આખલાએ ઢીક મારતા વૃદ્ધનું મૃત્યુ : પરિવારમાં ઘેરો કલ્પાંત
Jamkandorana,તા.૨૦
જામકંડોરણા નજીક રોઘેલ ગામે રહેતા આધેડનું વીજ શોકથી મોત નીપજયું છે.જ્યારે બોળીયા ગામે રહેતા વૃદ્ધને આખલાએ ઢીક મારતા ગંભીર ઇજા પહોંચતા મોત નીપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, જામકંડોરણા નજીક રોઘેલ ગામે રહેતા ભરતભાઈ રણછોડભાઈ સોજીત્રા (ઉં.વ.40) નામના આધેડનું ગઈ કાલે વીજ શોક લાગવાથી મોત નીપજતાં પરિવારમાં શોક છવાયો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ગઈ કાલે રાત્રીના સમયે લાઇટ જતી રહી હોય,જેથી ભરતભાઈ દ્વારા વીજના થાંભલા પર ચડી કારીગીરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય,જે દરમિયાન થાંભલા પર અચાનક વીજ શોક લાગતા થાંભલા પરથી પટકાતાં ઘટનાસ્થળે આધેડનું મોત નિપજ્યું હતું.બનાવ જાણ થતાં જામકંડોરણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ગોહેલ સહિતના સ્ટાફે સ્થળે પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.બનાવની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.
જ્યારે અન્ય બનાવમાં પ્રાપ્ત વિગત અનુસાર જામકંડોરણા તાલુકાના બોળીયા ગામે અતુલભાઈની વાડીમાં કામ કરતા અને રહેતા કાળુભાઈ સુરસંગભાઈ બાબરીયા (ઉં.વ. 65) નામના વૃદ્ધનું ગઈ કાલે બળદને પાણી પીવડાવવા લઈ જતી વેળાએ બળદે ઢિક મારતા ગંભીર મુંઢ ઇજા પહોંચતા વૃદ્ધનું મોત નિપજ્યું છે.બનાવની જાણ થતા એ.એસ.આઇ રસિકભાઈ સહિતના સ્ટાફે સ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી આદરી છે.બનાવથી પરિવારમાં શોક છવાયો છે.