Site icon Shri Nutan Saurashtra

Bangladeshમાં અનામત પદ્ધતિમાં સુધારાની માગ સાથે વિદ્યાર્થીઓ માર્ગો પર ઉતરી આવ્યા હતા જેના પગલે હિંસા ભડકી હતી

બાંગ્લાદેશમાં અનામત પદ્ધતિમાં સુધારાની માગ સાથે વિદ્યાર્થીઓ મોટાપાયે માર્ગો પર ઉતરી આવ્યા હતા. અહીં જેના પગલે હિંસા ભડકી હતી. આવી સ્થિતિને જોતાં ભારત સરકારે તાત્કાલિક ધોરણે ભારતીય મૂળના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ભડકેલી હિંસા અને દેખાવોમાં 6થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 100થી વધુ ઘાયલ થયા છે. શાળા અને કોલેજો બંધ કરવાની ફરજ પડી છે.

શું કહ્યું એડવાઈઝરીમાં 

ભારત સરકારે તેની એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને ચેતવતાં કહ્યું કે જ્યાં છો ત્યાં જ રહેજો. બિનજરૂરી ક્યાંય ન જતાં. આ સાથે ભારત સરકારે 24 કલાક માટે ઇમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યું હતું. એડવાઈઝરીમાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ખાસ કહેવાયું છે કે તેઓ કોઈપણ પ્રકારની મુસાફરી કરવાનું ટાળે અને બને ત્યાં સુધી જ્યાં છે ત્યાં જ રહે. જો કોઈ ઈમરજન્સી હોય તો તેઓ હાઈ કમિશન અને આસિસ્ટન્ટ હાઈ કમિશનનો સંપર્ક સાધી શકે છે.

બાંગ્લાદેશમાં કેમ થઈ રહી છે હિંસા?

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. બે દિવસ પહેલા અનામત પ્રણાલીમાં સુધારાની માંગ સાથે થયેલા દેખવામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા. આને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ બુધવારે (17 જુલાઈ) તમામ યુનિવર્સિટીઓ બંધ રાખવાની વિનંતી કરી હતી. કેટલીક યુનિવર્સિટીઓએ તરત જ તેનું પાલન કર્યું હતું, જો કે કેટલીક યુનિવર્સિટીઓએ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓની સલામતી માટે આગળની સૂચના સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવા અને હોસ્ટેલ ખાલી કરવા જણાવ્યું છે. દેશની યુનિવર્સિટીઓ સ્વાયત્ત રીતે કાર્ય કરે છે. બાંગ્લાદેશના મુખ્ય શહેરોમાં સરકારી નોકરીઓમાં અનામતની પ્રણાલીમાં સુધારાની માંગને લઈને દેખાવ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે મંગળવારે (16 જુલાઈ) થયેલા ઘર્ષણમાં 3 વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

 

Exit mobile version