ફરિયાદ મળી રહી હતી કે પેન્શનમાં મોડું થઈ રહ્યું છે
નવી દિલ્હી, તા.૨૮
કેન્દ્ર સરકારે પોતાના ૬૫ લાખ પેન્શનર્સને મોટી રાહત આપી છે. નાણા મંત્રાલયના વ્યય વિભાગના સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ ને પેન્શન વિભાગ તરફથી એવી ફરિયાદ મળી રહી હતી કે તેમના પેન્શનમાં મોડું થઈ રહ્યું છે. એ પણ જોવા મળ્યું છે કે કેટલાક પેન્શનર્સને તે મહિનાના અંતમાં પેન્શન નથી મળી રહ્યું. ખાતામાં પેન્શન રાશિ આવવાની પ્રક્રિયામાં આગામી મહિનાના પણ કેટલાક દિવસો પસાર થઈ જાય છે. જેને લઈને નાણા મંત્રાલયે પેન્શન ચૂકવણીમાં થઈ રહેલ વિલંબને ગંભીરતાથી લીધુ છે. હવે તમામ પેન્શનર્સને મહિનાના અંતમાં પેન્શન મળી જશે. કેન્દ્રીય પેંશન પ્રક્રિયા કેન્દ્ર (સીપીપીસી) દ્વારા મહિનાના અંતિમ કાર્ય દિવસની સવાર સુધીમાં ઇલેક્ટ્રોનિક રીતે એક રિપોર્ટ મોકલવો પડશે. ઈ-પીપીઓ સાઇટ પર એ જણાવવું પડશે કે મહિનાના અંતમાં આટલા પેન્શનર્સના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયા છે.
જણાવી દઈએ કે, નાણા મંત્રાલયને માસિક પેન્શન અને પારિવારિક પેન્શન મળવામાં થઈ રહેલ વિલંબને લઈને અનેક ફરિયાદો મળી રહી હતી. કારણ કે રિટાયરમેન્ટ બાદ વધુ પડતા લોકોનું પેન્શન પર જ જીવન નિર્ભર હોય છે, તેવામાં પેન્શન મોડું પહોંચવું, તેમના માટે મુશ્કેલી સમાન છે. પેન્શનમાં મોડું થવાને લઈને તેમને વૃદ્ધાવસ્થામાં સંબંધિત વિભાગ અથવા બેંકના ધક્કા ખાવા પડે છે.