Site icon Shri Nutan Saurashtra

એકાવન Shaktipeeth ની રચના કેવી રીતે થઇ તેની પૌરાણિક કથા

માતા જગદંબા પૂર્વજન્મમાં પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં ઉત્પન્ન થયાં હતાં.તે સમયે તેમનું નામ સતી હતું.તેમનો વિવાહ ભગવાન શિવની સાથે થયો હતો.તે સમયે દક્ષ પ્રજાપતિ બન્યા.બ્રહ્માજીએ સર્વ પ્રકારે યોગ્ય સમજીને દક્ષને પ્રજાપતિઓના નાયક બનાવી દીધા.જગતમાં એવો કોઇ પેદા થયો નથી જેને પ્રભુતા પ્રાપ્ત થયા પછી અભિમાન ના આવ્યું હોય.એકવાર બ્રહ્માજીની સભામાં શિવજીથી તેઓ અપ્રસન્ન બન્યા હતા.જ્યારે દક્ષ પ્રજાપતિ સભામાં આવ્યા ત્યારે બધા જ લોકો ઉભા થયા પરંતુ ભગવાન શિવ ધ્યાનમાં હોવાથી ઉભા ન થયા.ભગવાન શિવ દક્ષ પ્રજાપતિના જમાઈ હતા.આ જોઈને રાજા દક્ષ ખૂબ ગુસ્સે થઈ ગયા.આ અપમાનનો બદલો લેવા માટે એકવાર પ્રજાપતિ દક્ષે સર્વે મુનિઓને બોલાવી મોટો યજ્ઞ કર્યો.જે દેવતા યજ્ઞનો ભાગ પામે છે તે સર્વેને આદર સહિત નિમંત્રિત કર્યા પરંતુ ભગવાન શિવને આ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું નહોતું.

જ્યારે સતીએ જાણ્યું કે મારા પિતાજી એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યાં જવા માટે તેમનું મન વિહ્વળ બને છે.પોતાની આ ઇચ્છા તેમને ભગવાન શિવને બતાવી.તમામ વાતો ઉપર વિચાર કર્યા પછી ભગવાન શિવે કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઇક કારણસર આપણાથી નારાજ છે.તેમને આ યજ્ઞમાં તમામ દેવતાઓને પોતાનો યજ્ઞભાગ લેવા નિમંત્રિત કર્યા છે પરંતુ આપણને સમજી વિચારીને આમંત્રણ આપ્યું નથી.જો તમે વગર બોલાવ્યે જશો તો શીલ-સ્નેહ અને માન-મર્યાદા નહી રહે.નીતિ કહે છે કે મિત્ર,સ્વામી,પિતા ગુરૂના ઘેર વગર બોલાવ્યે પણ જવું જોઇએ પણ ત્યાં કોઇ વિરોધ કરતું હોય તો તેના ઘેર જવામાં કલ્યાણ નથી.આવી સ્થિતિમાં આપણું ત્યાં જવું કોઇપણ રીતે શ્રેયકર નથી.ભગવાન શિવના આ ઉપદેશની સતી ઉપર કોઇ અસર ના થઇ અને પિતાનો યજ્ઞ જોવા,ત્યાં જઇને માતા અને બહેનોને મળવાની ઇચ્છન વ્યક્ત કરી.

સતીનો પ્રબળ આગ્રહ જોઇને ભગવાન શિવે તેમને પિયર જવાની પરવાનગી આપી અને પોતાના મુખ્ય ગણોને સાથે મોકલ્યા.ભવાની જ્યારે પિતાને ઘેર પહોચ્યા ત્યારે દક્ષના ભયના લીધે તેમની કોઇએ આગતા-સ્વાગતા ના કરી.ફક્ત તેમનાં માતાએ સતીને સ્નેહથી આલિંગનમાં લીધાં.બહેનો પણ મલકાઇને મળી.ભવાનીએ જોયું કે અહીયાં ભગવાન શિવના પ્રત્યે તમામના મનમાં તિરસ્કારનો ભાવ હતો.ક્યાંય શિવજીનો ભાગ ના દેખાયો.દક્ષે તેમના પ્રત્યે કેટલાક અપમાનજનક શબ્દો પણ કહ્યા.આ બધું જોઇને સતીનું હ્રદય ક્ષોભ-ગ્લાનિ અને ક્રોધથી સંતપ્ત થયું.તેમને વિચાર્યું કે ભગવાન શિવની વાત ન માનીને મેં અહીયાં આવવાની મોટી ભૂલ કરી છે.

