આપ જ્ઞાાની, મહાજ્ઞાાની અને omniscient! છો !

ઈ.સ. પૂર્વે ૫૫૭ની વૈશાખ સુદ દસમની આથમતી સંધ્યાએ ઋજુવાલિકા નદીના કિનારે પ્રભુ મહાવીરને કેવળજ્ઞાાન અને કેવળદર્શન પ્રગટ થયા. આઠ પ્રાતિહાર્ય અર્થાત્ છડીદારથી એ પૂજવા યોગ્ય બન્યા અને દેવો એમના ચોથા કલ્યાણકની એટલે કેવળજ્ઞાાન કલ્યાણકની ઉજવણીએ આવી પહોંચ્યા. એમણે રચેલા સમવસરણમાં પ્રભુ બિરાજમાન થયા. આ ધર્મસભામાં દેવોની ઉપસ્થિતિ હતી. ભગવાને દેશના તો આપી, પરંતુ આશ્ચર્યકારક ઘટના બની. તીર્થંકરની દેશના કદી વિફળ જાય નહીં. કોઈ ને કોઈ જીવ પ્રતિબોધ પામીને દીક્ષા વ્રત અંગીકાર કરે છે, પરંતુ પ્રભુ મહાવીરની પ્રથમ દેશના વિફળ ગઈ. ધર્મગ્રંથો એક મહાઆશ્ચર્ય (અચ્છેરું)ના રૂપમાં આ ઘટનાને વર્ણવે છે. દશ આશ્ચર્યો (અચ્છેરા)માં આની ગણતરી કરવામાં આવે છે.

ભગવાન મહાવીરે દેશના આપીને અપાપા નગરી તરફ વિહાર કર્યો. અહીં સોમિલ આર્ય નામના ધનાઢય બ્રાહ્મણે વિરાટ યજ્ઞાનું આયોજન કર્યું હતું. આ યજ્ઞામાં ભારતવર્ષના અનેક પંડિતોને એણે નિમંત્રણ પાઠવ્યા હતા. એ સમયના નામાંકિત એવા જ્ઞાાનના સાગર ગણાતા તથા મંત્રો અને ક્રિયાકાંડમાં મહાનિપુણ અગિયાર પંડિતો આવ્યા હતા. આ અગિયાર મહાપંડિતો યજ્ઞા સમયે મંત્રોચ્ચાર કરતા, ત્યારે ખુદ દેવતાઓને પણ હાજર થઈ જવું પડતું. આમાં પણ ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ ત્રણ વિદ્વાનો ચૌદ વિદ્યાના પારંગત હતા. આ પ્રત્યેક મહાવિદ્વાનની સાથે એમના પાંચસો-પાંચસો શિષ્યો હતા. આ ઉપરાંત વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય, પ્રભાસ જેવા અન્ય પંડિતો પણ એમના શિષ્યગણ સાથે ઉપસ્થિત હતા.

આમ વેદવિદ્યા વિશારદ, સકલ શાસ્ત્રપારંગત અને વાદકલાનિપુણ અગિયાર મહાપંડિતોની હાજરીમાં મહાયજ્ઞાનો પ્રારંભ થયો. સોમિલ બ્રાહ્મણના હૃદયમાં હર્ષનો મહાસાગર લહેરાતો હતો, પરંતુ જ્યારે એણે આકાશમાં દેવવિમાનમાં બેસીને આવતા દેવોને જોયા, ત્યારે તો એના આનંદનો મહાસાગર છલકાઈ ઊઠયો. દેવો દિવ્ય વિમાનમાં બેસીને આ દિશા તરફ  આવતા હતા. એ વિમાનો જ્યારે યજ્ઞામંડપની બાજુમાં ઊતરવાને બદલે એને વટાવીને આગળ નીકળી ગયા, ત્યારે સોમિલ વિપ્ર અને મહાપંડિત ઈન્દ્રભૂતિ વિચારમાં ડૂબી ગયા. સૂર્યના તાપથી ક્ષણવારમાં ઝાકળબિંદુ ઊડી જાય તેમ સોમિલનો આનંદ કરમાઈ ગયો. ઈન્દ્રભૂતિ ગૌતમે આચાર્ય સોમિલને પૂછયું,

“આર્ય ! આ શું ? છેક યજ્ઞા-મંડપમાં આવીને દેવવિમાનો ક્યાં ચાલ્યા ગયા ? શું આજે આ નગરીમાં બીજંી કોઈ આવ્યું છે ?”

