New Delhi, તા.02
ભારતીય નાગરિકત્વ છોડનારા નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે. ગયા વર્ષે 2.19 લાખ ભારતીયોએ ભારતીય નાગરિકત્વ છોડયુ હતુ, એમ સરકારે રાજ્યસભામાં ગુરુવારે જણાવ્યું હતું.
બે વર્ષથી બે લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું
રાજ્યસભામાં વિદેશરાજ્યપ્રધાન કીર્તિવર્ધનસિંઘે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેટલા ભારતીય નાગરિકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું હતું તેના જવાબમાં આ વાત જણાવી હતી. 2023 પહેલા 2022માં 2.25 લાખ, 2021માં 1.63 લાખ, 2020માં 85,256, 2019માં 1.44 લાખ ભારતીય નાગરિકોએ ભારતીય નાગરિકત્વ છોડાયું હતું. આમ છેલ્લા ચાર વર્ષમાં લગભગ સાડા ચાર લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું. જ્યારે છેલ્લા બે વર્ષથી બે લાખ કરતાં વધુ લોકો ભારતીય નાગરિકત્વ છોડી રહ્યા છે.
ભારતીય નાગરિકત્વ છોડવા બાબતે રાઘવ ચઢ્ઢાએ કર્યા સવાલ
આપના સભ્ય રાઘવ ચઢ્ઢાએ સરકારને સવાલ પૂછ્યો હતો કે સરકાર આટલા મોટાપાયા પર ભારતીય નાગરિકો દેશ છોડી રહ્યા છે તેની પાછળના કારણો શોધવા કયા પગલાં લઈ રહી છે અને આ ઉપરાંત ભારતીય નાગરિકત્વની સ્વીકાર્યતા આટલી ઓછી કેમ છે તેનું કારણ તેમણે શોધ્યું છે ખરુ. જો તે શોધ્યું હોય તો તેની વિગાતો આપવામાં આવે. સરકાર આ બ્રેઈન ડ્રેઈનને રોકવા માટે કયા પ્રયત્નો કરી રહી છે તેની વિગતો પણ તેમણે જાણવા માંગી હતી.