Surat માં રોગચાળાની સાથે સુરતમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે

Surat,તા.૨૩

સુરતમાં રોગચાળાની સાથે સુરતમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજે ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત થયું છે. આ સાથે સુરતમાં મૃત્યુઆંક ૯ પર પહોંચ્યો છે. ૨૫ વર્ષના આત્માભાઈને શનિવારે ઉલ્ટી થઈ હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સુરતમાં રોગચાળો વકર્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં સવારથી દર્દીઓની લાઇનો જોવા મળી રહી છે. દર્દીઓને કલાકો સુધી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. સ્વચ્છ શહેરનું બિરુદ હાંસલ કરનાર સુરત શહેરમાં શરદી, ઉધરસ અને તાવના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. જેનાં કિસ્સા નાના બાળકોમાં વધુ જોવા મળે છે. બે મહિનામાં તાવના ૧૬ હજાર શંકાસ્પદ કેસ નોંધાયા છે. માત્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જ મેલેરિયાના ૮૫ અને ડેન્ગ્યુના ૪૯ કેસ નોંધાયા છે. સર્વેમાં શહેરની ૬૮૬ ટીમોએ ભાગ લીધો છે.

સુરતમાં બે મહિનામાં ૩૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ૯,૦૦૦ લોકોને બ્રીડિંગ બદલ નોટિસ આપવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મેલેરિયા અને તાવના દર્દીઓથી ભરેલી છે. શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના તાવના કેસો સતત વધી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને તાવના કેસો સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં દર્દીઓ તેમના ઘરની નજીકના દવાખાનામાંથી સારવાર લેતા હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડો.જીગીષા પાટડિયાએ જણાવ્યું હતું કે અમારા દવા વિભાગમાં દરરોજ ૭૫૦ થી વધુ ઓપીડી હોય છે. જેમાં દરરોજ ૧૦ થી ૧૨ દર્દીઓ મચ્છરજન્ય રોગોનો ભોગ બની રહ્યા છે.

 

Leave a Comment