પોલીસે દરોડો પાડી 840 બોટલ નશીલી સીરપ ભરેલી કાર ઝડપાઇ હતી.
Rajkot,તા.૮
વિછીયા હાઇવે પરથી 840 બોટલ નશીલી સીરપ ભરેલી કાર ઝડપાઇ હતી. જે ગુનામાં સપ્લાયરે જામીન મુક્ત થવા કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ વીંછીયા હાઇવે પર પોલીસે કારને અટકાવી તલાસી લેતા તેમાંથી 840 બોટલ નશીલી સીરપનો જથ્થો મળી આવ્યો હતો. જે ગુનામાં પોલીસે નસીલી સીરપના સપ્લાયર આરોપી નિતેશભાઇ જેરામભાઈ ધોરીયા (રહે પાળીયાદ રોડ બોટાદ)ની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. આરોપીએ પરિવારની આર્થિક પરિસ્થિતિ વિગેરે બાબતનું કારણ બતાવી માનવતાના ધોરણે 30 દિવસના વચગાળાના જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને આવા આરોપીને જો જામીન આપવામાં આવશે તો ફરી પાછા આવા ગુના કરશે અને સમાજમાં આવી નશીલી સીરપોનું વેચાણ કરી યુવાધનોને તેમજ કુટુંબના મોભીઓને નશાની લત લગાડી અનેક કુટુંબોને બરબાદ કરવાનો આવો ગંભીર ગુનો આરોપી ઉપર હોવાથી માનવતા દાખવવી જોઈએ નહીં તેથી આવી જામીન અરજી રદ કરવા રજૂઆત કરી હતી. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ ડી.એસ. સિંગે આરોપીની માનવતાના ધોરણે 30 દિવસ માટેની જામીન ઉપર છૂટવાની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.