Site icon Shri Nutan Saurashtra

Bangladesh ના ગૃહમંત્રીએ હાથ જોડી હિન્દુ સમુદાય પાસે માફી માંગી

બાંગ્લાદેશના નવા હોમ એડવાઈઝર સખાવત હુસૈને પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ હિન્દુ સમુદાયની માફી માંગી

Dhaka, તા.૧૨

બાંગ્લાદેશના નવા હોમ એડવાઈઝર (ગૃહમંત્રી) સખાવત હુસૈને રવિવારે પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ હિન્દુ સમુદાયની માફી માંગી. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ તેમણે કહ્યું કે હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા કરવી એ મુસ્લિમ બહુસંખ્યકોની ફરજ છે. આ જવાબદારીમાં નિષ્ફળતાનો તેમણે સ્વીકાર કર્યો. તેમણે સમુદાયને ભવિષ્યમાં સુરક્ષાનું આશ્વાસન આપ્યું અને સુધારની આશા વ્યક્ત કરી.

આ ઉપરાંત વચગાળાની કેબિનેટે ગુરુવારે રાતે પોતાના સભ્યોના શપથ ગ્રહણ બાદ રવિવારે અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસા પર પહેલું નિવેદન આપ્યું. નિવેદનમાં કહ્યું કે કેટલાક સ્થળો પર ધાર્મિક અલ્પસંખ્યકો પર હુમલાને ગંભીર ચિંતા સાથે જોવામાં આવ્યા છે. કેબિનેટે કહ્યું કે તે આ પ્રકારના જઘન્ય હુમલાઓનો ઉકેલ લાવવા માટે પ્રતિનિધિ યુનિટ્‌સ અને અન્ય સંબંધિત સમૂહો સાથે તરત બેઠક યોજશે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ મામલાઓના સલાહકાર બ્રિગેડિયર જનરલ (સેવાનિવૃત્ત) સખાવત હુસૈને સોમવારે કહ્યું કે હિન્દુ સમુદાયના આગામી જન્માષ્ટમી સમારોહ દરમિયાન તમામ જરૂરી સુરક્ષા આપવામાં આવશે. ધ ડેઈલી સ્ટાર મુજબ તેમણે એમ પણ કહ્યું કે તેઓ સલાહકાર પરિષદથી બાંગ્લાદેશમાં સમુદાયના સૌથી મોટા ઉત્સવ દૂર્ગા પૂજા માટે ત્રણ દિવસની જાહેર રજાની પણ ભલામણ કરશે. ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ આ વખતે ૨૬ ઓગસ્ટે ઉજવાશે. આ સાથે જ હુસૈને સોમવારે પ્રદર્શનકારીઓને ૧૯ ઓગસ્ટ સુધીમાં તમામ કાયદેસર કે ગેરકાયદેસર હથિયારો પણ જમા કરાવવાનું કહ્યું છે. જેમાં હાલમાં જ હિંસા દરમિયાન એજન્સીઓ પાસેથી લૂંટેલી રાઈફલો પણ સામેલ છે.

ધ ડેઈલી સ્ટાર અખબારના સમાચાર મુજબ હુસૈને કહ્યું છે કે જો આ હથિયાર પાસેના પોલીસ સ્ટેશનોમાં જમા ન કરાવ્યા તો અધિકારીઓ સર્ચ અભિયાન ચલાવશે અને જો કોઈની પાસેથી મળી આવશે તો તેમના વિરુદ્ધ કેસ દાખલ થશે. હુસૈન કમ્બાઈન્ડ મિલિટ્રી હોસ્પિટલમાં અર્ધ સૈનિક દળ બાંગ્લાદેશ અંસારના સભ્યોને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા હતા.

અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશી હિન્દુઓએ શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદથી રાજીનામું આપ્યા બાદ દેશ છોડી ભારત આવ્યા પછી હિંસા અને લૂટફાટનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક હિન્દુ મંદિરો, ઘરો અને વેપારી પ્રતિષ્ઠાનોમાં તોડફોડ કરાઈ છે. બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા ઓછામાં ઓછા બે હિન્દુ નેતા હિંસામાં માર્યા ગયા છે.

 

Exit mobile version