Amreli,તા.૨૧
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે અમરેલી ખાતે યોજાયેલી જિલ્લાની વિવિધ ૧૬ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજકોટ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, ઇફ્કો ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સર્વ જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવિયા, સહકાર આગેવાનો સહિતના મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કર્યુ હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદબોધનમાં કહ્યું કે, સહકારિતા એ એક જનઆંદોલન છે, તેનું વ્યાવહારિક સ્વરુપ એ ગુજરાતની દેન છે. અમૂલ (ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા) નું દ્રષ્ટાંત ટાંકી ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં રહેલી તકોનો તેમણે પરિચય આપ્યો હતો.
પશુધન ઓલાદના સંવર્ધન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી તે માટેના પ્રયાસો થાય તે અનિવાર્ય છે. ઓછાં ખર્ચે વધુ સારુ પશુપાલન થાય તે માટે ભારતીય દેશી પશુ ઓલાદના સેક્સ સૉર્ટેડ સિમન રુ.૫૦ જેવી નજીવી કિંમતે મળી રહેશે જે પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકે તેમ છે, સમ્રગ ભારતમાં પશુ ઓલાદ સુધારણા એક મિશન તરીકે આગળ ધપે તે જરુરી છે. ઉચ્ચ ઓલાદ માટે પશુઓમાં પણ ગોત્ર પસંદગીનું મહત્વ હોવાનું રાજયપાલશ્રીએ સમજાવ્યું હતું. ભારત સરકાર દ્વારા સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે જેના થકી ભારતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ ગતિમાન છે.
રાજયપાલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિષયે જણાવ્યુ કે, પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની મુખ્ય માંગણી અને જરુરિયાત છે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, પેસ્ટીસાઈડ્સના અંધાધૂંધ ઉપયોગને કારણે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થયો છે અને જમીનની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાયો છે. જમીનની ફળદ્રુપતામાં ઉમેરો થાય, ધરતીના પેટાળમાં વરસાદી પાણી ઉતરે અને જમીનની ગુણવત્તામાં સુધારો થાય તે માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી અનિવાર્ય છે. અળસિયા એ પ્રાકૃતિક કૃષિ માટે મિત્ર હોવાનું જણાવી નેચરલ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને સક્રિય કરવા અને જમીનમાં રહેલા પોષક તત્વો માટે ઉપયોગી હોવાનું રાજયપાલશ્રીએ ઉમેર્યુ હતું.
સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આપવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિની જનજાગૃત્તિ માટેની અર્થસભર સાંસ્કૃતિક નાટ્ય પ્રસ્તુતિ બાળાઓએ રજૂ કરી હતી.
નાયબ મુખ્ય દંડક અને અમરેલીના કુંકાવાવ-વડીયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ અમરેલીને સહકાર ક્ષેત્રનું હબ હોઈ પશુપાલકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ અને વ્યવસ્થા અને રોજગારીની તકોના નિર્માણ માટે તક હોવાનું જણાવ્યું હતું.