Site icon Shri Nutan Saurashtra

Junagadh માં ગરબે ઘૂમતા ખેલૈયાઓએ કર્યો ઇકોઝોનનો વિરોધ

વિરોધ દર્શાવતા સૂત્રો લખેલા પોસ્ટર સાથે ગરબા કરી પટેલ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

Junagadh ,તા.૮

તંત્રના ઈકોઝોનના કાયદાને લઈને હવે વિરોધ વ્યાપક બની રહ્યું છે. સૌથી વધારે અસરગ્રસ્ત એવા તાલાળા વિસ્તારના ગામના લોકો નવા સૂચિત કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

આ દરમિયાન તાલાલા ખાતે પટેલ સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું જેમાં કાયદાના વિરોધના બેનરો સાથે ગરબા કરવામાં આવ્યા હતા.

ગરબામાં ઇકો ઝોનના કાયદાનો વિરોધઃ જૂનાગઢ સોમનાથ અને અમરેલી જિલ્લાના ૧૯૬ કરતાં વધુ ગામો ઈકોઝોન કાયદા નીચે આવરી લેવામાં આવ્યા છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારે નવા સૂચિત કાયદાનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું છે. જેનો હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક અને સાર્વત્રિક વિરોધ પણ થઈ રહ્યો છે.

અત્યાર સુધી ખેડૂતો અને ગામલોકો નાની નાની બેઠકો કરીને સરકારના કાયદાનો વિરોધ કરી રહ્યા હતા તે વિરોધ હવે સાર્વત્રિક રીતે જોવા મળી રહ્યો છે. તાલાલા ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ગરબામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમીને સૂચિત નવા કાયદાનો વિરોધ કર્યો હતો.

ઇકોઝોનનો સૂચિત કાયદો ગીર વિસ્તાર માટે કાળો કાયદો બની રહેશે તેને લઈને ગીર વિસ્તારના ખેડૂતો, ગામ લોકો દ્વારા હવે સાર્વત્રિક વિરોધની શરૂઆત પણ થઈ છે. નવરાત્રિ દરમિયાન તાલાલા ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું.

આ વિરોધમાં બાળકો, યુવાનો, પુરુષો, વડીલો, મહિલાઓ અને યુવતીઓ દ્વારા તેમના હાથમાં ઈકોઝોનના કાયદા વિરુદ્ધના સૂત્રો સાથેના બેનર લઈને ગરબા કરીને અનોખી રીતે સરકારના સૂચિત નવા ઇકોઝોનના કાયદાનો વિરોધ કરીને મા જગદંબા સમક્ષ સરકારને સદબુદ્ધિ મળે અને સુચિત કાયદો સરકાર સ્વયંમ પરત ખેંચે તેવી માંગ સાથે ગરબે ઘૂમીને પાંચમાં નોરતાની ઇકોઝોનના વિરોધમાં ઉજવણી કરી હતી.

 

Exit mobile version