Rajkot,તા.8
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ અને કલેકટર તંત્ર દ્વારા આગામી તા.24થી 28 ઓગષ્ટ દરમ્યાન શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળાના આડે હવે માત્ર 16 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાઈડ્સ સંચાલકો અને આઈસ્ક્રીમના સ્ટોલ માટેના વેપારીઓની માંગણી હજુ અધ્ધરતાલ લટકતી રહેતા વેપારીઓએ અગાઉ બે વખત હરરાજીનો બહિષ્કાર કર્યા બાદ કલેકટર તંત્ર દ્વારા જૂની કલેકટર કચેરી ખાતે આજે બપોરના 3-30 કલાકે વધુ એક વખત હરરાજીનો પ્રયાસ કરવામાં આવેલ છે.
જોકે રાઈડ્સ સંચાલકોની રાઈડ્સ માટેના ફાઉન્ડેશન બે પ્લોટમાં ત્રણ રાઈડ્સ રાખવા દેવાની મંજૂરી આપવા એનડીટી રીપોર્ટનો નિયમ રદ કરવા સહિતની માંગણી પ્રત્યે લક્ષ વહીવટી તંત્ર દ્વારા નહીં અપાતા રાઈડ્સ સંચાલકો આ મુદે આજે ફરી નારાજગી વ્યકત કરી છે. દરમ્યાન રાઈડ્સ સંચાલકો આજે ધારાસભ્ય ઉદય કાનગડ પાસે દોડી ગયા હતા અને તેઓની માંગણી તેઓ સમક્ષ દોહરાવી હતી.
આ મામલે આજે જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાઈડસની એસઓપીમાં કોઈ બાંધછોડ કરાશે નહીં કારણ કે એસઓપીમાં બાંધછોડ કરવાની સત્તા નથી. લોકોની સુરક્ષા મહત્વની છે. તેઓએ એમ પણ વિશેષમાં કહ્યું હતું કે જાહેર જનતાને હીતને ધ્યાનમાં રાખી રાઈડસ સંચાલકો હરરાજીમાં ભાગ લે તે જરૂરી છે.
અહી ઉલ્લેખનીય છે કે રાઈડસ સંચાલકો એવું જણાવી રહ્યા છે કે ફાઉન્ડેશન એનડીટી રીપોર્ટ સોઈલ ટેકસ સહિતનો ખર્ચ ભારેખમ થતો હોય પરવડી શકે તેમ નથી. આ ઉપરાંત રાઈડસના પરિવહનનું ભાડુ પણ તેમને મસ મોટી રકમનું ચૂકવવું પડે છે. જેથી તંત્ર રાઈડસ અંગેની એસઓપીમાં બાંધછોડ કરે તો જ તેઓ હરરાજીમાં ભાગ લઈ શકે તેમ છે.
રાઈડસ સંચાલકોની મનમાનીના કારણે યાંત્રિક રાઈડસ અને ઈએફજીએસના પ્લોટોની હરરાજીનું કોકડું ગુંચવાઈ ગયું છે. તેમજ આઈસ્ક્રીમના સ્ટોલના વેપારીઓએ જીએસટી નંબરના મુદ્દે હરરાજીમાં હજુ ભાગ લીધો હતો. ત્યારે યાંત્રિક રાઈડસ અને આઈસ્ક્રીમના પ્લોટની હરરાજી આજે બપોરના વધુ એક વખત જુની કલેકટર કચેરી ખાતે આયોજીત કરવામાં આવી છે ત્યારે વહીવટી તંત્ર આ હરરાજી કરવામાં સફળ થશે કે કેમ? તે એક પ્રશ્ન ઉદભવેલ છે.
આઈસ્ક્રીમના સ્ટોલ માટે વેપારીઓની મનમાની સામે તંત્ર ડાયરેકટ કંપનીઓના સંપર્કમાં
જીએસટીના મુદ્દે નારાજગી: કંપનીને આઉટલેક ફાળવવા તજવીજ
લોકમેળામાં આઈસ્ક્રીમના સ્ટોલ માટે ફોર્મ ભરનાર વેપારીઓ જીએસટીના મુદ્દે નારાજગી વ્યકત કરી આઈસ્ક્રીમ માટેની હરરાજીથી મોઢુ ફેરવ્યું છે. ત્યારે આઈસ્ક્રીમના વેપારીઓની આ મનમાની સામે કલેકટર તંત્રએ હવે ડાયરેકટ આઈસ્ક્રીમની કંપનીઓનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. જો વેપારીઓ આજની આ હરરાજીમાં ભાગ નહી લે તો કલેકટર તંત્ર દ્વારા ડાયરેકટ આઈસ્ક્રીમની કંપનીઓને આઉટલેક ફાળવી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
યાંત્રિક રાઈડસ સંચાલકોની સાથે આઈસ્ક્રીમના સ્ટોલના વેપારીઓએ જીએસટીના મુદ્દે અગાઉની બે વખતની હરરાજીમાં ભાગ લીધો ન હતો. વહીવટી તંત્ર દ્વારા આજે ત્રીજી વખત હરરાજીનો પ્રયાસ કરવામાં આવેલ છે.
ખાણીપીણીના 22 પ્લોટની હરરાજીમાં રૂા.30.35 લાખની આવક
લોકમેળાના ખાણીપીણીના 22 પ્લોટની કરાયેલ હરરાજીમાં લોકમેળા સમિતિ-કલેકટર તંત્રને રૂા.30.35 લાખની આવક થવા પામી છે. જુની કલેકટર કચેરી ખાતે ગઈકાલે કુલ 24 પ્લોટની હરરાજી રાખવામાં આવી હતી.
આ માટે 47થી વધુ ફોર્મ વેપારીઓના ભરાયા હતા. જેમાંથી 22 પ્લોટની હરરાજી થવા પામી હતી. આ સ્ટોલ માટે અપસેટ પ્રાઈઝ રૂા.1 લાખની રાખવામાં આવી હતી. જોકે 22 પ્લોટની આ હરરાજીમાં રૂા.30.35 લાખની આવક થવા પામી છે. જેમાં સૌથી વધુ 36 નંબરના પ્લોટ માટે રૂા.1.71 લાખ ઉપજયા હતા.
લોકમેળાના કંટ્રોલરૂમ માટે 125 જેટલા રેવન્યુ કર્મચારીઓના ઓર્ડરો કાઢવા લીથો તૈયાર
ત્રણેય મામલતદારોને સોપાશે ખાસ જવાબદારી
લોકમેળામાં કંટ્રોલરૂમ માટે 125 જેટલા રેવન્યુ કર્મચારીઓને ખાસ ફરજ સોપવામાં આવનાર છે. કલેકટર તંત્ર દ્વારા આ કર્મચારીઓના ઓર્ડરોનો લીથો તૈયાર કરી દેવામાં આવેલ છે. ટુંક સમયમાં જ આ તમામ 125 જેટલા કર્મચારીઓને લોકમેળામાં વિશેષ ફરજના ઓર્ડર ઈશ્યુ કરી દેવામાં આવેલ છે.
આ ઉપરાંત શહેરના ત્રણેય ઝોનના મામલતદારો તેમજ નાયબ મામલતદારોને પણ લોકમેળામાં વિશેષ જવાબદારી સોપવામાં આવનાર છે. લોકમેળાના સૂચારૂ આયોજન માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા કમર કસી દેવામાં આવેલ છે. જેમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં સ્ટોલ, સ્ટેજના નિર્માણની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે.