વાણી અને પાણીનો ખૂબ પ્રભાવ છે. શુદ્ધ અને નિર્મળ પાણી સૌને ગમે છે. મધુર વાણી, પ્રિય વાણી અને શુદ્ધ વાણી સૌને ગમે છે. વાણી માનવીના વ્યક્તિત્વની આગવી છાપ છે. આંગણે આવેલ અતિથિને આવકાર આપવો એ પ્રિય અને મધુર વાણી કહેવાય છે. ઘણાં લોકોને વારંવાર સાંભળવા ગમે છે. ઘણાની વાણી કર્કશ હોય છે. કોયલની વાણી સૌને ગમે છે. કાગડાને બોલતો ઉડાડવો પડે છે. સવારમાં ખુશનુમાં વાતાવરણ હોય અને કોયલનો એકાદ ટહુકો સંભળાય તો મન નાચી ઉઠે છે. વાણી વાણીમાં ફેર હોય છે. ઘણા આખાબોલા કહેવાય છે. તેમને શું બોલવું. કોની સામે બોલવું તેનું ભાન નથી હોતું પછી જ્યારે સમજાય ત્યારે વાણીનું પરિણામ આવી ગયું હોય છે.
ભરતને ગાદિ અને રામને વનવાસને બદલે રામને ગાદિ અને ભરતને વનવાસ કહ્યું હોત તો લંકા, રાવણ, વિભિષણ અને વાનરો તથા અને રાક્ષસોથી આપણે વંચિત રહી જાત. વાણી ઝઘડો કરાવે છે. વાણી અને પાણીની વિશેષતા એ છે કે વાણી દ્વારા બધું જ શક્ય છે. વાણીમાં મિઠાસ પણ છે અને ઝેર પણ છે. સમય અને સંજોગોમાં વાણી ખૂબ ઉપયોગી છે. પાણીથી કિચડ થાય છે અને એ કિચડને પાણી જ સાફ કરે છે. શુદ્ધ વાણી, મધુર વાણી, પ્રિય વાણી માનવીની પ્રતિષ્ઠા, ગુણો અને વ્યક્તિત્વને તંદુરસ્ત રાખે છે. શબ્દ અને વાણી ક્યારેક જીવનભર યાદ રહી જાય છે. ભરથરીરાજાએ શબ્દો દ્વારા રાજ છોડયાં છે. જેસલ શબ્દોના મેણાથી પીર બની ગયો. કોઈક સંત શાસ્ત્રોનું રસપાન કરાવે છે ત્યારે એક મંડપ નીચે લાખો માણસો એક ચિત્તે સત્સંગ સાંભળે છે. આ વાણીનો પ્રભાવ છે. આ વાણી જ છે. સાચી સમજણ છે. વાણી આપણા વિચારો અને સ્વભાવમાંથી ફલિત થતો સાર છે. ક્યારેક માહોલ અને સ્થિતિ પ્રમાણે વાણી બદલાય છે છતાં તેને કાબુમાં રાખવા આપણો સ્વભાવ અને વિચાર કામ લાગે છે. વાણી અને પાણી શુદ્ધ હોવા જોઈએ.