જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં National Conference and Congress સ્પષ્ટ બહુમતી

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી હારીને પણ ભાજપે કરી દીધો કમાલ, આ મામલે એનસીને પાછળ છોડીને બનાવ્યો રેકોર્ડ

Srinagar,તા.૮

જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવી છે. ૯૦ બેઠકની વિધાનસભામાં ઈન્ડિયા એલાયન્સની જીત થઈ છે. કોંગ્રેસ ગઠબંધનને ૪૯,ભાજપને ૨૯ પીડીપીને ૩ અને અન્યને ૯ બેઠકો મળી છે.નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ બડગામ બેઠક પરથી ૧૮૪૮૫ મતે વિજય પ્રાપ્ત કર્યો છે. બડગામ બેઠકની હાથ ધરાયેલ મતગણતરીમાં કુલ ૧૩ રાઉન્ડ મતગણતરી યોજાઈ હતી. કુલ આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા.

ઓમર અબ્દુલ્લાએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી જમ્મુ કાશ્મીર પિપલ્સ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર આગા સૈયદ મુંતજીર મહેંદી કરતા બમણા મત મેળવ્યા હતા. સૈયદ મુંતજીર મહેંદીને ૧૭૫૨૫ મત મળ્યા હતા. જ્યારે નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાને ૩૬૦૧૦ મત મળ્યા હતા. આમ ઓમર અબ્દુલ્લાએ ૧૮૪૮૫ મતે વિજય મેળવ્યો હતો. બડગામ બેઠક પર ચૂંટણી લડેલા આઠ પૈકી છ ઉમેદવારો સાડા ત્રણ હજારથી પણ વધુ મત મેળવી શકયા નહોતા. નોટાને ૧૭૫૭ મત મળ્યાં હતા.નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા રહેશે જમ્મુ-કાશ્મીરના સૌથી યુવા મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લા રહી ચૂક્યા છે. ઓમર અબ્દુલ્લા અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના રમખાણો બાદ ઓમર અબ્દુલ્લા કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે જમ્મુ કાશ્મીરમાં ૨૦૦૯માં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. પરંતુ ૨૦૧૪માં નેશનલ કોન્ફરન્સને હારનો સામનો કરવો પડ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૪માં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લા બારામુલા બેઠક પરથી જેલમાં બંધ એન્જિનિયર રાશિદ સામે હાર્યા હતા.

ઓમર અબ્દુલ્લાનો જન્મ બ્રિટનમાં થયો હતો. તેમને રાજકારણ વારસામાં મળ્યું છે. ઓમર અબ્દુલ્લાના પિતા ફારૂક અબ્દુલ્લા અને દાદા શેખ અબ્દુલ્લા પણ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ૨૦૧૪માં યોજાયેલ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં, ઓમર અબ્દુલ્લા બે બેઠકો – સોનવર અને બીરવાહ પરથી ચૂંટણી લડયા હતા. બીરવાહ બેઠક પરથી જીત્યા હતા.

ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલા ડેટામાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. નેશનલ કોન્ફરન્સ સૌથી વધુ સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ મત ટકાવારીના આંકડા ખુબ ચોંકાવનારા છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ મત મળ્યા છે. ભાજપને ૨૫.૬૩ ટકા મત મળ્યા છે. જ્યારે ઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સને ૨૩.૪૪ ટકા મત મળ્યા છે. જો મતના આંકડા જોવામાં આવે તો ભાજપને કુલ ૧૪ લાખ ૬૦ હજાર ૬૩૭ મત મળ્યા છે. જ્યારે નેશનલ કોન્ફરન્સને ૧૩ લાખ ૩૬ હજાર ૧૪૭ મત મળ્યા છે.

એટલે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં સીટો ભલે નેશનલ કોન્ફરન્સને વધુ મળી હોય પરંતુ જો મતની ટકાવારી અને મતનો આંકડો જોવા મળે તો ભારતીય જનતા પાર્ટી ખુબ આગળ છે. ભાજપને નેશનલ કોન્ફરન્સ કરતા ૧ લાખ ૨૪ હજાર ૪૯૦ મત વધુ મળ્યા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને ૬ લાખ ૮૨ હજાર ૨૦૫ મત મળ્યા છે. આ સિવાય અન્યને ૧૪ લાખ ૧૫ હજાર ૭૮૧ મત મળ્યા છે.

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હશે, નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ શ્રીનગરમાં જાહેરાત કરી હતી. ફારુક અબ્દુલ્લાએ આ જાહેરાત એ સ્પષ્ટ થયા બાદ કરી હતી કે કોંગ્રેસ-એનસી ગઠબંધન જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતશે. તેમણે કહ્યું કે ૧૦ વર્ષ પછી લોકોએ અમને તેમનો જનાદેશ આપ્યો છે. અમે અલ્લાહને પ્રાર્થના કરીએ છીએ કે અમે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરીએ. અહીં ’પોલીસ શાસન’ નહીં પણ લોકોનું રાજ હશે. અમે નિર્દોષ લોકોને જેલમાંથી છોડાવવાનો પ્રયાસ કરીશું. મીડિયા મુક્ત રહેશે. આપણે હિંદુ અને મુસ્લિમો વચ્ચે વિશ્વાસ કેળવવો પડશે.

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે “લોકોએ તેમનો જનાદેશ આપ્યો છે. તેઓએ સાબિત કર્યું છે કે તેઓ ૫ ઓગસ્ટે લેવાયેલા નિર્ણયને સ્વીકારતા નથી (કલમ ૩૭૦ નાબૂદ). ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને એવી આશા પણ વ્યક્ત કરી હતી કે જોડાણના ભાગીદારો નેશનલ કોન્ફરન્સને જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની લડતમાં મદદ કરશે, જે તેના વિશેષ દરજ્જાને નાબૂદ કર્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયું છે.

 

Leave a Comment