Vatican,તા,23
વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટી જેવો વિશ્વનો પ્રથમ અને સૌથી નાનો મુસ્લિમ દેશ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ દેશ અલ્બેનિયાની રાજધાની તિરાનામાં બનાવવામાં આવશે અને દેશની રચનાની જાહેરાત બાબા મોન્ડી તરીકે પ્રખ્યાત એવા મૌલવી એડમન્ડ બ્રાહિમાજ દ્વારા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે જો બધું યોજના પ્રમાણે ચાલ્યું તો દુનિયાને ટૂંક સમયમાં પહેલો મુસ્લિમ દેશ મળશે.
27 એકર વિસ્તારમાં દેશ વસાવવામાં આવશે
મીડિયાને આ મુસ્લિમ દેશ વિશે જણાવતા અલ્બેનિયાના વડાપ્રધાન ઈદી રામાએ કહ્યું કે, ‘આ દેશ અલ્બેનિયાની રાજધાની તિરાનામાં બનાવવામાં આવશે, જેમાં બેક્તશી પરંપરાના નિયમો અને આદેશોનું પાલન કરવામાં આવશે. આ નિયમો અને આદેશો 13મી સદીમાં તુર્કિયેમાં સ્થાપિત શિયા સૂફી સમુદાય દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા.
આવો હશે નવો મુસ્લિમ દેશ
નવા મુસ્લિમ દેશની સ્થાપના લગભગ 27 એકર વિસ્તારમાં થશે, જે અમેરિકન શહેર ન્યૂયોર્કના 5 બ્લોક્સ જેટલી હશે. આ નવા દેશનું પોતાનું બંધારણ હશે. અહીં રહેતા લોકો દારૂ પી શકશે અને મહિલાઓ પણ સંપૂર્ણપણે આઝાદી આપવામાં આવશે. મહિલાઓ કોઈપણ કપડા પહેરી શકશે અને જીવનશૈલી અંગે કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
આ દેશની સરહદો નક્કી કરવા આવશે અને આ દેશના લોકોને પાસપોર્ટ આપવામાં આવશે. અલગ સરકાર હશે અને અલગ કાયદા બનાવવામાં આવશે. અલ્બેનિયાના વડાપ્રધાન ઈદી રામાએ પણ કહ્યું છે કે, આ દેશ ઇસ્લામની સૂફી પરંપરાથી સંબંધિત બેક્તાશી ઓર્ડરના નિયમોનું પાલન કરશે.
13મી સદીમાં થઈ હતી બેક્તાશી ઓર્ડરની શરૂઆત
બેક્તાશી ઓર્ડરનો ઉદ્દભવ 13મી સદીમાં ઓટ્ટોમન સામ્રાજ્ય દરમિયાન થયો હતો. હાલમાં બેક્તાશી ઓર્ડરના વડા બાબા મોન્ડી છે, જેઓ 65 વર્ષના છે અને અગાઉ અલ્બેનિયન આર્મીમાં પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ વિશ્વના લાખો મુસ્લિમોમાં હાજી દેડે બાબા તરીકે પણ ઓળખાય છે.
બેક્તાશી ઓર્ડર શિયા સૂફી સંપ્રદાયનો છે, જેના મૂળ 13મી સદીમાં તુર્કિયેમાં જોવા મળે છે, પરંતુ હવે સમુદાય અલ્બેનિયામાં સ્થિત છે. અલ્બેનિયાના પીએમ ઈદી રામાનું કહેવું છે કે અમે એક નવું મુસ્લિમ રાજ્ય બનાવી રહ્યા છીએ જેથી કરીને ઈસ્લામનો ઉદારવાદી ચહેરો દુનિયા સમક્ષ રજૂ કરી શકાય. અમને આનો ગર્વ છે.’
ઈસ્લામનો ઉદારવાદી ચહેરો દુનિયા સમક્ષ રજૂ કરી શકાય
ઈદી રામાએ કહ્યું કે આપણે આ ખજાનાની રક્ષા કરવી જોઈએ અને ધાર્મિક સહિષ્ણુતાને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. અમે જે નવો દેશ બનાવવા જઈ રહ્યા છીએ તે પૂર્વી તિરાનામાં હશે અને તેનું કદ વેટિકન સિટીના ચોથા ભાગ જેટલું હશે. લોકો પર કોઈ નિયંત્રણો નહીં હોય અને તેમને પોતાની રીતે જીવન જીવવાનો મોકો મળશે.’
બાબા મોન્ડીનું કહેવું છે કે, ‘ખુદા કોઈ પણ બાબત પર પ્રતિબંધ લાદતા નથી. એટલા માટે તેમણે આપણને મગજ આપ્યું છે જેથી આપણે આપણા વિવેકબુદ્ધિથી નક્કી કરી શકીએ કે આપણા માટે શું ખોટું છે અને શું સાચું છે.’