Site icon Shri Nutan Saurashtra

Vadodaraની M S યુનિ.માં પોરબંદરના વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઈ આપઘાત

Vadodara,તા,25

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ડાયમંડ જુબેલી ટ્રસ્ટ હોસ્ટેલમાં ગઈકાલે બપોરે એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીએ પંખા પર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાના કિસ્સાથી વિદ્યાર્થી જગતમાં દુ:ખની લાગણી પ્રસરી છે.

પોરબંદર તાલુકાના રાતીયા ગામે રહેતો 18 વર્ષનો વનરાજ મુળુભાઈ રાતીયા એમ.એસ.યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને નિઝામપુરા રોડ પર આવેલી ડાયમંડ જુબેલી હોસ્ટેલમાં રહેતો હતો. ગઈકાલે તે કોલેજ ગયો ન હતો અને તેને રૂમમાં રહેતા અન્ય બે વિદ્યાર્થીઓ કોલેજમાં ગયા હતા. સાંજે કોલેજ છૂટ્યા પછી બંને રૂમ પાર્ટનર રૂમ પર આવ્યા ત્યારે રૂમનો દરવાજો અડકાવેલો હતો તેઓએ અંદર જઈને જોયું તો વનરાજે પંખા પર નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો. જે અંગે હોસ્ટેલના વોર્ડનને જાણ કરવામાં આવતા વોર્ડને ફતેગંજ પોલીસને જાણ કરી હતી. ફતેગંજ પોલીસે સ્થળ પર જઈ મૃતદેહ નીચે ઉતારી પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

આપઘાતનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ વનરાજે લખેલી એક અંતિમ ચિઠ્ઠી પોલીસને મળી છે જેમાં તેણે માતા પિતાના મોબાઈલ નંબર તેમજ ગુડ બાય ઓલ ઓફ યુ એવું લખ્યું હતું. પોલીસે તેના પરિવારજનોને વતનમાં જાણ કરી છે તેમના પરિવારજનો આવ્યા પછી વધુ વિગતો જાણવા મળશે.

પોલીસને મૃતકનો મોબાઇલ ફોન પણ મળ્યો છે પરંતુ તે ફોન પેટર્નથી લોક કરેલો હોય ખુલી શક્યો નથી. મોબાઇલ ફોનનું લોક ખોલવા માટે પોલીસે એફએસએલની મદદ લીધી છે. મોબાઇલનું લોક ખુલ્યા પછી જાણવા મળશે કે તેણે કોઈ મેસેજ કે કોલ કર્યો છે કે કેમ ? છેલ્લે તેણે કોની સાથે વાત કરી તે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Exit mobile version