આર્ય સોમિલે કહ્યું, “ક્ષત્રિયકુમાર વર્ધમાન આવ્યા છે. તેર વર્ષ પૂર્વે ગૃહત્યાગ કરીને દીક્ષા લેનાર તેમણે કઠોર તપ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ખુદ દેવતાઓ પણ એમની ભાવપૂર્વક ભક્તિ કર છે.”

મહાપંડિત ઈન્દ્રભૂતિને માથે વજ્ર-પાત થયો હો તો પણ આટલો આઘાત થાત નહીં. એમને થયું કે મારા જેવો સકલશાસ્ત્રનો મહાપંડિત બેઠો હોય, ત્યાં વળી આ મહાવીર કોણ ? કોઈ તપશ્ચર્યા કરીને એણે કદાચ ઐંદ્રજાલિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, પણ તેથી શું ? એની માયાજાળનો અંધકાર ત્યાં સુધી જ ટકશે જ્યાં સુધી મારા ઝળ-હળતા જ્ઞાાનનો સૂર્યપ્રકાશ ત્યાં પહોંચ્યો નથી.

સોમિલ વિપ્રએ કહ્યું કે ઊગતો શત્રુ અને ઊગતો રોગ ડામી દેવા જોઈએ. મહાવીરની શક્તિને એના આરંભે જ મહાત કરવી જોઈએ. મગધ, વૈશાલી અને કપિલવસ્તુ જેવાં જન-પદોમાં એમના વિચારો પહોંચે તે પહેલાં જ એમને વાદ-ચર્ચાથી પરાજિત કરવા જોઈએ.

સોમિલ વિપ્રની યજ્ઞાભૂમિમાં સોપો પડી ગયો હતો. મહાપંડિત ઈન્દ્રભૂતિએ મનોમન વિચાર્યું કે આજે મહાવીરનો પરાભવ કરવાની ખરી તક સાંપડી છે, કારણ કે આ શ્રમણ મહાવીરે દેવોની વાણી સંસ્કૃતને બદલે લોકભાષામાં ધર્મ કહેવા માંડયો. હજી આમાં કંઈ બાકી હોય તેમ એમણે ધર્મશાસ્ત્રો સહુને માટે ખુલ્લાં મુક્યાં. હજી એય ઓછું હોય તેમ એમણે સ્ત્રી અને શૂદ્રને શાસ્ત્ર સાંભળવાના અધિકારી ગણાવ્યા. આવા શ્રમણ મહાવીરનો કોઈ પણ ભોગે વિરોધ કરવો જોઈએ. હમણાં જ શ્રમણ મહાવીરને પરાજિત કરી દઉં એમ વિચારતા પચાસ વર્ષની વયના સાક્ષાત્ સરસ્વતીના અવતાર સમા ઈન્દ્રભૂતિ ગૌતમ પોતાના પાંચસો શિષ્યો સહિત શ્રમણ મહાવીરના સમવસરણ તરફ ગયા.

બે મહાન શક્તિઓ સામસામે ટક્કર લેવાની હતી. પળવારમાં ચકમક થઈ જ સમજો. મહાસેન વનમાં આવેલા ઈન્દ્રભૂતિ ગૌતમે જોયું તો મહાયોગી મહાવીરની આસપાસ શાંતિ અને સમતાનું સામ્રાજ્ય છવાયેલું હતું. સમવસરણની અનુપમ છટા જોઈને ઈન્દ્રભૂતિ ગૌતમ આશ્ચર્યચકિત થઈ ગયા. આસપાસના વાતાવરણમાં અહિંસા, કરૂણા અને વિશ્વવાત્સલ્યની ભાવના વ્યાપેલી હતી. હજારો દેવતાઓ ભક્તિભાવપૂર્વક એમને વંદન કરતા હતા. ઈન્દ્રભૂતિ ગૌતમે દિવ્યધ્વનિ સાંભળ્યો અને વિચારવા લાગ્યા કે શ્રમણ મહાવીરના ચહેરા પર કેવું દિવ્ય તેજ છે ! આત્મવૈભવનું કેવું ઓજસ છે ! પરંતુ ઈન્દ્રભૂતિ તરત જ સાવધાન થયા. એવામાં વેરાન વગડામાં વાંસળી વાગે તેમ મહાસેન વનમાં મધુર વાણી ઈન્દ્રભૂતિના કાને સંભળાઈ.

