Mumbai,તા.08
નાણાંકીય વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિકગાળામાં સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટેડ બેંકોની નેટ ઈન્કમ ગ્રોથ સુસ્ત પડીને વાર્ષિક ૧૦ ટકા થવાની ધારણા છે. એક વિશ્લેષણ રિપોર્ટ મુજબ, લિસ્ટેડ બેંકોએ નાણાંકીય વર્ષ ૨૦૨૪ના બીજા કવાર્ટરમાં વધુ પડતા ધિરાણ અને ઓછા ક્રેડિટ ખર્ચને કારણે ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે ૩૩ ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી હતી. જોકે બેંકોનો નફો કવાર્ટરલી બેસિસ પર ૧ ટકા આસપાસ ઘટી શકે છે.
વ્યાજની આવકમાંથી વ્યાજ ખર્ચ બાદ કર્યા બાદ મળતી બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ એટલેકે એનઆઈઆઈ અનુમાન મુજબ વાર્ષિક ધોરણે ૮.૮ ટકા વધી શકે છે. જૂન ૨૦૨૪ ક્વાર્ટરની સાપેક્ષે થાપણ ખર્ચમાં વધારો થવાને કારણે ત્રિમાસિક ધોરણે એનઆઈઆઈ ૧.૭ ટકા વધી શકે છે.ઈક્રાના નિષ્ણાંતે જણાવ્યું કે ધીમી ક્રેડિટ ગ્રોથ અને ડિપોઝિટ ખર્ચમાં વધારો થવાને કારણે એનઆઈઆઈ દબાણ હેઠળ આવી શકે છે અને તેનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (એનઆઈએમ) પણ ઘટી શકે છે. ધિરાણના દરો સ્થિર છે તેમ થાપણો, ખાસ કરીને ૧-૨ વર્ષની મુદત માટેના દરો વધી રહ્યા છે. આ કારણે એનઆઈએમ પર દબાણ આવી શકે છે અને સ્પ્રેડ વધી શકે છે.૨૦૨૫ના પ્રથમ કવાર્ટરમાં વાર્ષિક ધોરણે એનઆઈએમ ૧૩ બેસિસ પોઈન્ટ્સ ઘટયો હતો અને અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં ૪ બેસિસ પોઈન્ટ ઘટીને ૨.૯૪ ટકા થયો હતો. ઓગસ્ટમાં લોન અને થાપણો વચ્ચેનો સ્પ્રેડ ૨.૯૬ ટકા હતો. ધિરાણ વૃદ્ધિમાં મંદી આંશિક રીતે વધુ નફો આપતી અસુરક્ષિત લોનમાં ઘટાડો થવાને કારણે છે.