‘ખેડૂતો વન વિભાગનાં ગુલામ બની જશે’.., Junagadhમાં Eco Sensitive Zone નો વિરોધ

Junagadh,તા.04 

ઈકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે. સરકારને ઈકો ઝોન મુદ્દે મુશ્કેલી ઉભી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઈફકોના ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સંઘાણી ખુલ્લીને મેદાનમાં આવ્યા છે. તેમણે ઈકો ઝોન મુદ્દે વનતંત્રને આડેહાથ લીધા છે અને દરેક જન પ્રતિનિધિઓને ગામેગામથી વિરોધ કરવા આહવાન કર્યું છે. ભાજપના જ નેતા હર્ષદ રિબડીયાએ ઈકો ઝોનના કારણે ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે તેવી ભીતિ દાખવી, તો ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતો માટે આંદોલનની તૈયારીઓ કરી છે. તો બીજી તરફ ખેડૂતો, ગ્રામ પંચાયતો, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે બાંયો ચઢાવી છે.

નિર્ણય પરત ખેંચવા સરકાર પર સહિયારૂં દબાણ

અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લાના 11 તાલુકાના 196 ગામને ઈકો સેન્સિટિવ ઝોન હેઠળ સમાવેશ કરવા માટે ડ્રાફ્ટ નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઈકો ઝોન લાગુ થયા બાદ ખેડૂતો અને ગીરના ગામડાઓને ખુબ મોટી મુશ્કેલી સર્જાય તેમ હોવાનો ભાજપના જ નેતાઓનો સૂર છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખે ઈકો ઝોન રદ કરવા માંગણી કરી છે.

ઈકો ઝોન રદ કરવા 196 ગ્રામ પંચાયતોનો સામૂહિક ઠરાવ

કેન્દ્ર સરકાર દ્વારા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય, પાણીયા, મિતીયાળાની ફરતી તરફ ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કરવાની ગતિવિધીઓ ચાલી રહી છે, જેમાં ત્રણ જિલ્લાના 11 તાલુકાના 196 ગામનો સમાવેશ થવાનો છે. આ તમામ ગામમાં આજે એકીસાથે ઈકો સેન્સિટિવ ઝોનને રદ કરવાની માંગણી સાથેના ઠરાવ ગ્રામ સભાઓમાં કરવામાં આવ્યા છે. આટલો મોટો વિરોધ આઝાદી બાદ કદાચ પ્રથમવાર જ થયો હશે. ગ્રામસભાઓમાં એકીસાથે ઠરાવ થતા સરકાર અને વન વિભાગમાં અંદરખાને ભારે દોડધામ મચી ગઈ છે.

ઈકો સેન્સિટીવ ઝોન લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડવાની સાથે જ ગીર પંથકમાં વિરોધનો સૂર ઉઠવા માંડયો હતો. ગામડાના લોકો વન વિભાગની નીતિ-રીતિથી ત્રસ્ત બની ગયા છે. ઈકો ઝોનનો વિરોધ ઉગ્ર બની ગયો છે. કોઈપણ ભોગે ગામડાઓમાં ઈકો સેન્સિટીવ ઝોન લાગુ ન થાય તેના માટે સ્થાનિકો અને આગેવાનો મક્કમ બની ગયા છે. ત્રણ જીલ્લાના 11 તાલુકાના ઈકો સેન્સિટિવ ઝોનમાં આવતા 196 ગામડાઓમાં એકી સાથે ઈકો ઝોનનો વિરોધ કરતા સામૂહિક ઠરાવ કરવામાં આવ્યા છે. ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકાર અને સ્થાનિકો આમનેસામને આવી ગયા છે.


વિકાસ કામ કે રિનોવેશન કરવા હશે તો પણ મંજુરી લેવી પડશે

ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સ્પષ્ટતા કરી છે કે, ભાજપના નેતા કે ઈફકોના ચેરમેન તરીકે નહી પરંતુ ખેડૂતોના હિત માટેની વાત છે. ઈકો ઝોનનો નિર્ણય સંપૂર્ણ ખોટો છે, ગ્રામ્ય જીવનને ધમરોળનારો, વિકાસને અવરોધનારો, લોકોને પીડાદાયક, નાના ઉદ્યોગ, ખેડૂત, વેપારી, મજુર માટે જોખમ વધારનારો છે. ભારતીય કાયદા મુજબ કોઈપણ માણસ દ્વારા જાનમાલ જોખમમાં મુકાઇ ત્યારે તેના બચાવવામાં ખૂન કરવામાં આવે તો તેને પણ કોર્ટ નિર્દોષ છોડે છે, ત્યારે સિંહ કે અન્ય વન્યપ્રાણી ખેડૂત કે મજુર પર હુમલો કરે ત્યારે તેનો સામનો કરવા જતાં વન્યપ્રાણીને ઈજા પહોંચાડી બેસે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે અને લોકોને જેલમાં મોકલવામાં આવે છે. રોઝ, ભુંડના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. ગામડાઓમાં લોખંડનું કામ કરતા કારીગરોને પણ મુશ્કેલી પડશે કેમ કે, લોખંડનું કામ કરે ત્યારે ઘોંઘાટ થાય છે. સ્કૂલ, ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ સહિતના અનેક વિકાસ કામ કે રિનોવેશન કરવા હશે તો પણ મંજુરી લેવી પડશે. જેના લીધે ગામડાઓનો વિકાસ રૂંધાઈ જશે.

