Mumbai,તા.04
ઓગસ્ટમાં શેરબજારમાં આવેલ ભારે વધઘટની રિટેલ રોકાણકારોની ખરીદી પર કોઈ અસર થઈ નથી. વધુમાં રિટેલ રોકાણકારોએ ઘટાડાનો લાભ લઈને માતબર રકમ બજારમાં ઠાલવી છે. વિદેશી રોકાણકારો, બેંકો અને વીમા કંપનીઓના રોકાણ કરતાં વધુ રોકાણ ભારતના રિટેલ રોકાણકારો કરીને કીર્તિમાન સ્થાપ્યો છે. રિટેલ રોકાણકારોએ જુલાઈમાં રૂ. ૨૩૮૦ કરોડની ખરીદીની સામે ઓગસ્ટમાં રૂ.૧૦,૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. જોકે જૂનમાં આરઆઈઆઈની નેટ ખરીદી રૂ. ૧૧,૮૫૫ કરોડ હતી.
આ સિવાય વિદેશી રોકાણકારોએ ઓગસ્ટમાં આશરે રૂ. ૯૨૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. બેંકોએ રૂ. ૧૦૮૩ કરોડના તો વીમા કંપનીઓએ રૂ. ૩૯૭૩ કરોડના શેર ખરીદ્યા હતા. વિશ્લેષકોના મતે સ્થાનિક અર્થતંત્રમાં જ્યાં સુધી કોઈ સમસ્યા નહિ આવે અથવા વૈશ્વિક પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર નહિ થાય ત્યાં સુધી રિટેલ રોકાણકારોનું પ્રત્યક્ષ અને પરોક્ષ રોકાણ વલણ ચાલુ રહેવાની શક્યતા છે.
ઓગસ્ટમાં દલાલ સ્ટ્રીટમાં ભારે વોલાટીલિટી જોવા મળી હતી. સેન્સેક્સ ૦.૮ ટકા અને નિફ્ટી ૧.૧ ટકા, બીએસઈ મિડકેપ ૦.૯ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૨૩ ટકા વધ્યા છે. વિદેશી રોકાણકારો, બેંકો અને વીમા કંપનીઓ કરતાં રિટેલ રોકાણકારો વધુ રોકાણ કરે છે તે દર્શાવે છે કે સામાન્ય લોકો શેરમાં રોકાણ કરવામાં ખૂબ જ રસ ધરાવે છે.
બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સાવચેતી રાખી રહ્યા છે. તેમણે ૧ ઓગસ્ટથી ૧૯ ઓગસ્ટ વચ્ચે પણ ભારતીય બજારમાં રૂ. ૧૯,૦૦૦ કરોડના શેર વેચ્યા હતા અને તેનું મુખ્ય કારણ વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ, ફુગાવો અને આર્થિક અનિશ્ચિતતા હોઈ શકે છે. જોકે વિદેશી રોકાણકારોએ મોટા સોદામાં ૨૦ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ વચ્ચે લગભગ રૂ. ૨૮,૦૦૦ કરોડના શેર ખરીદ્યા હતા.