Mumbai,તા,26
દરેક વ્યક્તિ પોતાના નિવૃત્તિ માટે મોટુ ફંડ એકત્ર કરવા ઈચ્છે છે. પરંતુ અયોગ્ય રોકાણ યોજના અને બચતના અભાવે તેઓ નિવૃત્તિ જ લઈ શકતા નથી. પરંતુ યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય સમયે લીધેલા નિર્ણયથી નિવૃત્તિ બાદ પણ શાંતિથી સમય પસાર કરી શકો છો. આજના સમયમાં નિવૃત્તિ યોજનાઓમાં મ્યુચ્યુઅલ ફંડ પસંદગીનું માધ્યમ બન્યુ છે. પરંતુ તેમાં જોખમ પણ રહ્યું છે. આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને ગેરેંટી સાથે નિયમિત આવક ઉપલબ્ધ કરાવશે.
એલઆઈસી ન્યૂ જીવન શાંતિ પ્લાન
આ યોજના એલઆઈસી ન્યૂ જીવન શાંતિ પ્લાન તરીકે ઓળખાય છે. જેમાં એક સામટું રોકાણ તમને જીવનભર પેન્શન આપવાની ખાતરી આપે છે. નિર્ધારિત વયજૂથના લોકો આ યોજનામાં રોકાણ કરી શકે છે. સિંગલ પ્રીમિયમ પ્લાનમાં રૂ.1 લાખથી વધુનું પેન્શન મેળવી શકો છો.
પોલિસીમાં બે વિકલ્પો ઉપલબ્ધ
એલઆઈસીની આ પેન્શન પોલિસી 30થી 79 વર્ષની વયજૂથના લોકો ખરીદી શકે છે. આ સ્કીમમાં ગેરેંટી પેન્શનની સાથે અન્ય લાભો પણ મળે છે. આ પ્લાન ખરીદવા માટે બે વિકલ્પો ડિફર્ડ એન્યુટી ફોર સિંગલ લાઈફ (Deferred Annuity for Single Life) અને ડિફર્ડ એન્યુટી ફોર જોઈન્ટ લાઈફ (Deferred Annuity for Joint Life) ઉપલબ્ધ છે. જેમાં સિંગલ કે સંયુક્તપણે રોકાણ કરી શકો છો.
રોકાણ પર મળતું પેન્શન
કુલ રોકાણ | હોલ્ડિંગ પિરિયડ | પેન્શન રૂ.માં |
11 લાખ | 5 વર્ષ | 102850 |
11 લાખ | 20 વર્ષ | 237600 |
(નોંધઃ માત્ર સમજણ માટે ઉદાહરણ રૂપે)
પેન્શન મર્યાદા નક્કી કરો
એલઆઈસીની નવી ન્યૂ જીવન શાંતિ પોલિસી એક એન્યુટી પ્લાન છે. જેમાં વ્યાજ પણ મળે છે. જેમાં પેન્શનની સમય મર્યાદા વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક કે માસિક નિર્ધારિત કરી શકો છો. પેન્શન જીવો ત્યાં સુધી મળવાપાત્ર છે. જેમાં લઘુત્તમ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકો છો. મહત્તમ કોઈ મર્યાદા નથી.
પેન્શનની સાથે મળશે આ લાભ
એલઆઈસીની આ પોલિસીમાં ગેરેંટેડ પેન્શનની સાથે અન્ય લાભો પણ મળે છે. જેમાં ડેથ કવર પણ સામેલ છે. જો પોલિસીની મુદ્દત દરમિયાન હોલ્ડર્સનું મોત નીપજે છે, તો તેના એકાઉન્ટમાં જમા સંપૂર્ણ રકમ નોમિનીને આપવામાં આવે છે. જેમાં નોમિનીને રૂ. 11 લાખના રોકાણ પર વ્યાજ સાથે રૂ. 12.10 લાખ મળશે. આ પ્લાનને ગમે ત્યારે સરેન્ડર કરી શકો છો. 20 વર્ષના હોલ્ડિંગ પિરિયડમાં મૃત્યુના કિસ્સામાં નોમિનીને રૂ. 1210000 મળવાપાત્ર છે.