Site icon Shri Nutan Saurashtra

Iran આક્રમણના ડર વચ્ચે Israel ની ગાઝા પર હુમલા, 18નાં મોત, હમાસનો વધુ એક કમાન્ડર ઠાર

Tel Aviv/Beirut,તા.05

મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલ અનેક મોરચા પર યુદ્ધ કરી રહ્યું છે. એકબાજુ ગાઝા અને રફાહમાં હમાસ વિરુદ્ધ તેની સૈન્ય કાર્યવાહી ચાલુ છે, જેમાં રવિવારે ગાઝા પર કરાયેલા હુમલામાં ૧૮ લોકોનાં મોત નીપજ્યાં છે. બીજીબાજુ હિઝબુલ્લાહ અને ઈરાનની યુદ્ધની તૈયારીઓ વચ્ચે ઈઝરાયેલે નુસેરાતમાં હવાઈ હુમલો કરી વધુ એક ટોચના કમાન્ડર ઈસ્માઈલ નોફાલને મારી નાંખી હમાસને મોટો ફટકો પહોંચાડયો છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લગભગ ૧૦ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અને તહેરાનમાં બુધવારે હમાસના વડા ઈસ્માઈલ હનિયેહ તેમજ મંગળવારે બેરુતમાં હિઝબુલ્લાહના કમાન્ડર ફુઆદ શુકરની હત્યા પછી મધ્ય-પૂર્વમાં યુદ્ધ વધુ ભયાનક બનવાનું જોખમ વધી ગયું છે. આ જોખમો વચ્ચે ઈઝરાયેલે ગાઝા પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. રવિવારે ગાઝા પર કરાયેલા એક હવાઈ હુમલામાં ૧૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

બીજીબાજુ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવના પરાંમાં પેલેસ્ટાઈનના એક કટ્ટરવાદી નાગરિકે ચાકુથી હુમલો કરતા ૭૦ વર્ષીય મહિલા અને ૮૦ વર્ષીય વૃદ્ધનાં મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય બેને ઈજા પહોંચી હતી. બીજીબાજુ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ઈઝરાયેલે રવિવારે ગાઝાની અલ-અક્સા શહીદ હોસ્પિટલ પરિસરની અંદર વિસ્થાપિત લોકો માટે બનેલા શિબિરમાં હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા અને અન્ય અનેક ઘાયલ થયા હતા. ઈઝરાયેલના સૈન્યે કહ્યું કે તેણે પેલેસ્ટાઈનના એક કટ્ટરવાદીને નિશાન બનાવ્યો હતો, પરંતુ ત્યાં વધુ વિસ્ફોટો થયા હતા, જે એ બાબતના સંકેત આપે છે કે આ ક્ષેત્રમાં હથિયારો હતા.

બીજીબાજુ ઈઝરાયેલના સૈન્ય આઈડીએફે કહ્યું કે, તેની એરફોર્સે નુસેરાત ક્ષેત્રમાં હુમલો કરીને હમાસના આતંકી ઈસ્માઈલ નોફાલને મારી નાંખ્યો છે. નોફાલ ગયા વર્ષે ૭ ઑક્ટોબરે ઈઝરાયેલની ધરતી પર થયેલા નરસંહારના આરોપીઓમાંનો એક હતો. નોફાલ ઈઝરાયેલના ક્ષેત્ર પર કરાયેલા રોકેટ હુમલા માટે જવાબદાર હતો. વધુમાં ઈઝરાયેલના સૈન્યે શનિવારથી ગાઝામાં ૫૦થી વધુ આતંકી સ્થળો પર હુમલા કર્યા છે. ઈઝરાયેલે લેબેનોન સ્થિત બજૌરીહ શહેર પર શનિવારે સવારે ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહના દક્ષિણ મોરચા પર તૈનાત એક ઓપરેટિવ અલી અબ્દ અલીનું મોત થઈ ગયું હતું.

દરમિયાન હમાસના વડા ઈસ્માઈલ હનિયેહની તહેરાનમાં અને બેરુતમાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ફુઆદ શુકરની હત્યાનો બદલો લેવા માટે લેબેનોનમાંથી હિઝબુલ્લાહે રવિવારે વહેલી સવારે ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ સમયે ઈઝરાયેલમાં સતત સાયરનનો અવાજ ગુંજતો રહ્યો હતો. આ હુમલા સાથે ઈઝરાયેલે સમગ્ર દેશમાં રેડ એલર્ટ જાહેર કરી દીધી હતી. જોકે, ઈઝરાયેલના આયરન ડોમે આકાશમાં જ હિઝબુલ્લાહના બધા જ મિસાઈલોને નષ્ટ કરી દીધા હતા.

– હુથી બળવાખોરોનો બે સપ્તાહ પછી લાલ સમુદ્રમાં જહાજ પર મિસાઈલ હુમલો

દુબઈ: ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે એડનના અખાતમાં પ્રવાસ કરી રહેલા લાઈબેરિયાના ધ્વજવાળા એક કન્ટેનર શિપ પર યેમેનના હુથી બળવાખોરોએ મિસાઈલ હુમલો કર્યો હતો. ઈઝરાયેલે હુથી બળવાખોરો પર હવાઈ હુમલો કર્યાના લગભગ બે સપ્તાહ પછી હુથી બળવાખોરોએ રવિવારે આ હુમલો કર્યો હતો. જોકે, તેમણે બે સપ્તાહ સુધી લાલ સમુદ્ર કોરિડોરમાં વ્યાપારિક જહાજો પર હુમલા નહીં કરવા માટે કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ તહેરાનમાં હમાસના વડા હનિયેહની હત્યા પછી હુથી બળવાખોરો ફરી એક વખત સક્રિય થયા છે. મધ્ય-પૂર્વમાં ઘર્ષણ વધી રહ્યું છે ત્યારે તેમણે લાલ સમુદ્રના કોરિડોરમાં જહાજો પર હુમલા શરૂ કર્યા છે. હુથી બળવાખોરોએ કન્ટેનર શિપ ગ્રોટોન પર હુમલો કર્યો હતો. જોકે, બોર્ડ પરના બધા જ ક્રૂ સલામત છે. આ હુમલા પછી જહાજને બંદર નજીક ડાયવર્ટ કરાયું હતું.

Exit mobile version