આવી સ્થિતિના લીધે ઈકો સેન્સિટિવ ઝોન રદ કરી અગાઉના અંગ્રેજો વખતના અને કોંગ્રેસની કેન્દ્ર સરકારે બનાવેલા કાયદાઓમાં પણ સુધારાઓ કરવા જોઈએ. અમારા ગામડાનો અવાજ બુલંદ કરી સરકારના કાને અથડાય તેવી સ્થિતિ ઉભી કરશું, જ્યાં સુધી સરકાર ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે ફેરવિચારણા નહી કરે તો ગામડે-ગામડે આંદોલન કરી અને તેનું નેતૃત્વ હું લઈશ તેમ દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું.

આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે

વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદ રિબડીયાએ વન વિભાગે આડેહાથ લીધો હતો. તેમણે ઈકો સેન્સિટિવ ઝોન વિશે પડતી મુશ્કેલીના અનેક દાખલાઓ આપ્યા હતા. જેમાં ઈકો ઝોન વિસ્તારમાં આવતા રસ્તાનો દાખલો આપ્યો હતો કે જૂનાગઢથી ભેસાણનો રસ્તો 40 કરોડના ખર્ચે બનાવવાનું નક્કી થયું તેમાં વન વિભાગે ત્રણ વર્ષ સુધી કામ થવા ન દીધુ અને સરકારે 3 કરોડ રૂપિયા ભર્યા બાદ મંજુરી મળી.

તેવી જ રીતે ખડીયાથી બિલખા-માણેકવાડા રોડ પણ ઈકો ઝોનના કાયદા હેઠળ રિસર્ફેસિંગ પણ ન કરવા દીધો, ખેડૂતોને વીજ કનેક્શન માટે, બિનખેતી માટે મંજૂરી લેવાની, પીજીવીસીએલએ વીજ પોલ, ટ્રાન્સફોર્મર કે કોઈ ખેડૂતનું કનેક્શન ફેરવવું હશે તો મંજુરી લેવી પડશે.

કુવો-બોર કરવો હશે તો મંજુરી લેવી પડશે, કોઈ વાણીજ્ય એકમ શરૂ કરવું હશે તો મંજુરી લેવાની, વાહનો પણ રાત્રીના ચલાવવા કે તે પણ વનતંત્ર નક્કી કરશે આવા અનેક પ્રશ્નોથી ખેડૂતો ત્રસ્ત છે જ. હવે કાયદો લાવી મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસો સાખી લેવામાં આવશે નહી. ઈકો ઝોનમાં આવતા તમામ ગામની બેઠકો લઈ આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે. કોઈ પણ ભોગે ઈકો સેન્સિટિવ ઝોન લાગુ થવા દેવામાં આવશે નહી તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જીલ્લાના ભારતીય કિસાન સંઘના આગેવાનો ઈકો સેન્સિટિવ ઝોન સહિતના ખેડૂતોના અનેક પ્રશ્ને જૂનાગઢ સીસીએફને રૂબરૂ મળ્યા હતા. સીસીએફએ ખેડૂતોને વિવિધ પ્રશ્ન અંગે પડતી મુશ્કેલી મુદ્દે ડીસીએફને સુચના આપવા કહ્યું હતું. બાદમાં કિસાન સંઘના આગેવાનોએ ખેડૂતોના ઈકો સેન્સિટિવ ઝોનના મુદ્દે લડત કરવાની પણ તૈયારી દર્શાવી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાનને પત્ર લખી રજુઆત કરી છે કે, ઈકો સેન્સિટિવ ઝોન અંગેનો નિર્ણય પરત લેવામાં આવે

વન્યજીવપ્રેમીઓને પણ સંઘાણીએ આડેહાથ લીધા

દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, અમુક વન્યપ્રેમીઓ ખોટી રીતે હોહા કરે છે, તેમને કહેવું છે કે આવો અમારા ગીરના બોર્ડર પરના ગામડાઓમાં અને તમારા પર વન્યપ્રાણી હુમલો કરે તો મોત થાય તેવા કિસ્સામાં સરકારની સહાય કરતા વ્યક્તિગત ડબલ સહાય આપીશ, રહી તો જુઓ ગીરના ગામડાઓમાં, શહેરોના બંગલામાં રહી મોટી-મોટી વાતો કરવાથી કોઈ ફાયદો નથી, ખરા અર્થમાં કાયદા તો માનવ સર્વોપરી છે તે મુજબના હોવા જોઈએ.

196 ગામોનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં જોવા મળતાં એશિયાઈ સિંહ સહિત દેશભરમાં પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાયદા અમલી બનાવાયા છે. જે વિશે વધુ માહિતી આપતા વનમંત્રી મુળુભાઈએ જણાવ્યું કે, નવીન ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરિડોર અને સિંહોના અવર-જવરવાળા 4 મહત્ત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામોનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામોનો સમાવેશ કરવામાં આવશે. આમ ત્રણેય જિલ્લાના કુલ 196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર મળીને કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિલોમીટરનો ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકોમાં અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.

Leave a Comment