Bharus,તા,11
ગુજરાતના સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ વધુ એક કોમી ઘર્ષણના અહેવાલો સામે આવી રહ્યા છે. આ વખતે ભરૂચમાં બે સમુદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણના અહેવાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં બે મોટા તહેવાર એકસાથે આવી રહ્યા છે જેની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ બબાલ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તોફાની તત્વો આ રીતે ગુજરાતનો માહોલ પણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના દાવા થઇ રહ્યા છે.
મામલો કેમ બીચક્યો?
માહિતી મુજબ બી. ડિવિઝન પોલીસમથકના કુકરવાડામાં આવેલા ગોકુળનગર નજીક બે સમુદાયના લોકો વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ઝંડા લગાવવા જતા મામલો બીચક્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ દરમિયાન ભારે પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી. અથડામણ દરમિયાન 2 લોકો ઈજાગ્રસ્ત થયાની પણ જાણકારી મળી રહી છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
ઘટનાની જાણકારી મળતાં એસ.પી. મયુર ચાવડા સહિત સમગ્ર પોલીસ કાફલો દોડી આવતા સ્થિતિ થાળે પડી હતી. ત્યારબાદ કોઈ અણગમતી ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. હાલમાં સીસીટીવી ફૂટેજની મદદથી તોફાનીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.