Site icon Shri Nutan Saurashtra

Ram Kapoorને ટીવીમાં હવે કામ કરવાની ઇચ્છા નથી

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે ટીવી પર પાછા ફરવાના પ્લાન અને ઓટીટી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી

Mumbai, તા.૧૬

એક સમય હતો, જ્યારે ટીવી જોતાં લોકોના ઘરમાં રામ કપૂર એક જાણીતું નામ હતું. ખાસ કરીને સાક્ષી તંવર સાથેની સિરીયલ ‘બડે અચ્છે લગતેં હેં’ તેમજ ‘કસમ સે’. હવે રામ કપૂર મોટા ભાગે ફિલ્મો અને ઓટીટીમાં વિવિધ પ્રકારના રોલમાં જોવા મળે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે ટીવી પર પાછા ફરવાના પ્લાન અને ઓટીટી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. બહુ જલ્દી રામ કપૂર સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ ‘યુધરા’માં જોવા મળશે. ટીવી પર પાછા ફરવાના પ્લાન વિશે રામ કપૂરે જણાવ્યું,“હાલ, તો કોઈ જ પ્લાન નથી. કારણ કે તમે નસીબદાર હોય, જેમ કે હું હતો, તો જ તમે એવા સફળ ટીવી શો કરી શકો જે દરેક શો લગભગ ત્રણ કે ચાર વર્ષ ચાલે. અને જો તમારે ટીવી પર આવો સફળ શો કરવો હોય તો તમારે ત્રણથી ચાર વર્ષ સુધી એક જ પાત્ર ભજવતા રહેવું પડે.” રામે આગળ જણાવ્યું,“પરંતુ હાલ, મને ફિલ્મ્સ અને ઓટીટી પર એક સારા અને મજબૂત કલાકાર તરીકે સ્વીકૃતિ મળી ગઈ છે, તેથી મને દર વર્ષે ઘણા અલગ પ્રકારના રોલ કરવા મળે છે. મને બધાં એવા પ્રોજેક્ટ મળે છે જે એકબીજાથી ઘણા અલગ છે. તેથી હાલ મને વર્ષો સુધી એકના એક રોલ કરવાનું અઘરું લાગે છે, તેની હું કલ્પના પણ કરી શકું તેમ નથી. હું જે કરું છું તેમાં મને બહુ મજા આવે છે.” રામ કપૂર અત્યાર સુધીમાં ‘કાર્તિક કૉલિંગ કાર્તિક’, ‘એજન્ટ વિનોદ’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ અને ‘ઉડાન’ જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. હવે તે એક્શન ફિલ્મ ‘યુધરા’માં જોવા મળશે. જેમાં સિદ્ધાંત ચતુર્વેદી ઉપરાંત માલવિકા મોહનન અને રાઘવ જુયાલ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ ૨૦ સપ્ટેમ્બરે રિલીઝ થશે.

Exit mobile version