Bangladesh માં હિંસાની ભારત પર પણ થશે અસર, કરોડોના વેપારો ઠપ થયા

New Delhi,તા.06

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસાની આગ એટલી ભડકી છે કે, ત્યાંના વડાપ્રધાનને રાજીનામું આપી દેશમાંથી પલાયન કરવુ પડ્યું. આ હિંસક વિરોધ પ્રદર્શનમાં 100થી વધુ લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં વિરોધીઓએ ઢાકા પેલેસમાં પ્રવેશી બાંગ્લાદેશના સ્થાપક મુજીબની પ્રતિમાની તોડફોડ કરી હતી. દેશમાં તણાવ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને ટૂંક સમયમાં વચગાળાની સરકાર બનાવવાની વાત કરી હતી.

હિંસાગ્રસ્ત બાંગ્લાદેશ સાથે ભારત મોટાપાયે વેપાર કરે છે. બંને દેશો વચ્ચે ઘણી આવશ્યક ચીજોની આયાત-નિકાસ થાય છે. આ હિંસાના કારણે ભારત સાથેના વેપાર પર અસર થવાની સંભાવના વધી છે. ચાલો જાણીએ કે બાંગ્લાદેશથી ભારતમાં શું આવે છે અને અહીંથી શું મોકલવામાં આવે છે.

દરરોજ કરોડોના વેપારને અસર

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસાને કારણે ભારત સાથેના વેપાર પર પણ અસર પડી છે. એક રિપોર્ટ અનુસાર, દરરોજ રૂ. 150 કરોડથી વધુના બિઝનેસ પર અસર થઈ રહી છે. બંને દેશો વચ્ચે પેટ્રાપોલ અને બેનેપોલ બોર્ડર દ્વારા આશરે રૂ. 30,000 કરોડનો વાર્ષિક વેપાર થાય છે, જે છેલ્લા ઘણા દિવસોથી બંધ છે.

બીજો સૌથી મોટો નિકાસકાર

જો આપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર પર વિગતવાર નજર કરીએ તો, ibef.org પર ઉપલબ્ધ ડેટા અનુસાર, બાંગ્લાદેશ ભારતનો ટોચનો ટ્રેડિંગ પાર્ટનર છે. બાંગ્લાદેશનો બીજા ક્રમનો સૌથી મોટો નિકાસકાર ભારત છે. નાણાકીય વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે કુલ 14.22 અબજ ડોલરનો વેપાર થયો હતો. FY23માં ભારતથી બાંગ્લાદેશમાં 6,052 વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. આ નિકાસનો આંકડો $12.20 અબજ હતો, જે FY22માં $16.15 અબજ કરતાં ઘટ્યો હતો.

ભારતથી બાંગ્લાદેશ નિકાસ થતી ચીજ-વસ્તુઓ (2022-23)

કોટન યાર્ન ($1.02 અબજ)

પેટ્રોલિયમ ઉત્પાદનો ($816 મિલિયન)

અનાજ ($556 મિલિયન)

કોટન ટેક્સટાઇલ અને અન્ય ફેસિંગ (US$541 મિલિયન)

કાર્બનિક અને અકાર્બનિક કેમિકલ્સ ($430 મિલિયન)

નાણાકીય વર્ષ 2023-24માં બાંગ્લાદેશથી ભારતમાં 1154 માલની આયાત કરવામાં આવી હતી. જે લગભગ $2.02 અબજ હતું, જ્યારે અગાઉના FY22માં આ આંકડો $1.97 અબજ નોંધાયો હતો.

બાંગ્લાદેશથી ભારતમાં થતી આયાત (નાણાકીય વર્ષ 2023)

RMG કોટન ($510 મિલિયન)

કોટન ફેબ્રિક્સ, મેડ-અપ ($153 મિલિયન)

RMG માનવસર્જિત ફાઇબર ($142 મિલિયન)

મસાલા ($125 મિલિયન)

જ્યુટ ($103 મિલિયન)

તાજેતરમાં ભારતીય રૂપિયામાં ટ્રેડિંગ શરૂ કર્યું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ મજબૂત બન્યા છે. બંને દેશોએ વેપારની બાબતમાં હવે ભારતીય રૂપિયામાં ટ્રેડિંગ શરૂ કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ 22 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ સમયગાળા દરમિયાન ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં બંને દેશો વચ્ચે ભારતીય રૂપિયામાં વેપાર પણ સામેલ હતો.

 

 

Leave a Comment