રાજ્યની ભાજપ-શિવસેના-એનસીપી સરકાર મહિલાઓ પર અત્યાચાર કે ગુનો કરનારા કોઈપણ આરોપીને નહીં છોડે
Mumbai, તા.૨૫
કોલકાતા, બદલાપુર બાદ આસામ સહિત દેશમાં વિવિધ રાજ્યો અને શહેરોથી દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ કે પછી મહિલા ઉત્પીડનના સમાચારોની ભરમાર થઈ ગઇ છે. ત્યારે દેશભરમાં આવી ઘટનાઓને લઈને ભારે આક્રોશની સ્થિતિ જોવા મળી રહી છે. રાજનેતાઓ પણ હવે આ મામલે મેદાને ઉતરી આવ્યા છે અને કડકમાં કડક કાર્યવાહીની અપીલ કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારનું નિવેદન ચર્ચામાં આવી ગયું છે.
આ દરમિયાન મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપી પ્રમુખ અજિત પવારે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારાઓને નપુંસક બનાવી દેવા જોઇએ. પૂર્વ મહારાષ્ટ્રના યવતમાલમાં મહિલાઓ માટે મહાયુતિ સરકારની ચર્ચિત ’લાડકી બહેન’ યોજના વિશે બોલતા અજિત પવારે કહ્યું કે રાજ્યની ભાજપ-શિવસેના-એનસીપી સરકાર મહિલાઓ પર અત્યાચાર કે ગુનો કરનારા કોઈપણ આરોપીને નહીં છોડે.
અજિત પવારે કહ્યું, “જે લોકો આપણી છોકરીઓને હાથ અડાડે છે તે તેમને કાયદાનો પ્રકોપ બતાવવો પડશે જેથી તે બીજીવાર આવુ કરતાં પહેલાં જ ફફડી ઊઠે. મારી ભાષામાં, હું કહીશ કે તેમને નપુંસક બનાવી દેવા જોઈએ, જેથી ફરી આવા ગુના ન બને.
બદલાપુરની ઘટનાની વાત કરીએ તો અહીં એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓ સાથે જાતીય શોષણનો ચકચાર મચાવતો મામલો સામે આવ્યો હતો અને તેને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
બદલાપુરમાં લોકોએ આ ઘટનાને પગલે અનેક દિવસો સુધી દેખાવો કરી સુનિશ્ચિત કર્યું કે આરોપીને સજા મળે અને સ્કૂલમાં બાળકીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે.