પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ લાંબા ગાળાના રોકાણ પસંદગીનો વિકલ્પ છે. તેનું મુખ્ય આકર્ષણ કર બચત સાથે જોડાયેલું છે. નાણા મંત્રાલય હેઠળની નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 1968માં શરૂ કરાયેલ પીપીએફનો હેતુ નાની બચત દ્વારા રિટાયરમેન્ટ માટે ફંડ એકત્ર કરવા ઉપરાંત આવકવેરામાંથી બચત કરવાનો છે.
જો પીપીએફમાં તમે 25 વર્ષ માટે નિયમિતપણે રોકાણ કરો છો, તો તમે તેની મદદથી રૂ. 1 કરોડનું રિટાયરમેન્ટ ફંડ ઉભુ કરી શકો છો. તમે પીપીએફમાં રૂ. 500થી રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. પીપીએફ એ પગારદાર વર્ગ અને અન્ય વ્યક્તિઓ માટે રોકાણનું મહત્વનું માધ્યમ છે.
પીપીએફ ખાતું 25 વર્ષ સુધી ચાલુ રાખી શકાય
પીપીએફ ખાતાની પાકતી મુદત 15 વર્ષ છે. પરંતુ તમે તેને 5-5 વર્ષના બ્લોકમાં વધારી શકો છો. જો તમે 15 વર્ષ સુધી તમારા પીપીએફ ખાતામાં દર વર્ષે થોડા પૈસા જમા કરાવતા રહેશો તો 15 વર્ષ પછી તમારી પાસે સારું એવુ ફંડ જમા થશે. 15 વર્ષ પછી, તમે તમારું પીપીએફ એકાઉન્ટ બંધ કરી શકો છો અથવા તેને 10 વર્ષ માટે વધુ 5 વર્ષ માટે ચાલુ રાખી શકો છો.
વ્યાજ દર
પીપીએફ પર વ્યાજ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને દર ત્રણ મહિને તેની સમીક્ષા કરવામાં આવે છે. તે સામાન્ય રીતે વાર્ષિક ધોરણે 7થી 8%ની વચ્ચે રહે છે અને વ્યાજ ફક્ત વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. હાલમાં પીપીએફ પર વ્યાજ દર 7.1 ટકા નક્કી કરવામાં આવ્યો છે.
પીપીએફમાં રોકાણના લાભ
પીપીએફ તમને ત્રણ પ્રકારની છૂટ આપે છે. અહીં, તમે રોકાણ કરેલા પૈસા, તેના પર મળેલા વ્યાજ અને મેચ્યોરિટી પર થતી આવક પર તમારે આવકવેરાની કલમ 80C હેઠળ કોઈ ટેક્સ ચૂકવવાનો નથી. વધુમાં, સરકાર સમર્થિત યોજના હોવાને કારણે, પીપીએફ સુરક્ષિત રોકાણ ગણાય છે. જેમાં કોઈપણ પ્રકારનું જોખમ નથી.
1 કરોડનું ફંડ કેવી રીતે ઉભુ કરવું
પીપીએફમાં દર વર્ષના અંતે વ્યાજ મળે છે. જો તમે મહત્તમ લાભ મેળવવા માંગતા હોવ તો તમારે વર્ષની શરૂઆતમાં એટલે કે 1 એપ્રિલમાં જ રૂ. 1.50 લાખ અથવા રૂ. 12500 જમા કરાવવાના રહેશે. જેથી તમને આખા વર્ષ માટે વ્યાજ મળશે. વર્ષના અંતે તમારા ખાતામાં જમા કુલ રકમ રૂ. 160650 થશે.
15 વર્ષમાં રૂ. 18.18 લાખનું વ્યાજ
જો તમે આ રૂ. 1,60,650માં બીજા વર્ષે વધુ રૂ. 1.50 લાખ ઉમેરો છો, તો કુલ રકમ રૂ. 3,10,650 થશે. જે વર્ષના અંતે તેના પર રૂ. 22,056 વ્યાજ મળશે. જો તમે દર વર્ષે 1 એપ્રિલે તમારા પીપીએફ ખાતામાં 1.50 લાખ જમા કરાવતા રહો છો, તો 15 વર્ષના અંતે કુલ રૂ. 22.50 લાખ જમા કરાવ્યા હશે અને તેના પર કુલ રૂ. 40.68 લાખનું ફંડ ઉભુ થશે. જેમાં રૂ. 18.18 લાખ વ્યાજના રહેશે.
25 વર્ષના અંતે રૂ. 1.03 કરોડ મળશે
જો તમે 15 વર્ષ પૂરા થવા પર પીપીએફ એકાઉન્ટ બંધ ન કરો અને તેને આગામી પાંચ વર્ષ સુધી લંબાવશો તો તમારું રૂ. 30 લાખનું રોકાણ વધીને 66.58 લાખ રૂપિયા થઈ જશે. તેમાં વ્યાજપેટે રૂ. 36.58 લાખની આવક થશે. જો તમે તેને ફરીથી પાંચ વર્ષ (કુલ 25 વર્ષ) માટે લંબાવશો તો તમારું રોકાણ રૂ. 37.50 લાખ થશે અને વ્યાજ રૂ. 65.58 લાખ થશે. આ રીતે તમને કુલ 1.03 કરોડ રૂપિયા મળશે.