આપણા ઉપનિષદો, પુરાણો અને વિવિધ ધર્મગ્રંથોમાં ભગવાનના વિવિધ સ્વરૂપોની ઉપાસના બતાવી છે તેના તેની પ્રાપ્તિ માટે વિવિધ પૂજાના ક્રમો બતાવ્યા છે. રામાયણમાં ભગવાન શ્રીરામ, સીતા અને હનુમાનજીની પૂજા કેમ કરવી તે બતાવેલ છે. શ્રીમદ્ ભાગવતમાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોની કથા છે. તથા તેમની શાસ્ત્રોક્ત કે વૈદિક કેવી રીતે પૂજા કે ઉપાસના કરવી તે બતાવેલ છે. તેમ ભગવાન શિવ જે દેવાધિ દેવ છે. તેમની પૂજા શિવપુરાણ અને સંકન્ધ પુરાણમાં બતાવેલી છે.
શિવની પૂજા કેમ કરવી તથા ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે. તે સવિસ્તાર તેમાં સમજાવ્યું છે.
દેવાધિદેવ મહાદેવના મંદિરમાં જે સ્વચ્છતા માટે જાડુ લગાવે છે. તે નિશ્ચેય ભગવાન શિવલોકમાં પહોંચીને તે સંપૂર્ણ વિશ્વને માટે વંદનીય બની જાય છે.
જે ભગવાન શિવને માટે અત્યંત પ્રકાશમાન દર્પણ અર્પણ કરે છે, તે ભવિષ્યમાં શિવની સન્મુખ ઉપસ્થિત રહેવાવાળા પાર્ષદ બને છે.
જે લોકો દેવાધિદેવ મહાદેવને છત્ર અર્પણ કરે છે તે ત્રણેય લોકમાં જ્યાં પણ જન્મ લેશે ત્યારે તેના પર છત્રછાયા રહેશે.
જે પરમાત્મા શિવની પ્રસન્નતા માટે ધૂપ કરે છે તે પોતાના પિતા અને દાદા એમ બન્ને કુળોનો ઉધ્ધાર કરે છે તથા ભવિષ્યમાં તે યશસ્વી થાય છે.
જે લોકો ભગવાન હરિહરની સન્મુખ દીપ દાન કરે છે તે ભવિષ્યમાં તેજસ્વી થાય છે. અને બન્ને કુળનો ઉધ્ધાર કરે છે.
જે મનુષ્ય હરિહરની આગળ નૈવેધ ધરાવે છે. તે એકે એક કોળિયામાં સંપૂર્ણ યજ્ઞાનું ફળ પ્રાપ્ત કરે છે. જે લોકો તૂટેલા શિવમંદિરનો જીર્ણોધ્ધાર કરે છે. તે ચોક્કસ ડબલ ફળની પ્રાપ્તિ કરે છે.
જે ઇંટ અથવા પથ્થરથી ભગવાન શિવના નવા મંદિરનું નિર્માણ કરે છે. તે મંદિર જ્યાં સુધી રહે. ત્યાં સુધી સ્વર્ગલોકનું સુખ ભોગવે છે. અને ત્યાં સુધી તેની ર્કિતી પૃથ્વી પર સ્થિર રહે છે. જે મહાન બુધ્ધિશાળી મનુષ્ય ભગવાન શિવને માટે અનેક માળનું મહેલ જેવું મંદિર બનાવે છે. તે ઉત્તમ ગતિનો પ્રાપ્ત કરે છે.
જે પોતે અથવા બીજાએ બનાવેલા શિવમંદિર સફાઈ કરે છે, અને તેમાં રંગ કરાવે છે તે પણ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે.
જે પુરુષ અથવા સ્ત્રી શિવજીના આગણામાં વિવિધ રંગોથી રંગોળી પુરે છે તે સર્વ સર્વશ્રેષ્ઠ શિવધામમાં પહોંચીને દિવ્યરૂપ પ્રાપ્ત કરે છે.
જે પુણ્યાત્મા મનુષ્ય ભગવાન શિવને પિછવાઈ (મંદિરમાં ભગવાન પાછલ લગાવવાનું રેશમી વસ્ત્ર) અર્પણ કરે છે. તે સ્વયં શિવલોકમાં જાય છે. અને પોતાના સમસ્ત કુટુંબને તારે છે.
જે વધારે અવાજ કરવા ઘંટનું શિવ મંદિરમાં દાન કરે છે, તે ત્રણેય લોકમાં તેજસ્વી અને કિર્તીમાન થાય છે. જે માણસ પૈસાદાર હોય કે ગરીબ જે સવારે, બપોરે અને સાંજે શિવમંદિરના દર્શન કરે છે. તે સુખી થઈને સમસ્ત દુ:ખોથી મુક્તિ પામે છે.
હરિ અને હર એમ ભગવાન વિષ્ણુ અને શિવની સાથે નામ લેવાથી પરમાત્મા શિવ ઘણા લોકોનું કલ્યાણ કરે છે.