Site icon Shri Nutan Saurashtra

Porbandar જિલ્લામાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકનું ધોવાણ, સમારકામ શરૂ

Porbandar,તા.20

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે તેથી અનેક જગ્યાએ પૂરના પાણી રેલવે ટ્રેક પર ફરી વળ્યા છે જેના કારણે પાટાનું ધોવાણ થતા દિલ્હી- પોરબંદર ટ્રેનને ભાણવડ ખાતે અટકાવી દેવાની ફરજ પડી હતી. તે ઉપરાંત પણ અનેક ટ્રેનોને અસર થઇ છે.

વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેકશનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઇ છે.

શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકના અનેક જગ્યાએ ધોવાણ થયા છે. પોરબંદરથી ભાણવડ વચ્ચે અનેક જગ્યાએ રેલ્વે ટ્રેકની ઉપરથી અને નીચેથી પૂરના પાણી પસાર થઇ રહ્યા હોવાથી નીચેનો ટેકો અને કોંક્રિટ વગેરે પાણીમાં વહી ગયા છે જેના કારણે પાટાનું ધોવાણ થઇ ગયુ છે.

દિલ્હી -પોરબંદર ટ્રેન ભાણવડ સુધી પહોંચી ત્યારબાદ પોરબંદર આવી ન હતી કારણ કે પોરબંદરના મોટા ભાગના વિસ્તારોમાં 12 થી 15 ઇંચ અને કયાંક તો તેનાથી પણ વધારે વરસાદ વરસ્યો છે તેથી ઉદ્યોગનગરની ઓરીએન્ટ ફેકટરી પાસેના ઓવરબ્રીજ પાસે પણ પાટાનું ધોવાણ થયુ હોવાથી આ રેલવે ટ્રેક પણ બંધ થઇ ગયો છે. જેના કારણે ટ્રેન પસાર થાય તો કોઇ ગંભીર દુર્ઘટના ઘટે તેવી શકયતા જણાતી હોવાથી હાલમાં આ રેલ્વેટ્રેકનો રૂટ બંધ કરી દેવાની ફરજ પડી છે અને પાટાનું સમારકામ ચાલી રહ્યું છે.

Exit mobile version