New Delhi,તા.17
સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટો આદેશ આપતાં દેશભરમાં બુલડોઝર એક્શન પર પ્રતિબંધ લાદી દીધો છે. ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં વારંવાર થતી બુલડોઝરની કાર્યવાહી વિરૂદ્ધ દાખલ જમિયત ઉલેમા-એ-હિન્દની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી આપતાં આ નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ આદેશ આપ્યા હતા.
આ મામલે કાર્યવાહી કરવા છૂટ
સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લાદતાં જણાવ્યું હતું કે, આગામી આદેશ સુધી દેશભરમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં. જો કે, પબ્લિક રોડ, ગલી, જળ સંસ્થા, ફુટપાથ, રેલવે લાઈન વગેરે પર ગેરકાયદે કબજા પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં. વધુમાં કહ્યું કે, દેશમાં બુલડોઝર એ ન્યાયનો ખોટો દેખાવો અને મહિમા ગાઈ રહ્યો છે, જેને અમે મંજૂરી આપતા નથી.
કોર્ટમાં આ દલીલ થઈ
સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ જણાવ્યું કે, અત્યારસુધી કાયદાકીય કાર્યવાહીનું પાલન કરતાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક વિશેષ સમુદાયને ટાર્ગેટ કરવાનો આરોપ તદ્દન ખોટો છે, પાયાવિહોણો છે. આ મુદ્દે જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, કોર્ટની બહાર જે પણ વાતો થઈ રહી હોય, તે અમને અસર કરતી નથી. તેથી અમે કોઈ ખાસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો છે કે, નહીં તે મુદ્દે ચર્ચા કરીશુ નહીં. જો ગેરકાયદે ડિમોલિશન કરવામાં આવ્યુ હશે તો તે બંધારણની જોગવાઈની વિરૂદ્ધ છે.
અમને વાર્તાઓ પ્રભાવિત કરી શકશે નહીઃ સુપ્રીમ કોર્ટ
સુનાવણીમાં જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અમને વાર્તાઓ પ્રભાવિત કરી શકે નહીં. અમે સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ કે, ગેરકાયદે બાંધકામનું સંરક્ષણ કરવાના પક્ષમાં નથી, પરંતુ એક્ઝિક્યુટીવ જજ બની શકીએ નહીં. ડિમોલિશનની પ્રક્રિયા સ્ટ્રીમલાઈન થાય તે જરૂરી છે, રસ્તાઓ, ગલીઓ, ફૂટપાથ તથા જાહેર સ્થળો પર ગેરકાયદે બાંધકામ દૂર કરવા પર કોઈ પ્રતિબંધ નથી.