પાંચ મુખવાળા, ત્રણ નેત્રો ધરાવનારા, ચાંદીના પર્વત જેવા શ્વેત તેજથી યુક્ત, ચંદ્રને મસ્તક પર ધારણ કરનારા, જેમના દરેક અંગ રત્ન-આભૂષણોથી ચમકી રહ્યા છે, ચાર હાથમાં પરશુ, મૃગ, વર અને અભય મુદ્રા છે, જે નિત્ય પ્રસન્ન છે, પદ્માસન ધારણ કરી બિરાજમાન થાય છે, બધા દેવો જેમને વંદન કરે છે અને જેમણે વ્યાઘ્રચર્મ પહેરેલું છે એવા સૃષ્ટિના મૂળ સર્જક મહેશ્વરનું હું ધ્યાન ધરું છું.
પ્રાચીન કાળમાં કાશ્મીરમાં ભદ્રસેન નામનો રાજા રહેતો હતો. તેનો પુત્ર સુધર્મો મહાન શિવભક્ત હતો. તે રીતે ભદ્રસેનના મંત્રીનો પુત્ર તારક પણ તેની જેમ શિવભક્ત હતો. તે બન્ને શિવ આરાધનામાં તલ્લીન રહેતા. તે નિત્ય ભગવાન શિવની પૂજા-અર્ચના, સ્તોત્ર-પાઠ, વેદાભ્યાસ કરતા. એક દિવસ પરાશર મુનિ ભદ્રસેન રાજાના ઘેર પધાર્યા. રાજાએ એમનું સ્વાગત કરીને પૂજન કર્યું. પરાશર મુનિ ત્રિકાળજ્ઞાની અને ભવિષ્યવેત્તા પણ હતા. તેમણે તેમની દિવ્ય દ્રષ્ટિથી જોયું કે સાતમા દિવસે રાજપુત્ર સુધર્માનું અકાળે અવસાન થનારું છે. તેના મુખ પર ચિંતા અને દુ:ખના ભાવ પ્રગટ થયેલા જોઈ રાજાએ તેનું કારણ પૂછયું. પરાશર મુનિએ પોતાને ત્રિકાળજ્ઞાન થકી જે દેખાયું તે જણાવી દીધું. રાજા-રાણી અને આખો પરિવાર શોક સંતપ્ત થઈ ગયો.
ભદ્રસેન રાજાએ મુનિને પ્રણામ કરીને પૂછયું ‘શું આનો કોઈ ઉપાય છે ? હું મારા સર્વસ્વનો ત્યાગ કરીને પણ તે ઉપાય કરીશ.’ પરાશર મુનિએ તેને જવાબ આપતાં કહ્યું – ‘રાજન, આમ તો મૃત્યુ નિશ્ચિત હોય છે. તેના સમય અને સ્થળમાં સહેજ માત્ર પણ ફેરફાર કોઈ જ કરી શકવા સમર્થ નથી. પણ મૃત્યુંજય મહાદેવની કૃપા પ્રાપ્ત થાય તો તારા પુત્રના અકાળ અવસાનને અટકાવી શકાય છે.’ રાજાએ મુનિને કહ્યું – હું મારા પુત્રના દીર્ધાયુષ માટે મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ; મુનિએ તેને ફરી કહ્યું – પુર્ણ શ્રદ્ધા અને ભક્તિથી શિવજીની આરાધના, પૂજા-અર્ચના કર. તે સાથે દસ હજાર રુદ્રાવર્તનથી શિવજી પર અભિષેક જળ ધારા ચઢાવજે તો શિવકૃપા પ્રાપ્ત થતાં અપમૃત્યુ ટળી જશે. પણ જીવન-મૃત્યુ બધું ભગવાન શિવજીના હાથમાં છે. તે મૃત્યુને ટાળી શકે છે, મૃત્યુને સુધારીને મોક્ષ આપી શકે છે.
પરાશર મુનિના ઉપદેશ મુજબ રાજાએ શ્રદ્ધાપૂર્વક શિવ આરાધના શરૂ કરી. તરત જ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી રુદ્રાભિષેકને આરંભ કરાવી દીધો. સાતમા દિવસે સુધર્માનું મરણ થયું. પરાશર મુનિએ રુદ્રાભિષેકનું અભિમંત્રિત પવિત્ર જળ સુધર્માના મૃત શરીર પર છાંટયું અને મંત્રસિદ્ધ દિવ્ય રુદ્ધાક્ષ દ્વારા તે અભિષિક્ત જળ તેના મુખમાં રેડયુ. ખરેખર ચમત્કાર થયો. થોડી પળોમાં જ મૃત રાજકુમારના પ્રાણ તેના શરીરમાં પાછા આવી ગયા. સુધર્મોએ જીવિત થઈને બેઠા થઈ ગયા બાદ કહ્યું – ‘મને યમરાજ લઈને જઈ રહ્યા હતા તે વખતે શ્વેત વર્ણના, જટાજૂટ ધારી, ભસ્માંગ સુંદર, ગળામાં સર્પધારી, ત્રિશૂળ ધારણ કરનારા ભગવાન શિવજી એકાએક પ્રગટ થઈ ગયા. યમરાજે તેમને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. શિવજીના આદેશથી યમરાજે મને છોડી દીધો.મહાદેવી મને અહીં પાછો લઈ આવ્યા. તે પછી મૃત્યુંજય મહાદેવે મારા મૃત શરીરમં પ્રાણનો પુન:સંચાર કરી દીધો અને અંતર્ધાન થઈ ગયા.’
પરાશર મુનિના મુખેથી મૃત્યુંજય મંત્રો સરવા લાગ્યા- ‘ઓમ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ા ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય માડમૃતાત્ ાા જીવમાત્રના કલ્યાણકારી પોષક તથા પાલક અને મધુર એવા ભગવાન ત્રિલોચન શિવને અમે ભજીએ છીએ. જેવી રીતે ચિભડાને તેના વેલા સાથેના બંધનોમાંથી મુક્ત કરવામાં આવે છે તેવી રીતે અમરત્વની પ્રાપ્તિ માટે મૃત્યુમાંથી અમને મુક્ત કરો.’
‘મૃત્યંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ્ ા જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મબન્ધનૈ: ાા કે મૃત્યુંજય, કે મહાદેવ, તમારા શરણે આવેલા મને જન્મ, મૃત્યુ, ઘડપણ, રોગ, પીડા અને કર્મના બંધનોમાંથી છોડાવી મારું રક્ષણ કરો.’
મૃત્યુંજય મહાદેવની કૃપાથી મરણ પામેલો સુધર્મા જીવતો થઈ ગયો તે જોઈ બધાએ શિવજીનો જય જયકાર કર્યો. રાજ પરિવારમાં હર્ષ અને ઉલ્લાસ છવાઈ ગયા. બધા ફરીથી શિવ-આરાધનામાં સંલગ્ન થઈ ગયા.