New Delhi,તા.29
ભારતમાં બેરોજગારી દર સતત વધી રહ્યો છે. આ વર્ષે માર્ચમાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં બેરોજગારોમાં 80 ટકા યુવાનો જ છે. હાલમાં જ લોકસભા ચૂંટણીમાં રોજગારી ટોચનો મુદ્દો હતો. આ પ્રકારના રિપોર્ટ હોવા છતાં નોકરીઓ અંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, દેશમાં નોકરીઓની અછત નથી, લોકોને ભરમાવવામાં આવ્યા છે.
19 લાખ નવા રોજગારની તકો
મનસુખ માંડવિયાએ નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ પર ઉપલબ્ધ 19 લાખથી વધુ રોજગારની તકો હોવાનો દાવો કરતાં લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં નોકરીઓની કોઈ અછત નથી. ટીએમસીના સાંસદ કલ્યાણ બેનરજી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરાકરે રોજગાર સર્જન માટે અનેક યોજનાઓ જાહેર કરી છે અને હવે બેરોજગારી દર ઘટી 3.2 ટકા થયો છે. તથા ભવિષ્યમાં તે 3 ટકાથી વધુ ઘટવાનો આશાવાદ છે.
બેરોજગારીનો દર 3.2 ટકા
જ્યારે કોઈપણ દેશની અર્થવ્યવસ્થા સાતથી આઠ ટકાના દરે વધે છે, તો તેની પાછળ તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ છે, સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ છે, ઉત્પાદન ક્ષમતામાં વધારો છે. આ બધુ વધી રહ્યું હોય તો રોજગારની તકો પણ વધે છે. ચિંતા કરવાની વાત નથી. નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ પર એમ્પ્લોયર્સે 19 લાખ રોજગારીની તકો પોસ્ટ કરી છે. જેમાં લોકો અરજી કરી શકે છે.
ભારતમાં હાલ બેરોજગારીનો દર
બેરોજગારી એક ગંભીર મુદ્દો છે, જે ભારતના આર્થિક દ્રષ્ટિકોણને પડકારે છે. વિવિધ કાર્યબળ ધરાવતા વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો પૈકી એક એવા ભારતમાં બેરોજગારી દરમાં ઉતાર-ચડાવ દેશના વિકાસ અને વૃદ્ધિ પર અસરો કરે છે. ભારતમાં વર્તમાન બેરોજગારીના દરના સવાલમાં શ્રમ મંત્રીએ જવાબ આપ્યો છે કે, તમારા પરિવારમાં કોઈને પણ નોકરી જોઈએ, તો જો તે યોગ્યતા ધરાવતુ હશે તો નોકરી મળશે. દેશમાં નોકરીઓની કોઈ અછત નથી. પહેલા બેરોજગારી દર 6 ટકા હતો. આજે ઘટી 3.2 ટકા થયો છે. જે ભવિષ્યમાં 3 ટકાથી વધુ ઘટશે.