15000 કરોડનું દેવું તો ફક્ત BCCIનું જ સેટલમેન્ટ કેમ? Byjus-NCLTને સુપ્રીમકોર્ટે ઝાટકી

New Delhi,તા,26

સુપ્રીમ કોર્ટે દેવાના બોજા હેઠળ દબાયેલી એજ્યુટેક કંપની બાયજૂસની બીસીસીઆઈ સેટલમેન્ટ મુદ્દે આકરી ઝાટકણી કરી હતી કે, ‘કંપની પર રૂ. 15 હજાર કરોડનું દેવું છે, તેમ છતાં તે કેમ માત્ર બીસીસીઆઈના જ બાકી લેણાં ચૂકવી રહી છે.’ વધુમાં સુપ્રીમ કોર્ટે એનસીએલએટીને પણ ખખડાવતાં કહ્યું હતું કે, ‘ઈન્સોલવન્સી અપિલેટ ટ્રિબ્યુનલ પાસે પણ મગજ નથી, તેણે આ કંપની વિરૂદ્ધ કેમ નાદારીની પ્રક્રિયા બંધ કરી દીધી.’

BCCIના બાકી લેણાં ચૂકવવા મંજૂરી

ઉલ્લેખનીય છે, એનસીએલએટીએ બાયજૂસને બીસીસીઆઈની રૂ. 158.9 કરોડની બાકી ચૂકવવા માટે સેટલમેન્ટ કરવા મંજૂરી આપતાં નાદારીની કાર્યવાહી બંધ કરી હતી. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ સમક્ષ બીસીસીઆઈ સાથે સેટલમેન્ટની મંજૂરી પર રોક ન લાગે તે માટે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આકરી દલીલો કરી હતી. તેઓ આ કેસમાં બીસીસીઆઈ વતી દલીલ કરી રહ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે એનસીએલટીના ચુકાદાને ખોટો ઠેરવતાં આ કેસ પેન્ડિંગ રાખ્યો છે.

શું હતો કેસ?

એનસીએલએટીએ બીજી ઓગસ્ટે બાયજૂસને બીસીસીઆઈના બાકી રૂ. 158.9 કરોડ લેણાં ચૂકવવા મુદ્દે સેટલમેન્ટ કરવાની મંજૂરી આપતાં નાદારીની કાર્યવાહી બંધ કરી હતી. તેમજ તેના ફાઉન્ડર બાયજૂ રવિન્દ્રનને કંપનીના અધિકારો પાછા સોંપ્યા હતા. જેનો અન્ય લેણદારો ગ્લાસ ટ્રસ્ટ કંપનીએ વિરોધ કરતાં સુપ્રીમ કોર્ટે 14 ઓગસ્ટના રોજ ફરી પાછો સ્ટે લાદ્યો હતો. અને બીસીસીઆઈને સેટલમેન્ટ પેટે મળેલી રકમને અલગ બેન્ક એકાઉન્ટમાં જમા રાખવા નિર્દેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે બુધવારે આ કેસ પર સુનાવણી શરૂ કરી હતી. જે આજે પણ ચાલી રહી છે.

ચીફ જસ્ટિસે શું કહ્યું?

કંપનીના માથે રૂ. 15 હજાર કરોડનું દેવું છે. બાકી દેવાંની રકમ આટલી મોટી હોવા છતાં કંપનીના એક લેણદાર (બીસીસીઆઈ)ની નજીવી બાકી એક પ્રમોટર ચૂકવી આપતા હોવાના સેટલમેન્ટથી નાદારીની કાર્યવાહી બંધ ન કરી શકાય. ચીફ જસ્ટિસની બેન્ચમાં સામેલ જસ્ટિસ જેબી પારડીવાલા અને જજ મનોજ મિશ્રાએ આ કેસ પાછો અપિલેટ ટ્રિબ્યૂનલને સોંપવા સંકેત આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે, તમે તમારી અંગત અસ્ક્યામતોમાંથી માત્ર બીસીસીઆઈને જ કેમ બાકી ચૂકવવા માગો છો…અને એનસીએલએટીએ પણ પોતાનું મગજ વાપર્યા વિના જ મંજૂરી આપી દીધી.

ઉલ્લેખનીય છે, બીસીસીઆઈ નફો કરતી સંસ્થા છે. તે દરવર્ષે રૂ. 6500 કરોડની આવક અને લગભગ 1200 કરોડનો નફો કરે છે પણ આવકવેરાની દ્વષ્ટિએ નોટ ફોર પ્રોફિટ હોવાથી ટેકસ ભરવામાં મુક્તિ મળેલી છે.

Leave a Comment