Site icon Shri Nutan Saurashtra

Bahucharaji temple ના પુનઃ નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત

બહુચરાજી માતાજી મંદિરનું પુનઃનિર્માણ કરી શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે

Mehsana,તા.૨૩

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુનઃ નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું.તેમણે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બહુચર માતાજીની પૂજા અર્ચના કરીને જન સુખાકારીની પ્રાર્થના કરી હતી. બહુચરાજી માતાજીના મંદિરના પુનઃ નિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે બહુચરાજી માતાજી મંદિરનું પુનઃનિર્માણ કરી શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે.

મંદિર પુનઃ નિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રી સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણે ફેઝની સમગ્ર પુનઃ નિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું.મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યુ હતું. બહુચરાજી મંદિરના પુનઃ નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીના આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી સર્વ ગીરીશભાઈ રાજગોર, વર્ષાબેન દોશી, યજ્ઞેશ દવે, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ એસ. છાકછુઆક, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડૉ. હસરત જૈસમીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Exit mobile version