હાઈકોર્ટે જુનાગઢ જીલ્લામાં પ્રવેશબંધીના શરતે જામીન મંજુર કર્યા
Junagadh, તા.૩
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર જુનાગઢના દલીત યુવકનું અપહરણ કરી માર મારવાના ગુનામાં ૪ માસથી જેલહવાલે રહેલા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલને હાઈકોર્ટે જામીન ઉપર જુનાગઢ જીલ્લામાં પ્રવેશબંધીના શરતે મુક્ત કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ જુનાગઢ ખાતે દાતાર રોડ પર ૩૦ મે ના રોજ શહેરના કોંગ્રેસ અગ્રણી રાજુ સોલંકીનો પુત્ર અને એનએસયુઆઈ પ્રમુખ સંજય પોતાનુ બાઈક લઈને જતો હતો ત્યારે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સાથે માથાકુટ થઈ હતી. સંજય સોલંકીનુ અપહરણ કરી માર મારવાના ગુનામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદીત્યસિંહ જાડેજા સહિત શખ્સો સામે જુનાગઢ પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. જેમાં એટ્રોસીટી અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી ગણેશ ગોંડલ સહિત શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ગણેશ જાડેજાને જેલહવાલે કરવામાં આવ્યા હતા. બાદ તપાસ પૂર્ણ થતા જુનાગઢની અદાલતમાં તપાસનીશ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતુ. બાદ ગણેશ જાડેજાની સેશ.કોર્ટએ રેગ્યુલર જામીન નામંજુર કરતા જે હુકમ સામે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ બચાવપક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખીત-મૌખીક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા ઘ્યાને લઈ હાઈકોર્ટે ગણેશ જાડેજાના શરતી જામીન મંજુર કર્યા છે. જેમાં જુનાગઢમાં પ્રવેશબંધીની ફરમાવી છે.