જ્યાં સંત-શિવજી અને લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની કોઇ નિંદા કરે તો નિંદા કરનારની જીભ કાપી લેવી અને આ શક્ય ના હોય તો કાન બંધ કરીને ત્યાંથી હટી જવું.સતી પોતાના પતિ ભગવાન શિવનું અપમાન સહન ના કરી શક્યાં અને તેમને પોતાના ભૌતિક રૂપને તત્ક્ષણ જ યોગાગ્નિમાં ભસ્મ કરી દીધું.વજ્રપાત સમાન આ દારૂણ દુઃખદ ઘટના જાણીને ભગવાન શિવ ક્રુદ્ધ થઇને પોતાના ગણોને મોકલીને દક્ષના યજ્ઞનો નાશ કરવા લાગ્યા ત્યારે ભૃગુ ઋષિએ યજ્ઞની રક્ષા કરી.

 સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરીને બીજા જન્મમાં હિમાલયની પૂત્રીના રૂપમાં જન્મ લીધો.ભગવાન શંકરને ખબર પડી ત્યારે ક્રોધથી તેની ત્રીજી આંખ ખુલી.સર્વત્ર વિનાશ અને અરાજકતાવ્યાપી ગઈ હતી.ભગવાન શંકરના આદેશથી વીરભદ્રએ દક્ષનો શિરચ્છેદ કર્યો અને અન્ય દેવતાઓને  શિવની નિંદા સાંભળવા માટે પણ શિક્ષા કરી.ભગવાન શિવે સતીના દેહને ખભા પર મૂકી અને દુખ સાથે સમગ્ર ભૂમંડળની યાત્રા શરૂ કરી.ભગવાન શિવ સતીના શરીરને લઈ પૃથ્વી પર ભટક્યા અને તાંડવ નૃત્ય કરવાનું શરૂ કર્યું જેના કારણે પ્રલયની સ્થિતિ થવા લાગી.પૃથ્વી સહિત ત્રણેય જગતનું દુખ જોઇને આ વિનાશકારી સ્થિતિને રોકવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્રથી દેવી સતીના શરીરના એકાવન ટુકડા કર્યા હતા.ભગવતી સતીના શરીરના એકાવન ટુકડા પૃથ્વી ઉપર જ્યાં પડ્યા ત્યાં એકાવન શક્તિપીઠ બની જેની વિશિષ્ટ કથા અને પૌરાણિક મહત્વ છે જેથી આ સ્થાનોને અત્યંત પવિત્ર માનવામાં આવે છે.કહેવાય છે કે આ સ્થાનોમાં દૈવિય શક્તિનો અપાર ભંડાર છે જે શ્રદ્ધાળુઓને આત્મિક શાંતિ અને આર્શિવાદ પ્રદાન કરે છે.જે વિશે વિગતવાર માહિતી જાણીએ..

હિંગળાજ શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત છે જે કરાંચીથી ૧૨૫ કિમી દૂર છે.જ્યાં માતાનું બ્રહ્મરંધ્ર (માથાના ઉપરનો ભાગ) પડ્યું હતું.અહીંની શક્તિ કોટ્ટારી અને ભૈરવ ભીમલોચન છે.

શર્કરે શક્તિપીઠ પાકિસ્તાનમાં સુક્કર સ્ટેશન પાસે છે.કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ શક્તિપીઠનું મૂળ સ્થળ નૈનાદેવી મંદિર બિલાસપુર,હિમાચલપ્રદેશમાં આવેલું છે.જ્યાં દૈવી શક્તિની જમણી આંખ પડી હતી.અહીની શક્તિ મહિષમર્દિની અને ક્રોધિત ભૈરવ છે.

