Gujarat-govevernment: રાજ્ય સરકાર JEE- NEETની પરીક્ષા માટે આપશે ફ્રી કોચિંગ

Gandhinagar,તા.03

રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે આદિજાતિના વિદ્યાર્થીઓને ડોકટર અને એન્જિનિયર બનાવવાના લક્ષ્ય સાથે સરકાર દ્વારા JEE-NEETની પરીક્ષા માટે મફત કોચિંગની સુવિધા શરૂ કરવામાં આવે છે.

હાલ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી-જી.એસ.ટી.ઈ.એસ હસ્તક 26 ઈ.એમ.આર.એસ, 9 જી.એલ.આર.એસ તેમજ 9 મોડેલ એમ કુલ 44 સ્કૂલ કાર્યરત છે. આ વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોમાં સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેની JEE તથા NEETની પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે.

પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાંથી ડૉકટરની પદવી માટે ધોરણ 12 સાયન્સ બાદ રાષ્ટ્રીય સ્તરે NEET-નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિટી ટેસ્ટની પરીક્ષા યોજાય છે. રાજ્યમાં ગત વર્ષ 2023માં 825 અને વર્ષ 2024માં 1,015 આદિજાતિ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી. જેમાંથી NEETમાં અનુક્રમે 364 તથા 412 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે શૈક્ષણિક વર્ષ 2021માં EMRS ખોડદા-તાપીની વિદ્યાર્થિનીને પ્રતિષ્ઠિત IIT-જોધપુરમાં સિવિલ ઇજનેર શાખામાં જ્યારે વર્ષ 2022માં EMRS પારડીના વિદ્યાર્થીને IIT-ગાંધીનગરમાં મટેરિયલ સાયન્સમાં પ્રવેશ મળ્યો છે.

આ ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષ 2023માં આદિજાતિના 26 વિદ્યાર્થીઓએ MBBSમાં, 94 વિદ્યાર્થીઓએ BE/B.Tech તથા 330 જેટલા વિદ્યાર્થીઓએ અન્ય પેરા મેડિકલ-અન્ય પ્રોફેશનલ કોર્સમાં, એમ કુલ 450થી વધુ વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવીને પોતાની ઉજ્જવળ કારકિર્દીનો પ્રારંભ કર્યો છે. જયારે દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોમાંથી એન્જિનિયરની પદવી માટે રાષ્ટ્રીય કક્ષાએ JEE Mains-જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ યોજવામાં આવે છે. ગત વર્ષ 2023માં ગુજરાતમાંથી 116 અને વર્ષ 2024માં 136 આદિજાતિ વિદ્યાર્થીઓએ JEE Mainsની પરીક્ષા આપી હતી, જેમાંથી અનુક્રમે 77 અને 82 વિદ્યાર્થીઓ JEE Mainsમાં ઉતીર્ણ થયા છે.

રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 105 સ્કૂલ

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા ગુજરાત રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી કુલ 105 સ્કૂલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ 105 પૈકી 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 કન્યા સાક્ષરતા નિવાસી સ્કૂલ, 12 મોડેલ સ્કૂલ તથા 02 સૈનિક સ્કૂલ કાર્યરત છે. આ સ્કૂલ 15 આદિજાતિ જિલ્લા ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર અને ગીર સોમનાથમાં કાર્યરત છે.

Leave a Comment