Junagadh,તા.૨૦
જૂનાગઢમાં દોઢ વર્ષ પહેલા સમાધાન માટે એકઠા થયેલા પરિવારજનોમાં બોલાચાલી થતા પૂર્વ સસરાને પૂર્વ જમાઈએ માર મારતા સસરાનું મોત થયું હતું, આ કેસમાં આરોપી યુવાનને આજે અત્રેની કોર્ટે આજીવન કેદની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો છે.
જૂનાગઢમાં રહેતી નિશાબેન અનિલભાઈ જાદવ ઉ.૨૪ ના અહીના સુધીર સુરેશ સોલંકી ઉ.૩૦ સાથે પ્રેમલગ્ન થયા હતા, અને લગ્ન જીવન દરમિયાન તેમને એક દીકરો અને એક દીકરી અવતરી હતી. પ્રેમલગ્ન થવા છતાં નિશાબેનના તેમના પતિ સુધીર સાથે અવાર નવાર ઝગડાઓ થતા હતા. વારંવાર ઝગડાથી કંટાળી મનમેળ ના થતા બંને એ છુટા છેડા લેવાનો નિર્ણય લીધો. જેના બાદ તેમના ડિવોર્સ થવા છતાં પણ નિશાબેનના પૂર્વ પતિ સુધીર અવાર નવાર ઘરે આવીને તેમની સાથે ઝગડો કરતા હતા. પતિના ત્રાસથી કંટાળી એક દિવસ તેમના સસરાએ સમાધાન માટે ઘરે બોલાવ્યા. સુધીરે ત્યારે પણ નિશાબેન સાથે અને તેમના સસરા સાથે ઝગડો કર્યો.
સુધીરના વધતા ત્રાસને લઈને નિશાબેન તેમની સામે પોલીસ ફરિયાદ કરવા જતા તેનો ખાર રાખીને સુધીરે મારા મારી કરી હતી. આ મારામારી વધુ ઘાતકી હુમલો થતા તેમના પૂર્વ સસરા અનિલ જેન્તી જાદવનું મોત થયું હતું. આ કેસની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. જેમાં કોર્ટ મારામારી દરમ્યાન સુધીરના સસરા પર થયેલ હુમલાને હત્યા ગણાવી દોષિત ઠેરવ્યો હતો. સસરાની હત્યા કેસમાં આજે અત્રેની સેસન્સ કોર્ટે આરોપી સુધીરને આજીવન કેદ અને એક હજારનો દંડ કર્યો.