Ahmedabad,તા,23
સ્માર્ટ સિટી અને આઈકોનિક રોડ બનાવી અમદાવાદને સિંગાપોર સાથે સરખાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તામંડળ ફક્ત દેખાડા પૂરતા પ્રયાસ કરે છે. તેનો એક નમુનો છે અમદાવાદના શેલા વિસ્તારમાં પડેલો મહાકાય ભુવો.. લોકો માટે માથાના દુ:ખાવા સમાન આ ભૂવો પડ્યાને 85 દિવસ થઈ ગયા છે. છતાં હજુ સુધી તેનું સમારકામ નથી થયું.. લાગે છે કે મુખ્યમંત્રી, ધારાસભ્યો અને નેતાગીરી પોતાના રાજકીય પક્ષના સભ્યોની સંખ્યાનો વિક્રમ બનાવના અભિયાનમાં વ્યસ્ત છે.
સ્થાનિકો ફરિયાદ કરીને થાક્યા, તંત્રનું ભેદી મૌન
નોકરી-ધંધો કે રોજબરોજની દોડધામ અને પળોજળમાં વ્યસ્ત પ્રજાએ શરૂઆતમાં ઘણો વિરોધ કર્યો, પરંતુ હવે એ પણ વિરોધ કરીને થાકી ગઈ છે. પરંતુ પ્રશાસનના પેટનું પાણી પણ હલતું નથી.આ ભૂવો ક્યારે પૂરાશે, માર્ગ ક્યારે ખોલવામાં આવશે એ માટે શેલા વાસીઓ અને દુકાનદારોએ ઔડામાં રજૂઆત કરી છે. ધારાસભ્યને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું છે પણ બધા ભેદી રીતે મૌન છે.
‘ઔડા’નું 76 દિવસ પછી પણ મૌન
શેલા-બોપલ જેવા વિસ્તારને અમદાવાદ શહેરમાં ભેળવી દેવાયા છે. પરંતુ રોડ, રસ્તા, ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો સંપૂર્ણ અભાવ છે. શેલાના ક્લબ ઓ સેવન રોડ ઉપર 30મી જૂને મસમોટો ભૂવો પડ્યો હતો. ભૂવાના કારણે આ માર્ગ 45 દિવસ બંધ રહેશે એવું જાહેરનામું ઔડાએ નવમી જુલાઈએ જાહેર કર્યું હતું. પરંતુ ભૂવો પડયાને આજે 85 દિવસ થયા, છતા હજુ ભૂવો પુરી રસ્તો કાર્યરત નથી કરાયો.
વૈકલ્પિક રોડ પર ભારે ટ્રાફિક જામ
વૈકલ્પિક રોડ ‘વીઆઈપી’ના નામે ઓળખાય છે જે જૂન મહિનામાં ચોમાસાના આગમન પહેલાં જ ખોદી-સમારકામ કે નવો બનાવી નાખવામાં આવ્યો છે. એટલે એના ઉપર 24 કલાક ટ્રાફિક જામ જોવા મળે છે. અન્ય વૈકલ્પિક રોડ પણ ચોમાસાના કારણે તૂટી ગયા છે. ખાડાં વધારે છે અને સુગમ માર્ગ ઓછો.
કોઈને લાભ, કોઈને નુકશાન પહોંચાડવાનો કારસો?
ચર્ચા એવી પણ થઈ રહી છે કે, ભુવાના કારણે માર્ગ બંધ થવાથી અમુક બિલ્ડરોની અન્ડર કન્સ્ટ્રકશન સ્કીમને નુકસાન થાય અને આસપાસના વિસ્તારોના અન્ય બિલ્ડરોને ફાયદો થાય એટલે તે રોડ ખોલવામાં આવતો નથી. આ માહિતી અંગે સત્તાવાર રીતે કોઈ બોલવા તૈયાર નથી પણ તર્ક ખરેખર સાચો જણાય છે. જે માર્ગ ઉપર અવર-જવર શક્ય છે તેની હાલત પણ કાચા માર્ગ જેવી છે. ક્લબમાં હમણાં કોઈ કોન્કલેવ કે સેમિનાર નથી એટલે મંત્રીઓની અવર-જવર નથી એનો લાભ પણ ભેદી રીતે ઔડાનું નિભંર તંત્ર ઊઠાવી રહ્યું છે.
અડધા લાખની વસ્તિને હાલાકી યથાવત
સૌથી મહત્ત્વની વાત છે કે આ વિસ્તારમાં એશિયન ડેવલપમેન્ટ બેન્કની સહાયથી એક મોટી સુએજ લાઈન નાખવામાં આવી રહી છે. ભૂવો પડતા એ કામ અટકાવી દેવાયું છે. પરંતુ એ કામ ફરી શરૂ થશે ત્યારે ફરી ખોદકામ થશે અને રોડ બિસ્માર બની જશે એ નક્કી છે. આ સ્થિતિમાં અહીં વસવાટ કરતી અડધા લાખની વસ્તીને હજી ખુવાર થવાનું છે.
ગામના કુવા જેવડો શહેરમાં ભૂવો!
શહેરના પોશ અને વિકસતા વિસ્તારની આવી હાલત જોઈ ગામડાના લોકો પણ વિચારતા હશે કે, ‘શહેરમાં તો તેમના ગામના કુવા જેવા તો ભૂવા પડે છે. એના કરતા તો આપડુ ગામડુ સારૂ’.. રોષે ભરાયેલા કેટલાક લોકો તો ત્યાં સુધી કહી દીધુ કે, જો આ વિસ્તારમાં પ્રધાનમંત્રી મોદી આવવાના હોત કે પસાર થવવાના હોત તો ભૂવો તાત્કાલિક પુરીને રસ્તો બનાવી દેવાયો હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ મુલાકાત સમયે જીએમડીસી ગ્રાઉન્ડ પરના 132 ફૂટના રિંગરોડનું 24 કલાકમાં સમારકામ થઇ શકે તો 85 દિવસમાં શેલાનો ભૂવો કેમ ન પુરાઈ શકે તેવી ચર્ચા થઈ રહી છે.