Site icon Shri Nutan Saurashtra

Gaza માં મસ્જિદ પર ઇઝરાયેલી આર્મીની એર સ્ટ્રાઇક, ૧૮ લોકોના મોત

આ હુમલો મધ્ય ગાઝા પટ્ટીમાં દેર અલ-બાલાહમાં અલ-અક્સા હોસ્પિટલ પાસેની એક મસ્જિદ પર થયો હતો

Gaza, તા.૬

ઈઝરાયેલે રવિવારે (૬ ઓક્ટોબર) ગાઝા મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ માહિતી પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સી વફાએ આપી હતી. આ હુમલો મધ્ય ગાઝા પટ્ટીમાં દેર અલ-બાલાહમાં અલ-અક્સા હોસ્પિટલ પાસેની એક મસ્જિદ પર થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે વિસ્થાપિત લોકો પણ મસ્જિદમાં રહેતા હતા.

ઇઝરાયેલની સેનાએ એર સ્ટ્રાઇકને લઇને જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે, “દીર અલ-બલાહ વિસ્તારમાં આવેલી ’શુહાદા અલ-અક્સા’ મસ્જિદમાં હાજર હમાસના આતંકવાદીઓ પર સટીક હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓ અહીંથી કમાન્ડ અને કંટ્રોલ ચલાવી રહ્યા હતા.

ગાઝામાં ધાર્મિક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી હુમલામાં ગાઝાની ૧,૨૪૫ મસ્જિદોમાંથી ૮૧૪ ને ગંભીર નુકસાન થયું છે.જે ૬૦ કબ્રસ્તાનોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા તેમાંથી મંત્રાલયની મિલકતોને નુકસાનની અંદાજિત નાણાકીય કિંમત ૩૫૦ મિલિયન ડોલર છે.

ગાઝામાં ધાર્મિક બાબતોના મંત્રાલયે ઇઝરાયેલ પર કબરોની અપવિત્રતા, મૃતદેહો ખોદવાનો અને મૃતકો સામે હિંસા કરવાનો આરોપ મૂક્યો છે. આ સિવાય તે તેના અવશેષો ચોરી રહી છે અને તેને વિકૃત કરી રહી છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ઇઝરાયલી દળોએ આ વિસ્તારમાં જમીની હુમલા દરમિયાન તેના ૨૩૮ કર્મચારીઓને મારી નાખ્યા હતા. આ સિવાય અન્ય ૧૯ લોકોની અટકાયત કરવામાં આવી છે.

દાયકાઓ જૂનો ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષ ફરી શરૂ થયો જ્યારે હમાસના આતંકવાદીઓએ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં ૧,૨૦૦ લોકો માર્યા ગયા. આ દરમિયાન હમાસે લગભગ ૨૫૦ લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી ગાઝા પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હજારો લોકોના મોત થયા હતા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા પર ઈઝરાયેલના ત્યારબાદના સૈન્ય હુમલામાં અંદાજે ૪૨,૦૦૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જેના કારણે ૨૩ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અનુસાર, ત્યારથી ૪૧,૮૦૦ થી વધુ લોકો મારી નખાયા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે જ્યારે ૯૬,૮૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી હુમલાએ વિસ્તારની લગભગ સમગ્ર વસ્તીને વેરવિખેર કરી નાખી છે, જેના કારણે ચાલી રહેલા નાકાબંધીને કારણે ખોરાક, સ્વચ્છ પાણી અને દવાઓની ભારે અછત સર્જાઈ છે. ઇઝરાયેલને ગાઝામાં તેની કાર્યવાહીઓ માટે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં નરસંહારના કેસનો સામનો કરવો પડી રહ્યો છે.

Exit mobile version