સુગંધ શક્તિપીઠ..બાંગ્લાદેશના શિકારપુરના બારીસાલથી વીસ કિમી દૂર સુગંધા નદીના કાંઠે ઉગરાતારામાં આવેલ છે જ્યાં માતાજીનું  નાક પડ્યુ હતું.અહીંની દેવી સુનંદા અને ભૈરવ ત્ર્યંબક છે.મહામાયા શક્તિપીઠ જમ્મુ-કાશ્મીરના અમરનાથમાં સ્થિત છે જ્યાં માતાના ગળાનો ભાગ પડ્યો હતો. અહીંની શક્તિ મહામાયા અને ભૈરવ ત્રિસંધ્યેશ્વર છે.જ્વાલામુખી શક્તિપીઠ હિમાચલ પ્રદેશના કાંગરામાં સ્થિત છે જ્યાં સતીની જીભ પડી હતી.અહીંની શક્તિ સિદ્ધિદા છે અને ઉન્મત્ત ભૈરવ વિરાજમાન છે.ત્રિપુરમાલિની શક્તિપીઠ પંજાબના જાલંધરમાં કેંટ સ્ટેશન પાસે દેવી તળાવના કિનારે સ્થિત છે.જ્યાં માતાનું ડાબુ સ્તન પડ્યું હતું.અહીંની શક્તિ ત્રિપુરામાલિની અને ભૈરવ ભિષણ છે.અંબાજી શક્તિપીઠ..ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની અરવલ્લીની ગિરીમાળામાં ગબ્બર પર્વતના આરાસુર શિખરની ટોચે દેવી અંબિકાનું ભવ્ય વિશાળ મંદિર છે જ્યાં માતાનું હ્રદય પડ્યું હતું.અહીંની શક્તિ ચંદ્રભાગા અને ભૈરવ વક્રતુંડ છે.ગુહ્યેશ્વરી શક્તિપીઠ કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરની પાસે સ્થિત છે જ્યાં સતીના બંને ઘૂંટણ પડ્યા હતા.અહીંની શક્તિ મહાશિરા’ છે અને ભૈરવ કપાલી’ છે.મનસા-દાક્ષાયની શક્તિપીઠ તિબ્બતમાં કૈલાશ પર્વત,માનસરોવર પાસે સ્થિત છે જ્યાં માતાનો જમણો હાથ પડ્યો હતો.અહીંની શક્તિ દાક્ષાયની અને અમર ભૈરવ ચંદ્રશેખર છે.વિરજાદેવી શક્તિપીઠ..ઓરિસ્સાના ઉત્કલમાં હોવાનું માનવામાં આવે છે જ્યાં માતાની નાભિ પડી હતી.અહીંની શક્તિ વિમલા અને ભૈરવ જગન્નાથ પુરૂષોત્તમ છે.બહુલા શક્તિપીઠ..પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લામાં અજય નદીના કિનારે કટવા જંકશન નજીક કેતુગ્રામમાં સ્થિત છે જ્યાં માતાજીનો ડાબો હાથ પડ્યો હતો.અહીંની શક્તિ બહુલા છે અને ભૈરવ ભિરૂક છે.

ગંડકી શક્તિપીઠ નેપાળના પોખરામાં ગંડકી નદીના કિનારે સ્થિત છે જ્યાં સતીનો જમણો ગાલ પડ્યો હતો. અહીં શક્તિ ગંડકી ચંડી’ છે અને ભૈરવ ચક્રપાણી’ છે.ઉજ્જયિની હરસિદ્ધિ શક્તિપીઠ મધ્યપ્રદેશમાં ઉજ્જૈનના પવિત્ર ક્ષિપ્રા નદીના કાંઠે સ્થિત છે જ્યાં માતાજીની કોણી પડી હતી.અહીંની શક્તિ મંગલ ચંડિકા અને ભૈરવ મંગલ્યા કપિલામ્બર છે.ત્રિપુરા સુંદરી શક્તિપીઠ..ત્રિપુરાના રાધા-કિશોર ગામમાં સ્થિત છે જ્યાં માતાનો જમણો પગ પડ્યો હતો.અહીંની શક્તિ ત્રિપુરા સુંદરી અને ભૈરવ ત્રિપુરેશ છે.ભ્રામરી શક્તિપીઠ..પશ્ચિમ બંગાળના જલપાઇગુરીના શાલબારી ગામમાં તિસ્તા નદી ઉપર સ્થિત છે જ્યાં માતાજીનો ડાબો પગ પડ્યો હતો.અહીંની શક્તિ ભ્રામરી અને ભૈરવ અંબર છે.

કિરીટ શક્તિપીઠ..પશ્ચિમ બંગાળમાં હુબલી નદીના કિનારે લાલબાગ ખાતે  સ્થિત છે.અહીં સતી માતાનો મુગટ પડ્યો હતો.અહીંની શક્તિ વિમલા અથવા ભુવનેશ્વરી અને ભૈરવ સંવર્ત છે.શક્તિ એટલે માતાનું રૂપ જેનું પૂજન કરવામાં આવે છે અને ભૈરવ એટલે કે શિવનો અવતાર જે માતાના આ સ્વરૂપ સાથે હોય છે.કાત્યાયની શક્તિપીઠ..વૃંદાવન મથુરાના ભૂતેશ્વરમાં સ્થિત છે જ્યાં સતીના વાળ પડ્યા હતા.અહીંની શક્તિ દેવી કાત્યાયની છે અને ભૈરવ ભૂતેશ છે.

 કરવીર શક્તિપીઠ..આ શક્તિપીઠ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થિત છે જ્યાં માતાનું ત્રિનેત્ર પડ્યું હતું. અહીંની શક્તિ મહિષાસુરમર્દિની અને ભૈરવ ક્રોધાશિષ છે.તેને મહાલક્ષ્મીનું વ્યક્તિગત નિવાસસ્થાન માનવામાં આવે છે.શ્રી પર્વત શક્તિપીઠ..આ શક્તિપીઠને લઇને વિદ્વાનોમાં મતભેદો છે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ પીઠનું મૂળ સ્થળ લદ્દાખમાં છે જ્યારે કેટલાક માને છે કે તે આસામના સિલ્હેટમાં છે જ્યાં માતા સતીની કાનની બુટ્ટી પડી હતી.અહીંની શક્તિ શ્રીસુંદરી અને ભૈરવ સુંદરનંદ છે. વિશાલાક્ષી શક્તિપીઠ..આ શક્તિપીઠ ઉત્તર પ્રદેશના વારાણસીના મીરઘાટ પર સ્થિત છે જ્યાં માતા સતીના જમણા કાનનો મણિ પડ્યો હતો.અહીંની શક્તિ વિશાલક્ષી અને ભૈરવ કાળ ભૈરવ છે.ગોદાવરી શક્તિપીઠ..આંધ્રપ્રદેશના કબ્બરમાં ગોદાવરી કાંઠે સ્થિત છે જ્યાં માતાનો ડાબો ગાલ પડ્યો હતો.અહીંની શક્તિ વિશ્વેશ્વરી કે રૂકમણી અને ભૈરવ દંડપાની છે.સુચિન્દ્રમ શક્તિપીઠ..તમિલનાડુના કન્યાકુમારીના ત્રિસાગર સંગમ સ્થળે સ્થિત છે જ્યાં સતીનાં ઉપરના દાંત પડ્યા હતા.અહીંની શક્તિ નારાયણી અને ભૈરવ સનહર કે સંકુર છે.

પંચસાગર શક્તિપીઠનું કોઈ નિશ્ચિત સ્થાન જાણી શકાયું નથી પરંતુ અહીં માતાના નીચેનાં દાંત પડ્યા હતા.અહીંની શક્તિ વારાહી અને ભૈરવ મહુદ્ર છે.

ભૈરવપર્વત શક્તિપીઠને લઈને વિદ્વાનોમાં મતભેદ છે.કેટલાક લોકો ગુજરાતના ગિરનાર નજીકના ભૈરવ પર્વતને તો કેટલાક લોકો મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક ક્ષિપ્રા નદીના કાંઠે વાસ્તવિક શક્તિપીઠ માને છે જ્યાં માતાનો ઉપરનો હોઠ પડ્યો હતો.અહીંની શક્તિ અવંતિ અને ભૈરવ લંબકર્ણ છે.

અટ્ટહાસ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના લાભપુરમાં સ્થિત છે જ્યાં માતાનો નીચેનો હોઠ પડ્યો હોવાનું માનવામાં આવે છે.અહીંની શક્તિ પૂર્ણ છે અને ભૈરવ વિશ્વેશ છે.

જનસ્થાન શક્તિપીઠ પંચવટી મહારાષ્ટ્ર નાસિકમાં સ્થિત છે જ્યાં માતાજીની દાઢીનો ભાગ પડ્યો હતો. અહીંની શક્તિ ભ્રામરી અને ભૈરવ વિકૃતક્ષા છે.