“આવો ! ઈન્દ્રભૂતિ ગોતમ ! કુશળ છો ને ?  તમારું સ્વાગત હો.”

ઈન્દ્રભૂતિને પહેલાં તો આશ્ચર્ય થયું. પણ પછી થયું કે એમની લોકવ્યાપક ખ્યાતિને કારણે એમને નામ જાણતા હોય તે સ્વાભાવિક છે. દીવાની આસપાસ પ્રકાશ હોય પણ તેની નીચે અંધારું હોય, તેમ મહાજ્ઞાાની ગૌતમના ચિત્તમાં આત્માના અસ્તિત્વ વિશે સંશય હતો. ભગવાન મહાવીરે નિર્મળ જ્ઞાાનના બળે ઈન્દ્રભૂતિ ગૌતમની વર્ષો જૂની શંકા દુર થઈ.

સત્યના સાધક અને કાન્તના શોધક મહાપંડિત ઈન્દ્રભૂતિ ગૌતમનો નમ્ર અને સરળ આત્મ વિનમ્ર બની ગયો. જાણે અંતરમાંથી કોઈ એમને સાદ કરી રહ્યું,

“ઈન્દ્રભૂતિ ગૌતમ ! પાંડિત્યનાં જાળાં દૂર કર. સત્યની ખોજ કર. સત્ય તો અંતરમાં બેઠેલું છે. એમાં ખોવાઈ જા.”

ભગવાન મહાવીરે પંડિત ઈન્દ્રભૂતિને ત્રણ પ્રમાણોથી અને એ જ રીતે પ્રત્યક્ષ, અનુભવ અને સ્વઅવલોકનથી આત્મતત્ત્વના અસ્તિત્વના પ્રતીતિકર પુરાવા આપ્યા. ઈન્દ્રભૂતિનો જીવ અંગેનો સંશય ધીરે ધીરે દૂર થયો.

સમગ્ર ભારતવર્ષમાં પ્રસિદ્ધ મહાપંડિત ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રભુ મહાવીરની સમીપ આવ્યા. બે હાથ જોડી ઈન્દ્રભૂતિ ગૌતમ બોલ્યા,

“આપનું કહેવું યથાર્થ છે. આપ સાચા જ્ઞાાની, મહાજ્ઞાાની અને સર્વજ્ઞા છો. મારા વર્ષોનો સંદેહ દૂર થયો. આપ આપના શિષ્યો તરીકે મારો ્ને મારા પાંચસો શિષ્યોનો સ્વીકાર કરો.”

ભગવાન મહાવીરે ક્ષમાભાવ ધારણ કરીને પ્રસન્નતાથી કહ્યું,

“હે ઈન્દ્રભૂતિ ગૌતમ ! આમાં હું ભાવિના શુભ સંકેતો જોઉં છું. ધર્મશાસનના થનારા પ્રભાવનું મને દર્શન થાય છે. તમારી ઋજુતાને કારણે એ તમારા જ્ઞાાનનો વિશેષ ઉપયોગ થશે. આપણે સાથે રહીને ધર્મતીર્થની પ્રભાવના કરીશું.”

ઈન્દ્રભૂતિ ગૌતમ હૃદયમાં અપાર આનંદ ગુંજવા લાગ્યો. એમણે કહ્યું, “આપ સાચે જ સર્વજ્ઞા છો. મારે આપનાં ઉપદેશવચનો સાંભળવા છે. કૃપા કરી મને સંભળાવશો.”

 

Leave a Comment