Rajkot મા છુટાછેડાનો ખાર રાખી વાહનોમાં તોડફોડ કરી ધમાલ મચાવી

પૂર્વ પતિએ સસરા અને પત્નીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો થાણે પહોંચ્યો

Rajkot,, તા.૨૯
શહેરના જિલ્લા ગાર્ડન પાસેના સોરઠિયા પ્લોટમાં રહેતા શખ્સે પત્નીએ છૂટાછેડા આપી દેતા તેનો દ્વેષ રાખી પૂર્વ સસરાના ઘર નજીક જઇ પૂર્વ સસરા તેમજ તેના ભાઈઓના ત્રણ સ્કૂટર સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું.તેમજ પૂર્વ સસરાને તથા તેની પૂર્વપત્ની સહિતના પરિવારને ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,સોરઠિયા પ્લોટમાં રહેતા ભરતભાઇ રામજીભાઈ ખીમસુરિયા (ઉ.વ.59)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે તેના પૂર્વ જમાઈ સોરઠિયા પ્લોટમાં જ રહેતા મહાવીર મહેન્દ્ર સરવૈયાનું નામ આપ્યું હતું.ભરતભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પુત્રી વનિતાએ દોઢેક વર્ષ પહેલાં મહાવીર સરવૈયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને વચ્ચે મનમેળ નહીં રહેતા ગત તા.1 જુલાઈના વિનતાએ નોટરી કરી મહાવીર સરવૈયા સાથે છૂટાછેડા લઇ લીધા હતા. છૂટાછેડા થયા તે સાંજે જ મહાવીર તેના પૂર્વ સસરા ભરતભાઇના ઘર પાસે છરી લઈને નીકળ્યો હતો અને ભરત તથા તેની દીકરીને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ગત તા.23ની રાત્રીના ત્રણેક વાગ્યે મહાવીર સરવૈયા ફરીથી ભરતભાઈના ઘર પાસે ગયો હતો અને ઘરની બહાર પાર્ક કરાયેલા ભરતભાઇના સ્કૂટરમાં, પાડોશમાં રહેતા તેમના ભાઇઓ દિલીપભાઇ અને કમલેશભાઇના સ્કૂટરમાં તોડફોડ કરી હતી. ત્રણ ત્રણ સ્કૂટરમાં તોડફોડ કરાતા તેનો અવાજ સાંભળી ભરતભાઇના ભાઇ દિલીપભાઈના પત્ની વર્ષાબેન જાગી ગયા હતા અને તેઓ બહાર નીકળતા મહાવીર સરવૈયા નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધી મહાવીર સરવૈયાની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Comment