દિગ્ગજ અભિનેતાનું માંદગીના કારણે નિધન, Malayalam filmજગત શોકમાં ડૂબ્યું

Mumbai,તા,09

મલયાલમ ફિલ્મોના જાણીતા અભિનેતા ટીપી માધવન હવે આ દુનિયામાં નથી રહ્યા. પીઢ અભિનેતાએ કેરળના કોલ્લમની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. છેલ્લા કેટલાક સમયથી માધવનની વિવિધ બિમારીની સારવાર ચાલી રહી હતી. તે છેલ્લા આઠ વર્ષથી પઠાણાપુરમના ગાંધી ભવનમાં રહેતા હતા. હાલમાં પેટ સંબંધિત બિમારીના કારણે અભિનેતાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓએ 88 વર્ષની ઉંમરે આજે  9મી ઓક્ટોબરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. પીઢ અભિનેતાના નિધનના સમાચારથી સમગ્ર મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ટીપી માધવનની કારકિર્દી પર એક નજર

માધવને 40 વર્ષ બાદ ફિલ્મી કરિયર શરુ કરી 600થી વધુ મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ મલયાલમ ફિલ્મ એક્ટર્સ એસોસિએશન, એએમએમએના પહેલા જનરલ સેક્રેટરી હતા. વર્ષ 1975માં માધવને તેમની ફિલ્મી કારકિર્દીની શરુઆત કરી હતી. જ્યારે અભિનેતા મધુએ તેને રાગમમાં પહેલો બ્રેક આપ્યો હતો. તેમણે છેલ્લે 2016 માં રિલીઝ થયેલી માલગુડી ડેઝમાં અભિનય કર્યો હતો, જે એક ભાવનાત્મક સસ્પેન્સ થ્રિલર છે.

મુશ્કેલમાં વિતાવ્યા અંતિમ દિવસો

છેલ્લા વર્ષોમાં તેમને મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો. એક સિરિયલના નિર્દેશક તેમને ગાંધી ભવનમાં લઈ ગયા તે પહેલાં તેમણે તિરુવનંતપુરમની એક લોજમાં રહેવું પડ્યું. એ પછી તેણે સિરિયલો અને ફિલ્મોમાં કેટલીક ભૂમિકાઓ ભજવી. તેમના કેટલાક લોકપ્રિય ટીવી શોમાં મુન્નુમણી, પ્રિયમાનસી, વલયમ, એન્ટે મનસાપુત્રી અને દયા સહિત અન્ય સામેલ છે. છેલ્લા વર્ષોમાં માધવન ઉંમર સંબંધિત બિમારીઓથી પીડિત હતા.

કેરળના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને માધવનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે “માધવન એક પ્રતિભાશાળી અભિનેતા હતા. જેમણે 600 થી વધુ ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી હતી.” મુખ્યમંત્રીએ યાદ કર્યું કે, “પઠાણાપુરમના ગાંધી ભવનમાં તેમના છેલ્લા વર્ષો દરમિયાન પણ માધવને ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કરવાનું ચાલુ રાખ્યું હતું.”

Leave a Comment