Dubai,તા.05
T20 વર્લ્ડ કપ 2024ની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. દુબઈમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ એકતરફી રીતે 58 રનથી હારી ગઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 160 રન બનાવ્યા અને તેની સામે ટીમ ઈન્ડિયાએ 100 રન કર્યા. બેટ્સમેનથી સજ્જ ભારતીય ટીમ છગ્ગા અને ચોગ્ગા માટે તડપતી હતી, અંતે પરિણામ ટીમની વિરુદ્ધમાં આવ્યું.
હરમનપ્રીતે સૌથી વધુ 15 રન બનાવ્યા
દુબઈમાં યોજાયેલી મેચમાં શેફાલી વર્મા 2 રનથી સૌથી પહેલા આઉટ થઈ. જ્યારે મંધાનાએ 12 રન, હરમનપ્રીત કૌરે 15 રન અને જેમિમાહ રોડ્રિગ્સે માત્ર 13 રન બનાવ્યા હતા. આ સાથે રિચા ઘોષ 12 રન અને દીપ્તિ શર્મા 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના ટોપ 6 બેટ્સમેનમાંથી 4નો સ્ટ્રાઈક રેટ 100થી ઓછો હતો. ન્યુઝીલેન્ડ સામે ભારતીય બેટિંગ કેટલી ગૂંગળાઈ હશે તે વિચારવા જેવી વાત છે, ત્યારે ભારતીય ટીમ માત્ર 19 ઓવર રમી શકી અને 102 રન બનાવ્યા. અહીં નોંધનીય બાબત એ છે કે, ટીમ ઈન્ડિયાનો એક પણ ખેલાડી 20 રનના આંકડા સુધી પહોંચી શક્યો નથી. જેમાં હરમનપ્રીતે સૌથી વધુ 15 રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું
દુબઈમાં ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. સૌથી મહત્વની વાત એ છે કે, કેપ્ટન સોફી ડિવાઈને ટોસ જીત્યા બાદ સુઝી બેટ્સ અને પ્લિમરે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ મળીને 67 રન કર્યા હતા. આ પછી કેપ્ટન ડિવાઈને મિડલ ઓર્ડરમાં 57 રન બનાવતા ટીમનો સ્કોર 160 રન થયો. જ્યારે બીજી પારીમાં પિચ ધીમી પડી ગઈ હતી અને તેનો ફાયદો ન્યૂઝીલેન્ડના સ્પિનરોને મળ્યો હતો. રોઝમેરી મેયરે 19 રનમાં 4 વિકેટ લીધી હતી. તાહુહુને 3 અને કાર્સનને 2 વિકેટ મળી હતી. જ્યારે એમિલિયાને એક વિકેટ મળી હતી.
ટીમ ઈન્ડિયાનો રસ્તો મુશ્કેલ બન્યો
ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. કારણ કે, હવે ટીમ ઈન્ડિયાની ત્રણમાંથી બે મેચ મુશ્કેલ છે, ત્યારે ભારતીય ટીમને આગામી મેચ 6 ઓક્ટોબરે રમવાની છે. બીજી તરફ, ભારતીય ટીમ 9 ઓક્ટોબરે શ્રીલંકા સામે રમશે. આ ઉપરાંત, ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સાથે 13મી ઓક્ટોબરે મેચ છે.