પીજીવીસીએલના એમ.ડી.ના અઘ્યક્ષ સ્થાને અનેક પ્રશ્નોનો સ્થળ પર નિકાલ
Rajkot, તા.૧
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પીજીવીસીએલ એમ.ડી.પ્રિતી શર્મા, ચીફ એન્જીનીયર ટેક આર.સી.પટેલ, ચીફ એન્જીનીયર પ્રોજેકટ આર.જે.વાળા તથા સિનિયર વિવિધ સબ ડિવીઝનના અધિકારીઓ સાથે વિજળીને લગતા વિવિધ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા તા.૩૧ ના રોજ પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ લક્ષ્મીનગર, રાજકોટ ખાતે ઓપન હાઉસ યોજવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં વિવિધ એસો.ના હોદેદારો તથા અરજદારો હાજર રહયા હતા.
રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ પ્રથમ એમડી પ્રિતી શર્માનુ બુકે આપી સ્વાગત કરી ઓપન હાઉસમાં ખુલ્લો મુકેલ તેમજ ચીફ એન્જીનીયર ટેક આર.સી.પટેલ, ચીફ એન્જી. પ્રોજેકટ આર.જે.વાળા, જીઈટીસીઓના અધિક્ષક ઈજનેર પી.કે.વરસડાનું શાબ્દીક અભિવાદન કરી સૌને આવકારતા જણાવેલ કે રાજકોટ ચેમ્બર હરહંમેશ વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાના ઉદભવતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે અગ્રેસર રહી સરકાર તથા વિવિધ વિભાગોમાં એક સેતુ બની કાર્ય કરી રહયું છે. અમારી પાસે વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને વીજળીને લગતી ઘણી ફરીયાદો હોય તેને ઘ્યાનમાં લઈ ઓપન હાઉસનુ આયોજન કરેલ છે. જેમાં રજુ થનાર મહતમ પ્રશ્નોના નિરાકરણનો પ્રયાસ કરીશુ તેમજ નિતી વિષયક પ્રશ્નો માટે સરકાર સમક્ષ રજુઆત કરીશુ.
પીજીવીસીએલના એમ.ડી.પ્રિતી શર્માએ રાજકોટ ચેમ્બર દ્વારા કરાયેલ રજુઆતોના પ્રત્યુતરમાં જણાવેલ કે ખાસ કરીને રૂરલ એરીયામાં જ્યાં જ્યાં ટ્રીપીંગની સમસ્યા આવે છે તે માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલ તેમજ એમબીસીસી ઈન્ટરનેશનલ પ્રોજેકટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ નેટવર્કને સ્ટ્રોંગ કરવા માટે આશરે ૮૦ જેટલા ફીડરો માટે ટેન્ડરીંગનું કામ ચાલી રહયું છે. જેથી કરીને મોટાભાગના વિજળીના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. તેમજ એગ્રીકલ્ચરને પુરતો પાવર મળી રહે તે માટે આશરે ૮૮ કરોડનો પ્રોજેકટ એપ્રુવ કરાયેલ છે. તેમજ મેઈન્ટેનન્સ માટે પણ તાત્કાલીક ટીમ ફાળવવામાં આવશે. આમ એમડીએ આ ઓપન હાઉસને ખુબજ ગઃભીરતાથી લઈ ત્વરીત પગલા લેવાનુ આશ્વાસન આપેલ હતુ.