India સહિત ઊભરતા markets માં વૈશ્વિક રોકાણ પ્રવાહ મોટાપાયે ઠલવાતો જોવાશે

Mumbai,તા.20

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષાથી વધુ અડધા ટકાના ઘટાડાને કારણે ભારત સહિત ઊભરતી બજારોમાં વૈશ્વિક ફંડો, રોકાણકારો દ્વારા મોટાપાયે રોકાણ ધોધ વહેતો થવાની પૂરી શકયતા છે. ઊભરતી બજારોમાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત હોવાથી અને અત્યારે શ્રેષ્ઠ વળતર આપી રહેલાં ભારતમાં ફરી શેરોમાં ખરીદદાર બનેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો, એફપીઆઈ રોકાણકારો પોતાનો ફંડ પ્રવાહ ભારત તરફ વાળે એવી શકયતા નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

ભારતને બાદ કરતા ઊભરતી બજારો માટે અગાઉ હું સાવચેતી ધરાવતો હતો પરંતુ હવે ઊભરતી બજારો માટે હું એકદમ તેજીનું માનસ ધરાવું છું એમ ઊભરતી બજારના રોકાણકાર માર્ક મોબિયસે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.  ઈન્વેસ્ટમેન્ટ મથક તરીકે ભારત માટે પોતે એકદમ આશાવાદી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વ્યાજ દરમાં કપાતની સ્થિતિમાં સામાન્ય રીતે  વિદેશી રોકાણકારો ઊભરતી બજારો તરફ નજર દોડાવતા હોય છે. અમેરિકન બોન્ડસ તથા અન્ય એસેટસ પર યીલ્ડસમાં ઘટાડાને કારણે વિદેશી રોકાણકારો ઊભરતી બજારો તરફ વળવા લાગે છે. વર્તમાન મહિનામાં ઊભરતી બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું સૌથી વધુ આકર્ષણ ભારતીય ઈક્વિટીસમાં રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. સપ્ટેમ્બરમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસમાં અત્યારસુધીમાં ૨.૧૯ અબજ ડોલર ઠાલવ્યા છે. ૩.૭૦ કરોડ ડોલર સાથે ઈન્ડોનેશિયા બીજા ક્રમે રહ્યું છે.

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની ભારતીય બજાર પર મર્યાદિત અસર રહેશે. લાંબા ગાળાના વિકાસનો અવકાશ હોવા છતાં, ઊંચા મૂલ્યાંકનોને કારણે રોકાણકારો સાવચેતીનો સૂર ધરાવે છે, એમ ગોલ્ડમેન સાક્સ દ્વારા મત વ્યકત કરાયો છે.

વ્યાજ દરમાં ૫૦ બેઝિસ પોઈન્ટના ઘટાડાથી પોતાને આશ્ચર્ય થયું હોવાનું જેફરીસ ખાતેના ઈક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વુડે જણાવ્યું હતું. આ ઘટાડાથી ભારત સહિત ઊભરતી બજારોને લાભ થશે એમ તેમણે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું.

વદેશી રોકાણકારોનો ભારતમાં પસંદગીના ક્ષેત્રોમાં જ ઈન્ફલોસ જોવા મળવાની એક વિશ્લેષકે ધારણાં મૂકી હતી. ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોનો રસ વધી શકે છે.

 

Leave a Comment