Rajkot, તા.૩૦
બાળકોના પાયાના શિક્ષણથી લઈને કારકિર્દીના ઘડતરમાં શિક્ષકોનો સિંહફાળો રહેલો છે. તેમની કાર્યનિષ્ઠાને વધાવવા અને સન્માનિત કરવા માટે ગત તા. ૨૮મીને શનિવારના રોજ રાત્રે ૮ થી ૧૧ કલાક દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સતત ત્રીજા વર્ષે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લાની ૬૦૦થી વધુ શાળાના કુલ ૬૨૩ શિક્ષકોને ખૂબ જ પ્રતિષ્ઠિત એસ.એફ.એસ. ટીચર્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા તેમ મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ એક યાદીમાં જણાવ્યું છે.
તેમણે જણાવેલ કે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે યોજાયેલ બેસ્ટ ટીચર એવોર્ડમાં પ્રાઈમરી, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના ૪૩૦ મહિલા શિક્ષકો અને ૧૯૦ શિક્ષક ભાઈઓને આ વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં આત્મીય યુનિ.ના ત્યાગવલ્લભ સ્વામી, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મૌલેશ ઉકાણી, દેવાંગ માંકડ, મનિષ રાડિયા વિ. અનેક મહાનુભાવોનો સમાવેશ થતો હતો.