નંદીપુર શક્તિપીઠ પશ્ચિમ બંગાળના સૈન્થયામાં સ્થિત છે જ્યાં દેવીના શરીરના ગળાનો હાર પડ્યો હતો.અહીંની શક્તિ નંદિની અને ભૈરવ નંદકેશ્વર છે.શ્રી શૈલ શક્તિપીઠ આંધ્રપ્રદેશના કુર્નૂલ નજીક છે જ્યાં માતાજીની ગરદન પડી હતી.અહીંની શક્તિ મહાલક્ષ્મી અને ભૈરવ ઇશ્વરાનંદ છે. નલહટી શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બોલપુરમાં છે જ્યાં માતાની ઉદર-નળી પડી હતી.અહીંની શક્તિ કાલિકા અને ભૈરવ યોગિશ છે.

મિથિલા શક્તિપીઠનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે.આ સ્થાનને લઈને મત મતમતાંતર છે.મિથિલા શક્તિપીઠ નેપાળમાં જનકપુર,બિહારના સમસ્તીપુર અને સહરષામાં માનવામાં આવે છે જ્યાં માતાની ડાબો ખભો પડ્યો હતો.અહીંની શક્તિ ઉમા અથવા મહાદેવી અને ભૈરવ મહોદર છે.રત્નાવલી શક્તિપીઠનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે.તે ચેન્નઈ તમિલનાડુ રત્નાવલી શક્તિપીઠમાં ક્યાંક સ્થિત છે જ્યાં માતાનો જમણો ખભો પડ્યો હતો.અહીંની શક્તિ કુમારી અને ભૈરવ શિવ છે.

રામાગિરિ શક્તિપીઠની સ્થિતિ અંગે વિદ્વાનોમાં મતભેદ છે.કેટલાક ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં માને છે તો કેટલાક મધ્યપ્રદેશના મૈહારમાં માને છે જ્યાં માતાજીનું જમણું સ્તન પડ્યુ હતું.અહીંની શક્તિ શિવાની અને ભૈરવ ચંદ્ર છે.

વૈદ્યનાથ શક્તિપીઠ ઝારખંડના દેવઘરના ગિરિડીહમાં સ્થિત છે જ્યાં માતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અહીંની શક્તિ જયદુર્ગા અને ભૈરવ વૈદ્યનાથ છે.વરકેશ્વર શક્તિપીઠ..આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના સૈન્થ્યામાં સ્થિત છે જ્યાં માતાનું મન પડ્યું હતું  અહીંની શક્તિ મહિષાસુરમર્દિની અને ભૈરવ વક્રનાથ છે.કન્યાકુમારી શક્તિપીઠ..તામિલનાડુના કન્યાકુમારીમાં હિંદ મહાસાગર,અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના સંગમ પર સ્થિત છે જ્યાં માતાજીની પીઠ પડી હતી.અહીં શક્તિ શર્વાની કે નારાયણી અને ભૈરવ નિમિષિ અથવા સ્થાણું છે.

મણિવેદિકા શક્તિપીઠ..રાજસ્થાનના પુષ્કરમાં આવેલી છે જેને ગાયત્રી મંદિર તરીકે ઓળખવામાં આવે છે ત્યાં માતાજીના હાથના કાંડા પડ્યા હતા.અહીંની શક્તિ ગાયત્રી અને ભૈરવ શેરવાનંદ છે.પ્રયાગ શક્તિપીઠ..ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં સ્થિત છે.માતાજીના હાથની આંગળીઓ અહીં પડી હતી.શક્તિપીઠની શક્તિ લલિતા છે અને ભૈરવ ભાવ છે.કાંચી શક્તિપીઠ..તમિલનાડુના કાંચિવરમમાં સ્થિત છે જ્યાં માતાનું હાડપિંજર પડ્યું હતું.અહીંની શક્તિ દેવગ્રહ અને ભૈરવ રૂરૂ છે.

કાલમાધવ શક્તિપીઠ વિશે કોઈ નિશ્ચિત સ્થાન જાણી શકાયું નથી પરંતુ માતાનો ડાબો નિતંબ અહીં પડ્યો હતો.અહીંની શક્તિ કાલી અને ભૈરવ અસિતંગા છે.શોણ શક્તિપીઠ..મધ્યપ્રદેશના અમરકંટકમાં સ્થિત છે.માતાનો જમણો નિતંબ અહીં પડ્યો હતો. બીજી માન્યતા એવી છે કે બિહારના સાસારામનું તારાચંડી મંદિર શોણા-તટસ્થા શક્તિપીઠ છે એવું માનવામાં આવે છે કે સતીનું જમણું નેત્ર અહીં પડ્યું હતું.અહીંની શક્તિ નર્મદા અથવા શોનાક્ષી અને ભૈરવ ભદ્રસેન છે.

