચ્ચાર કરશો નહિ. કાર્ય કરવા તત્પર રહો.

સારાં કાર્યોમાં સો વિઘ્નો નડતાં હોય છે. એ સ્વાભાવિક છે. તે સમયે ઊંડામાં ઊંડી સમતુલા જાળવજો. ક્ષુદ્રજીવો તમારા વિરુદ્ધ શું બોલે છે તે તરફ ધ્યાન ન દેતા.

કોઈ આપણને શું કહેશે.. તે ધ્યાનમાં લીધા વિના,નીડરતાથી.. નમ્રતાથી…શ્રદ્ધાથી.. સદ્ભાવે, આપણા નિશ્ચિત ધ્યેયે પહોંચવા, પ્રયત્ન કરવાનો છે. પોતાનો ઉધ્ધાર પોતે જ કરવો પડશે.

ચાડી ન ખાવી, ખટપટનાં ઝાળાં ન રચવાં, બીજાને વિષે હલકીવાતો ન કરવી… કપટ ન કરવાં…..ભ્રષ્ટાચાર ન કરવો. યશ, કીર્તિ કે બીજાઓ ઉપર સત્તા ધરાવવાની ઈચ્છા વિના, ”સેવાકાર્યો” કરવાં.

જે કામ શરૂ કરીએ તે વિકસતું રહેવું જોઈએ. ચાલતું રહેવું જોઈએ. કામ માથે ઉપાડી લે તેવા નિષ્ઠાવાન, શક્તિવંત પ્રામાણિક માણસો તૈયાર કરવા જોઈએ. કામ કરવામાં રસ ઊભો કરવો જોઈએ. વારાફરતી જોખમદારીનું કામ સોંપવું…પણ, તેના ઉપર પાકી દેખરેખ રાખવી.

તમે સૌ ”કાલીમાના” દાસ છો…પછી, ‘ભય’ શાનો ?

Exit mobile version