કાગવડ ગામથી Khodaldham temple સુધીની પદયાત્રામાં માઈ ભક્તો ઉમટ્યા

પ્રથમ નોરતે મહાઆરતી, ઘ્વજારોહણ, યજ્ઞ કરીને નવરાત્રિનો પ્રારંભ

નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાઈ પદયાત્રા

Rajkot,તા,03

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં આજે તા.૩ ને ગુરૂવારના રોજ કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ઘ્વજારોહણ અને યજ્ઞ થકી માં ખોડલના પોંખણા કરી નવરાત્રિનો શુભારંભ કર્યો હતો.

પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રા પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે સૌ કોઈને નવરાત્રિના શુભ દિવસોની શુભકામના પાઠવી હતી. વધુમાં નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં ૩૭ જગ્યાએ ગરબીઓ થવા જઈ રહી છે. દર વર્ષે ખોડલધામ મંદિર તરફ લોકોની આસ્થા અને શ્રદ્ધા પણ વધતી જાય છે. આજના આ દિવસે માં ખોડલને પ્રાર્થના કરીએ કે આપણી સંગઠનની જ્યોત જે પ્રજવલ્લિત કરી છે તેને આંચ ન આવે. આપણે સૌ સમાજના કામ કરતા રાષ્ટ્રની સેવામાં આગળ હોસ્પિટલનુ ખૂબ મોટુ કામ કરવા જઈ રહ્યું છે. આગામી એકાદ મહિનામાં હોસ્પિટલનુંં કામ પણ શરૂ થઈ જશે. સર્વ સમાજ માટે થવા જઈ રહેલો સેવાયજ્ઞ આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીએ તેવી માં ખોડલને પ્રાર્થના કરું છુ.પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. તા.૩ ઓકટોબરને ગુરૂવારના રોજ સવારે ૭.૩૦ કલાકે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ નરેશ પટેલે કાગવડ ગામ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાગવડ ગામે પ્રાથમિક શાળામાં નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ દિપ પ્રાગટ્ય કર્યું હતુ. સંબોધન બાદ નરેશભાઈ પટેલ દ્વારા રથમાં બિરાજમાન માં ખોડલની આરતી કરવામાં આવી હતી. આરતી પૂર્ણ થતા નરેશ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ.પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. મંદિરે માં ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ખોડલધામ મંદિરના શિખર પર ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પદયાત્રામાં જોડાયેલા ભક્તો માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી સહિતની વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી.

Leave a Comment