Site icon Shri Nutan Saurashtra

NBFCs પાસેથી લોન લેતાં પહેલાં આ બાબતોને અવશ્ય ધ્યાનમાં લો

Mumbai,તા.16

આજના યુગમાં ઝડપી અને સરળતાથી લોન મળી રહી હોવાથી મોટાભાગના લોકો પોતાની જરૂરિયાતો માટે ઉધાર લેવાનું પસંદ કરે છે. તેમાંય બેન્ક કરતાં ફિનટેક કંપનીઓ અને નોન બેંક ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુટ (NBFC) ઓછા ડોક્યુમેન્ટ્સ પર ઝડપથી લોન આપતી હોવાથી તેને પ્રાધાન્ય આપવામાં આવે છે. પરંતુ ગ્રાહકોએ ફિનટેક એનબીએફસી પાસેથી લોન લેતી વખતે સાવચેત રહેવાની જરૂર છે, કારણકે, તેમાં ઘણીવખત ઝડપની મજા મોતની સજાની માફક લોન માથાનો દુ:ખાવો બની શકે છે.

શું ફિનટેક FIDC માર્ગદર્શિકાનું પાલન કરે છે?

તમારે પ્રથમ તો ચેક કરવાની જરૂર છે કે, તમે જે ફિનટેક્ NBFCમાંથી લોન લેવા માંગો છો તે ફાઇનાન્સિયલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (FIDC) માર્ગદર્શિકાને અનુસરે છે કે કેમ. પેયુ ફાઈનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ આશિષ શર્માએ કહ્યું કે લોન આપનારી કંપની માટે લોન સંબંધિત મહત્વની બાબતો ગ્રાહકને જણાવવી જરૂરી છે. જેમાં વ્યાજ દર, ફી અને ચુકવણી શેડ્યૂલનો સમાવેશ થાય છે. તમારે તેને સંપૂર્ણ રીતે સમજ્યા બાદ અને સંતુષ્ટ થયા બાદ જ નિર્ણય લેવો પડશે.

લોન કલેક્શનમાં ફિનટેક કંપનીનું વર્તન કેવું છે?

બીજું, ગ્રાહકોએ જોવું જોઈએ કે ફિનટેક કંપની લોન કલેક્શન અંગે કેવી રીતે વર્તે છે. જો કે, તે જાણવું મુશ્કેલ છે. પરંતુ, જો શક્ય હોય તો ચકાસો. આનું કારણ એ છે કે ઘણી ફિનટેક એનબીએફસી ઝડપથી લોનના નાણાં ગ્રાહકના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરે છે. પરંતુ, જો કોઈ કારણોસર ગ્રાહક લોનની EMI સમયસર ચૂકવતો નથી, તો તેઓ ખરાબ વર્તન કરે છે. ફિનટેક કંપનીના કર્મચારીઓ ગ્રાહકને ફોન કરીને ધમકાવતા હોવાના કિસ્સા જોવા મળ્યા છે. ગ્રાહકોને ઈએમઆઈ ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ ધાક-ધમકી અને હેરાનગતિ જેવા બનાવો ન બને તે માટે એનબીએફસી વિશે વિસ્તૃત માહિતી મેળવો.

શું ફિનટેક કંપની ગ્રાહકોને KFS જારી કરે છે?

લોન લેવા માટે એનબીએફસીને પ્રાધાન્ય એટલે આપવું જોઈએ, કે તે તેના ગ્રાહકોને કી ફેક્ટ્સ સ્ટેટમેન્ટ (KFS) જારી કરે છે. ઘણી એનબીએફસી અને ફિનટેક કંપનીઓએ ગ્રાહકોને KFS આપવાનું શરૂ કર્યું છે. એક ઓક્ટોબરથી તમામ બેન્કો, NBFC અને ફિનટેક કંપનીઓ માટે ગ્રાહકોને KFC જારી કરવાનું ફરજિયાત બનશે. KFS એ એક દસ્તાવેજ છે જેમાં લોન સંબંધિત તમામ નિયમો અને શરતો શામેલ છે.

શું લોનના વ્યાજ દર વાજબી છે?

સૌથી મોટી સમસ્યા વ્યાજ દર સાથે આવે છે. તેથી, ઝડપી લોન લેતા પહેલાં, તમારે તપાસ કરવી જોઈએ કે લોનનો વ્યાજ દર શું છે. ઘણી વખત, ઝડપથી લોન મેળવવા માટે, ગ્રાહકો વ્યાજ દર પર વધુ ધ્યાન આપતા નથી. બાદમાં તેમને ખબર પડે છે કે તેઓએ ખૂબ ઊંચા વ્યાજ દરે લોન લીધી છે. ફિનટેક કંપનીને ફરિયાદ કરવા પર, તેનો જવાબ છે કે ગ્રાહકને તેની સંમતિ પછી જ લોન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ગ્રાહક પાસે વ્યાજ તરીકે મોટી રકમ ચૂકવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

Exit mobile version