કામખ્યા શક્તિપીઠ..આસામના ગુહાહાટીના કામગીરી પર્વત પર સ્થિત છે જ્યાં માતાજીની યોનિ પડી હતી.અહીંની શક્તિ કામખ્યા દેવી અને ભૈરવ ઉમાનંદ છે.જયંતિ શક્તિપીઠ..મેઘાલયના જૈંટીયા ટેકરી પર સ્થિત છે જ્યાં માતાજીની ડાબી જાંઘ પડી હતી. અહીંની શક્તિ જયંતિ અને ભૈરવ ક્રમાદિશ્વર છે.મગધ શક્તિપીઠ..બિહારની રાજધાની પટનામાં પટનેશ્વરી શક્તિપીઠ માનવામાં આવે છે જ્યાં માતાની જમણી જાંઘ પડી હતી.અહીંની શક્તિ સર્વાનંદકરી અને ભૈરવ વ્યોમકેશ છે.

 વિભાષા શક્તિપીઠ..પશ્ચિમ બંગાળના મિદનાપુરના તમરૂલક ગામમાં સ્થિત છે જ્યાં માતાની ડાબા પગની ઘૂંટી પડી હતી.અહીંની શક્તિ કપાલિની,ભીમરૂપા અને ભૈરવ સર્વાનંદ છે.કુરુક્ષેત્ર શક્તિપીઠ..જેને શ્રીદેવિકૂપ ભદ્રકાળી પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હરિયાણામાં કુરુક્ષેત્ર જંકશન નજીક દ્વિપાયન સરોવર નજીક આવેલું છે.માતાનો જમણો પગ અહીં પડ્યો હતો.અહીં શક્તિ સાવિત્રી અને ભૈરવ સ્તમ્ છે.

યુગદ્યા શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બર્દમાન જિલ્લામાં ક્ષીરગ્રામમાં સ્થિત છે જ્યાં સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો.અહીંની શક્તિ જુગદય અને ભૈરવ ક્ષીર ખંડક છે.

વિરાટ શક્તિપીઠ રાજસ્થાનની પિંક સિટી જયપુરના વૈરાટગ્રામમાં સ્થિત છે જ્યાં સતીની જમણા પગની આંગળીઓ પડી હતી.અહીંની શક્તિ અંબિકા અને ભૈરવ અમૃત છે.કાલીકા શક્તિપીઠ..કોલકાતાના કાલિઘાટમાં કાલીમંદિર તરીકે જાણીતું છે જ્યાં માતાના જમણા અંગૂઠા સિવાયની ચાર આંગળીઓ પડી હતી.અહીંની શક્તિ કાલિકા અને ભૈરવ નકુલેશ છે.

માનસ શક્તિપીઠ તિબેટના માનસરોવર કાંઠે સ્થિત છે જ્યાં માતાની જમણી હથેળી પડી હતી.અહીં શક્તિ દક્ષાયની છે અને ભૈરવ અમર છે.લંકા શક્તિપીઠ શ્રીલંકામાં સ્થિત છે જ્યાં માતાની પાયલ પડી હતી.અહીંની શક્તિ ઇન્દ્રક્ષી અને ભૈરવ રક્ષિતેશ્વર છે.જોકે તે જાણી શકાયું નથી કે શ્રીલંકામાં કયા સ્થળે પડ્યું હતું.

કરતોયાઘાટ શક્તિપીઠ..બાંગ્લાદેશના ભવાનીપુરમાં કાર્ટૂયા નદીના કાંઠે સ્થિત છે જ્યાં માતાની ડાબી આંખ પડી હતી.અહીં દેવી અપર્ણા અને ભૈરવ શિવ-વામન રહે છે.યશોરેશ્વરી શક્તિપીઠ બાંગ્લાદેશના જેસોરના ખુલનામાં સ્થિત છે જ્યાં માતાની ડાબી હથેળી પડી હતી.અહીં શક્તિ યશોરેશ્વરી અને ભૈરવચંદ્ર છે.મહાકાળી શક્તિપીઠ પાવાગઢના ડુંગર ઉપર સ્થિત છે જ્યાં માતાજીની જમણા પગની આંગળી પડી હતી.

Exit mobile version