New Delhi,તા.05
આયરલેન્ડ ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર સિમરનજીત સિંહ ઉર્ફે સિમી સિંહ પોતાના જીવન માટે લડી રહ્યો છે.મળતી માહિતી પ્રમાણે, આ ઓલરાઉન્ડરને એક્યૂટ લિવર ફેલિયર થયુ હોવાથી ગુરુગ્રામના મેદાંતાના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તે લીવર ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યો છે. સિમી 2017માં ડેબ્યૂ કર્યા બાદથી આયર્લેન્ડ ક્રિકેટ ટીમ માટે મહત્વના ખેલાડી રહી ચૂક્યાં છે અને તેણે ODI અને T20I બંનેમાં તેની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.
સિમીનો જન્મ પંજાબના મોહાલીમાં થયો હતો અને તેણે અંડર-14 અને અંડર-17 સ્તરે સફળતાપૂર્વક પંજાબનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તે અંડર-19 સ્તર સુધી પહોંચવામાં અસફળ રહ્યાં હતા. આ પછી તે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે 2005માં આયર્લેન્ડ ગયા અને ત્યાં પ્રોફેશનલ ક્રિકેટ રમવા લાગ્યો. 2006માં, તેને ડબલિનમાં માલાહાઇડ ક્રિકેટ ક્લબ દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં તેને આયર્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
સારી સારવાર માટે ભારત આવ્યો
સિમીના સસરા પરવિંદર સિંહે જણાવ્યું કે, લગભગ પાંચ-છ મહિના પહેલા જ્યારે સિમી ડબલિનમાં હતો ત્યારે તેને વિચિત્ર પ્રકારનો તાવ આવ્યો હતો જે વારંવાર આવતો અને જતો રહે છે. જે બાદ સિમીએ ત્યાં પોતાનો ચેકઅપ કરાવ્યો હતો પરંતુ તપાસમાં કંઈ સામે આવ્યું નહીં. ત્યાંનાના ડૉક્ટરોએ કહ્યું કે, કંઇ સમજાતુ નથી તેથી સિમિની સારવાર નહી કરી શકીએ.
પરવિન્દરે આગળ કહ્યું કે, સારવારમાં વિલંબને કારણે સિમીની તબિયત વધુ બગડી રહી હતી, તેથી તેણે વધુ સારી સારવાર ભારતમાં કરાવવાનું નક્કી કર્યું. સિમી જૂનના અંતમાં મોહાલી જવા રવાના થયો હતો અને ડોકટરો સાથે કેટલાક પરામર્શ પછી, જુલાઈની શરૂઆતમાં પીજીઆઈ, ચંદીગઢમાં તેની સારવાર શરૂ થઈ હતી. ત્યાં ટીબીની સારવાર શરૂ કરવામાં આવી અને તેને એન્ટિબાયોટિક આપવામાં આવી. બાદમાં જાણવા મળ્યું કે તેને ટીબી નથી.
સિમીની પત્ની અગમદીપ કૌર ડબલિનમાં કામ કરે છે, તે પોતાના લિવરનો એક ભાગ દાન કરવા તૈયાર છે. સિમીનું બ્લડ ગ્રુપ એબી પોઝિટિવ છે, જેનો અર્થ છે કે તે યૂનિવર્સલ એક્સેપ્ટર છે.
લિવર ટ્રાન્સપ્લાન્ટ
તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે સિમીનો તાવ ઓછો ના થય ત્યારે તેને વધુ તપાસ માટે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો,ત્યાં કહેવામાં આવ્યું કે સિમીને ટીબી નથી, પરંતુ દવાઓનો કોર્સ પૂરો કરવો પડશે. ટીબીની દવાઓની સાથે તેને સ્ટેરોઈડ પણ આપવામાં આવી હતી. તે પછી તેનો તાવ ફરી વધવા લાગ્યો અને તેને કમળો થઇ ગયો.
ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં, અમે તેને ફરીથી પીજીઆઈ લઈ ગયા, જ્યાં સિમીને ICUમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ તેની તબિયત સતત બગડતી રહી અને ત્યારબાદ પીજીઆઈના ડોકટરોએ કહ્યું કે, સિમીનું લીવર ફેઈલ થઈ ગયું છે. જેથી ડૉક્ટરોએ સિમીને ગુરુગ્રામના મેદાંતા ખાતે લઈ જવાની સલાહ આપી કારણ કે સિમીની કોમામાં જવાની ઉચ્ચ સંભાવના હતી જેના પછી ટ્રાન્સપ્લાન્ટ શક્ય નહીં બને. તેમને 3 સપ્ટેમ્બરે મેદાન્તા લાવવામાં આવ્યા હતા અને હવે તે લીવર ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યો છે.